અમદાવાદ: ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં આગ, 8 નાં મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 08 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ આ ગેરકાયદે ફેક્ટરી ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. RAF કૅમ્પની પાછળના વિસ્તારમાં આ ફેક્ટરી આવેલી હતી. ધડાકાનો અવાજ થતા જ RAFમાં ફરજ બજાવતા જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા.ફાયર વિભાગની પાંચ વોટર ટેન્કર વાન ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઠારવા માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો. આ ઘટનામાં દસ વધુ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે, સારવાર માટે એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેતા શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા કમિશનરે સમગ્ર ઘટનાની સમીક્ષા કરી છે.

અહીં ઝોન 8 ડીસીપી મયુર પાટીલ અને સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા.JCP જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, અહીંયા ખુલ્લા ખેતરમાં શૅડ બનાવીને ફેક્ટરમાં ફટાકડા બનાવવાનું કામ ચાલુ હતું. તપાસમાંથી જાણવા મળ્યું છે કે, ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ ન હતું, છતાં આ ફેકટરી ધમધમતી હતી. આઠ જેટલા મૃતદેહને બાહર કાઢવામાં આવ્યા છે. રામોલ પોલીસ સ્ટેશનમાં માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આગ લાગ્યાની ગણતરીની સેકન્ડમાં જ મોટો બ્લાસ્ટ થયો હતો.

આ કારણે આસપાસના લોકોમાં ભય પેસી ગયો હતો. યુદ્ધના ધોરણે બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. આ કેવી રીતે લાગી અને ક્યા કારણોસર લાગી એ હજુ સ્પષ્ટ થયું નથી. જવાબદાર લોકો સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.અમદાવાદના મેયર પણ ખુલાસો કરતા કહ્યું હતું કે, આ ફેક્ટરી ગેરકાયદે હતી. ભીષણ આગ લાગતા 8 વ્યક્તિના મૃત્યુ થયા છે. ગતરાડ રોડ પર આ ઘટના બની હતી.

ચાર પુરૂષ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે એક મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ફેક્ટરીનું નામ ‘ટેલેન્ટ ફટાકડા ફેક્ટરી’ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તારણ અનુસાર વિસ્ફોટક સામગ્રીને કારણે આગ વધારે પ્રસરી હતી.આ કારણે અંદર કામ કરતા શ્રમિકોને બાહર નીકળવાનો કોઈ મોકો મળ્યો ન હતો. મોટી સંખ્યા ફટાકડાનો સ્ટોક હોવાી વિગત મળી છે. ઘટનાની નોંધ લેતા વડા પ્રધાન મોદીએ સમગ્ર ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે એવું જાહેર કર્યું છે.

જ્યારે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય આપવાનું જાહેર કર્યું છે. આ ફેક્ટરની લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું હોવા છતા ફેક્ટરી ધમધમતી હતી. ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોમાં અજય ડામોર,(ઉ.વર્ષ 26 વર્ષ) વાંચ, રામોલ, પાયલ ડામોર (ઉ.વર્ષ 25 વર્ષ) વાંચ, રામોલ, ભરત ચારણ (ઉ.વર્ષ 26 વર્ષ) વસ્રાલ, સુરેશ ડામોર (ઉ.વર્ષ 38 વર્ષ) વસ્રાલ, ગોવિંદ ડામોર(ઉ.વર્ષ 48 વર્ષ) વસ્રાલનો સમાવેશ થાય છે.

આ વિસ્તારમાં ઘણી એવી ફેક્ટરીઓ ધમધમી રહી છે.કાચા બાંધકામની ફેક્ટરીમાં અંદર ફટાકડા બનાવવાનું કામ ચાલું હતું. બેદરકારીનું પરિણામ સામે આવ્યું છે. ફાયર સેફ્ટિના સાધનો મળી આવ્યા છે.પણ જે શ્રમિકોને તેનો ઉપયોગ કરતા આવડતું હતું કે, કેમ એ પણ મોટો સવાલ છે? લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડી ગયા હશે એવું હાલ માનવામાં આવી રહ્યું છે. આઠ મૃતદેહને બાહર કાઢવામાં આવ્યા છે.