સુરતના પોશ વિસ્તાર એવાં ગૌરવપથ પર પાણી ફરી વળ્યું

સુરતમાં વરસી રહેલા વરસાદના કારણે પોશ વિસ્તાર ગણાતા પલોદ વિસ્તારમાં હાલ પાણી ભરાયા છે. રવિવાર હોવાથી ખૂબ ટ્રાફિકજામ છે. લોકોને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ કેટલાક સમય માટે ગૌરવ પથ અને પીપલોદ તરફથી જવાનું અવોઈડ કરે અને જે લોકો ત્યાં રહે છે તેઓ પોતાના ઘરમાં જ રહે અને  વાહનો લઈ નહીં નીકળે.

સુરતમાં ધમાકેદાર વરસાદની અસર પોશ વિસ્તારમાં ખાસ્સી જોવા મળી રહી છે. ગૌરવ પથ પર પાણી ફરી વળ્યાછે. કેટલાક ફોર વ્હીલ અને બાઈક્સ પાણીમાં ગરક થયેલા જોવા મળી રહ્યા છે.

 મહત્વની વાત એ છે કે ગૌરવ પથ પર ગટર લાઈન કે સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઈનમાં પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના લાશ્કરો હાલ ગૌરવ પથ લોકોને મદદ કરવા તૈનાત થઈ ગયા છે અને પાણીમાંથી ગાડીઓ અને બાઈક્સને બહાર કાઢી તથા લોકોને હેરાનગતિ ન થાય તેના માટે કામગીરીમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે.

સુરત એરપોર્ટ પરથી સ્પાઈસ જેટની ફ્લાઈટ રન-વે પરથી ઉતરી પડી, મુસાફરોનો આબાદ બચાવ

આજે રાત્રે સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. સ્પાઈસ જેટની ફ્લાઈટ રન વે પરથી ઉતરી જતાં તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. તાત્કાલિક ફ્લાઈટમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

સુરતમાં પાછલા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે સુરત એરપોર્ટના રન વે પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત વાદળછાયું વાતાવરણ હોવાના કારણે રનવે પર ધુમ્મસ જમા થઈ ગયું હતું આના કારણે ટેક ઓફ કરવા જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટના પાયલોટથી બેલેન્સ રહ્યું ન હતું અને ફ્લાઈટ રનવે પરથી ઉતરી ગઈ હતી.

ક્રુ મેમ્બર સહિત તમામને બચાવી લેવામાં આવ્યા હતા. મુસાફરોને તાત્કાલિક પ્લેનમાંથી બહાર કાઢીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કોઈને પણ ઈજા પહેંચી ન હતી. મુસાફરો સહિત ક્રુ મેમ્બરોને સલામત રીત પ્લેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ફ્લાઈટ રન વે પરથી ઉતરી જતા એક ક્લાક માટે સુરતના રન વેને બંધ કરવામાં આવ્યો હતો અને દિલ્હી-સુરત અને ગોવા-સુરત ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી.

દિલ્હી સુરત વાયા વડોદરા એર ઇન્ડિયાની ફલાઈટ વડોદરાથીં પરત દિલ્હી જશે અને સુરત આવવા માટે વડોદરાથી બસની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું અધિકારીક સૂત્રોએ જણાવ્યું હતું.

અશોક ગેહલોત-કમલનાથને બચાવી લેવાના સૂત્રધાર તરીકે ગુજરાતના સિનિયર કોંગ્રેસી નેતા છે?

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારો હોવા છતાં કોંગ્રેસનો કારમો પરાજ્ય થયો હતો. બન્ને સ્ટેટમાં કોંગ્રેસ સમખાવા પુરતી પણ સીટ જીતી શકી નથી. મધ્યપ્રદેશમાં એક સીટ અને તે પણ કમલનાથના પુત્રની જીતી છે. એવું તો શું બની ગયું કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોંગ્રેસના ભૂંડા હાલ થયા?  શા માટે અશોક ગેહલોત અને કમલનાથ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી રહ્યા નથી. રાહુલ ગાંધીની વેદના બાદ કમલનાથે જાહેરમાં રાજીનામાની ઓફર કરી પણ આપ્યું નથી.

અશોક ગેહલોત અને સચિન પાયલોટને રાહુલ ગાંધીએ મુલાકાત પણ આપી નથી. હવે કેટલાક કોંગ્રેસીઓ ભૂંડી અને અતિ ભૂંડી રીતે હારેલા અશોક ગેહલોતને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદે પ્રોજેક્ટ કરી રહ્યા છે. સિનિયર કોંગ્રેસીઓ કોઈ પણ ભોગે રાહુલ ગાંધીને ફાવવા દેવા માંગતા નથી, એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. રાહુલ ગાંધીને જવું હોય તો જાય પણ સિનિયર કોંગ્રેસીઓ જરા સરખી રીતે પણ પોતાની જગ્યાએથી ખસવા તૈયાર નથી. ખુરશી પર ચીટકી રહેવા માટે સિનિયર કોંગ્રેસીઓ રાહુલ ગાંધીની વેદનાને પણ કોરાણે મૂકી રહ્યા છે.

સિનિયર કોંગ્રેસીઓ સ્પષ્ટપણે માને છે કે ભલેને રાહુલ ગાંધીએ પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપ્યું હોય પણ અમારી જવાબદારી નથી. કોંગ્રેસની હાર માટે સિનિયર કોંગ્રેસીઓ કોઈ પણ રીતે જવાબદાર નથી. ખાસ કરીને સિનિયર કોંગ્રેસીઓને લીડર તરીકે ગુજરાતના નેતાનું નામ આવી રહ્યું છે. રાહુલ ગાંધીને લોકસભાની ચૂંટણીમાં ઉંધો પાડવા માટે ગુજરાતના સિનિયર કોંગ્રેસી નેતાએ આખી બાજી ગોઠવી હતી. ભાજપના કેટલાક નેતા કહે છે કે જ્યાં સુધી ગુજરાતના આ સિનિયર નેતા છે ત્યાં સુધી ગુજરાત તો હવે કેન્દ્રમાં પણ ભાજપને આવનાર 25-30 વર્ષ સુધી કોઈ માઈનો લાલ હરાવી શકવાની તાકાત રાખતો નથી.

અશોક ગેહલોત અને કમલનાથે પણે આ નેતાના ઈશારે જ પોતાના રાજીનામા આપ્યા નથી, માત્ર વાતો કરી છે અને પાર્ટીને ડરાવી પણ છે. કમલનાથે તો વડાપ્રધાન મોદીની મુલાકાત લીધી હતી અને તેની પાછળનું રાજકીય ગણિત એમ કહે છે કે કમલનાથે રાહુલ ગાંધીને ડરાવ્યા હતા કે જો કશુંક કરશો તો એમપીની કોંગ્રેસ સરકાર પડી ભાંગશે.

રાજસ્થાનમાં અશોક ગેહલોત સાથે ધારાસભ્યો નથી અને ધારાસભ્યો જ નહી રાજસ્થાનની પ્રજા પણ સચિન પાયલોટને સીએમ પદે જોવા માંગે છે. પરંતુ ગુજરાતના સિનિયર કોંગ્રેસી નેતા સાથે અશોક ગેહલોતની લોબી ચાલે છે અને સીધા સંપર્કો સોનિયા ગાંધી સાથે હોવાથી અશોક ગેહલોતને ઓક્સિજન પર ઓક્સિજન મળી રહ્યું છે.

અશોક ગેહલોતને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાનો દાવ પણ ગુજરાત સિનિયર કોંગ્રેસી નેતાના ઈશારે જ રમવામાં આવી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાના બદલે ડખા અને જૂથવાદમાં ખૂંપાવી દઈને સિનિયર કોંગ્રેસી નેતા દિલ્હીમાં આરામથી કોંગ્રેસના નેતાઓને રમાડી રહ્યા છે. હવે ગાંધી પરિવારમાં પણ ડખો ઉભો કરી દેવામાં આવ્યો છે. માતા વિરુદ્વ પુત્ર અને ભાઈ વિરુદ્વ બહેનને કરી દેવાની રાજરમત અને પ્રપંચો કરવામાં આવ્યા છે.

જીત માટે ઈંગ્લેન્ડે આપ્યો ભારતને 338 રનનો ટારગેટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આઈસીસી વર્લ્ડ કપમાં રોમાંચક અને નિર્ણાયક મેચ ચાલી રહી છે. ભારતે ટોસ જીતીને બોલીંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડે બેટીંગ કરી નિર્ધારિત 50 ઓવરમાં 337 રનનો ટારેગટ આપ્યો હતો.

ઈંગ્લેન્ડ વતી જેજે રોયએ 66 રન બનાવ્યા હતા. જ્યારે જેએમ બૈરસ્લોવે 109 બોલમાં 111 રના બનાવી પોતાની સદી ફટકારી હતી. આ ઉપરાંત રૂટના 44, મોર્ગન-1, બેન સ્ટોક્સ-79, જ્યોર્જ બટલર-20, અને વોક્સે સાત રન બનાવ્યા હતા. પુલનકેટ-1 અને જેસી આર્ચર નોટ આઉટ રહ્યા હતા.

ભારત વતી બોલીંગમાં ફરી એક વખત મહોમ્મદ શમીનો તરખાટ જોવા મળ્યો હતો. શમીએ 10 ઓવરમાં 69 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે બૂમરાહે 10 ઓવરમાં 44, ચહલે 88, હાર્દિક પંડયાએ 60 અને કુલદીપ યાદવે 72 રન આપ્યા હતા.

પાંચ વિકેટ ઝડપી સૌથી શમી સૌથી સફળ બોલર રહ્યો હતો. ઈંગ્લેન્ડના તોતીંગ ટારગેટને અટકાવવામાં શમીની બોલીંગનો કરિશ્મો કામે આવ્યો હતો. બમરાહ અને ચહલે એક-એક વિકેટ ઝડપી હતી.

બજેટ-2019: 10 કરોડથી વધુની આવક પર લાગશે ભારે ટેક્સ, 2.5 લાખની આવકવેરા છૂટની મર્યાદા વધશે

આગામી સામાન્ય બજેટમાં વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા મર્યાદા 2.5 લાખથી વધી શકે છે. આની સાથે જ 10 કરોડ રૂપિયા કરતાં વધારાની વાર્ષિક આવક પર ભારે ટેક્સ એટલે કે 40 ટકા ટેક્સ ચૂકવવાની જોગવાઈ કરી શકાય છે. કેપીએમજીના સરવેમાં અનુમાન કરવામાં આવ્યું છે.  કેપીએમજી-ઈન્ડીયાના 2019-20ના બજેટ પહેલાં કરવામાં આવેલા સરવેમાં વિભિન્ન ઉદ્યોગોના 226 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.

આ સરવેમાં 74 ટકા લોકોએ મત આપ્યો હતો કે વ્યક્તિગત આવકવેરાની છૂટ 2ય5 લાખ રૂપિયા છે તેમાં વધારો કરવામાં આવશે. જ્યારે 58 લોકોનું કહેવું હતુ કે સરકાર 10 કરોડ રૂપિયાની આવક ધરાવતા સુપર રીચ લોકો પર 40 ટકાના ઉંચા દર ટેક્સ લાગૂ કરવા પર વિચારણા કરી શકે છે.

સરવેમાં 13 ટકા લોકોનું કહેવું હતું કે વારસાઈને પાછી લેવામાં આવી શકે છે. જ્યારે 10 ટકા લોકોનું કહેવું હતુ કે સંપત્તિ કર-એસ્ટેટ ટેક્સને ફરીથી લાગૂ કરવાની જરૂર છે. ઘરોની માંગને વધારવા માટે 65 ટકા લોકોનુ માનવું હતું કે બજેટમાં માલિકી ધોરણના આવાસ પર વ્યાજની મર્યાદાને બે લાખ કરતા વધારવાની જરૂર છે.

આ સરવેમાં 51 ટકા લોકોનું કહેવું હતું કે સરકાર આવાસ લોનની મૂળ રકમનાં પૂનર્ભૂગતાન અંગે કલમ-80 સી હેઠળ હાલ 1.5 લાખ રૂપિયાની મર્યાદામાંથી અલાયદો ફાળો ફાળવી શકે છે.

જોકે, 53 ટકા લોકોનું માનવું હતું કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ પાંચ જુલાઈએ રજૂ થનારા બજેટમાં પ્રત્યક્ષ કરમાં કોઈ ફેરફાર કરશે નહીં. જ્યારે 46 ટકા લોકોનું કહેવું હતું કે કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સને ઘટાડીને 25 ટકા કરવામાં નહીં આવવું જોઈએ. કંપનીઓએ કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની માંગ કરી છે.

દંગલ ક્વિન ઝાયરા વસીમે બોલિવૂડને કહી અલિવદા, આપ્યું ચોંકાવનારું કારણ

રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી બોલિવૂડની અભિનેત્રી ઝાયરા વસીમે એક્ટીંગ ફિલ્ડને છોડવાનો નિર્ણય કરી રવિવારે લાંબી-લચક પોસ્ટ લખી જણાવ્યું કે હું આ કામથી ખૂશ નથી. કારણ કે આ કામ મારા ધર્મના રસ્તે આવી રહ્યું છે. પોતાની ફેસબૂક પર વિસ્તારથી લખેલી પોસ્ટમાં દંગલ ફિલ્મથી લોકપ્રિયતા હાંસલ કરનારી ઝાયરા વસીમે કહ્યું કે તેને લાગ્યું કે ભલે હું અહીંયા સારી રીત ફીટ થઈ જાઉં પણ હું આ જગ્યા માટે બની નથી. પાંચ વર્ષ પહેલાં નિર્ણય કર્યો હતો અને આ નિર્ણયે મારું જીવન બદલી નાંખ્યું. મેં બોલિવૂડમાં પગ મૂક્યા તો મારી લોકપ્રિયતાના દરવાજા ખૂલી ગયા.

તેણે કહ્યું કે હું લોકોનું ધ્યાન કેન્દ્રીત કરી શકી. મને સફળતાના વિચાર સાથે રજૂ કરવામાં આવી. યુવાનોના રોલ મોડેલ તરીકે મારી ઓળખ થવા માંડી. પણ મેં ક્યારેય પણ આવા બનવાની કલ્પના પણ કરી ન હતી. કામથી મળેલી ઓળખથી ખૂશ નથી.

ઝાયરાએ લખ્યું છે કે લાંબા સમય બાદ એવું લાગ્યું કે હું કશું અલગ જ બનવા માટે જન્મી છું. મેં વસ્તુઓને સમજવાની શરૂઆત કરી. બોલિવૂડ મારા માટે નિશ્ચિત રીતે પ્રેમ, સહયોગ અને સરહાના લઈને આવ્યું પણ સાથે જ મને અજ્ઞાનતાના રસ્તે ધકેલી દીધી. કારણ કે હું કોઈક રીતે ઈમાન રસ્તા પરથી ભટકી ગઈ હતી. હું મારા અને ઈમાન વચ્ચે આવી રહેલા માહોલમાં કામ કરી રહી હતી. મારો ધર્મ સાથેનો સંબંધ ખતરામાં પડી ગયો હતો.

અફઘાનિસ્તાન સામે રોમાંચક મેચમાં પાકિસ્તાનને ઇમાદ વસીમે જીતાડ્યું

શનિવારે લીડ્સ ખાતે રમાયેલી વર્લ્ડ કપની મેચમાં શાહિન આફ્રિદીની જોરદાર બોલિંગને કારણે અફઘાનિસ્તાનની ટીમ 9 વિકેટે 227 રન સુધી સિમિત રહી હતી અને પાકિસ્તાન સામે 228 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહેમાન, મહંમદ નબી અને રાશિદ ખાનની જોરદાર બોલિંગને કારણે હારની નજીક પહોંચેલા પાકિસ્તાનને ઇમાદ વસીમે 54 બોલમા 49 રનની ઇનિંગ રમીને પાકિસ્તાનને 3 વિકટે જીતાડ્યું હતું.

ટોસ જીતીને પહેલો દાવ લેવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને પાંચમી ઓવરમાં સતત બે બોલમાં કેપ્ટન ગુલબદીન નૈબ અને હશમતુલ્લાહ શાહિદીની વિકેટ ગુમાવતા તેમનો સ્કોર બે વિકેટે 57 રન થયો હતો. બીજા ઓપનર રહમત શાહે ક્રિઝ પર પુરતો સમય ગાળ્યો હોવા છતાં તે મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયો હતો અને 43 બોલમાં 35 રન કરીને તે આઉટ થયો હતો, તે પછી અસરગર અફઘાન અને ઇકરામ અલીખીલે મળીને ચોથી વિકેટની ભાગીદારીમાં 64 રન ઉમેર્યા હતા. જો કે આ બંને બે ઓવરના ગાળામાં માત્ર 4 રનના ઉમેરામાં આઉટ થયા હતા અને અફઘાનિસ્તાન ફરી સંકટમાં આવ્યું હતું. સારી બેટિંગ કરી રહેલો મહંમદ નબીએ પોતાની વિકેટ જાણે કે કે ફેંકી દીધી હતી. જો કે તે પછી નઝીબુલ્લાહે રમેલી સારી ઇનિંગને કારણે અફઘાનિસ્તાન 227 રન સુધી પહોંચ્યું હતું.

228 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાનની શરૂઆત સારી રહી નહોતી અને મેચના બીજા જ બોલે મુજીબ ઉર રહેમાને ફખર ઝમાનને આઉટ કરી દીધો હતો. ઇમામ ઉલ હક અને બાબર આઝમે તે પછી 72 રનની ભાગીદારી કરી હતી ત્યારે મહંમદ નબીએ બે ઓવરના ગાળામાં બંનેની વિકેટ ઉપાડીને અફઘાનિસ્તાનને ફરી મેચમાં આણ્યું હતું તે પછી મહંમદ હાફિઝ અને હેરિસ સોહેલે મળીને 40 રનની ભાગીદારી કરી હતી ત્યારે ફરી એકવાર મુજીબ ઉર રહેમાને હાિફઝને પોઇન્ટ પર કેચ આઉટ કરાવીને અફગાનિસ્તાનને બ્રેક થ્રુ અપાવ્યો હતો અને પાકિસ્તાનનો સ્કોર 4 વિકેટે 121 રન થયો હતો. તે પછી સોહેલ અને સરફરાઝ અહેમદે મળીને 21 રનની ભાગીદારી કરી તે પછી રાશિદ ખાને સોહેલને આઉટ કરતાં પાકિસ્તાને 142 રનના સ્કોર પર પાંચમી વિકેટ ગુમાવી હતી. તે પછી સ્કોર 156 પર પહોંચ્યો ત્યારે પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહેમદ બે રન લેવાના પ્રયાસમાં રન આઉટ થયો હતો. તે પછી ઇમાદ વસીમ અને શાદાબ ખાન વચ્ચે 50 રનની ભાગીદારી થઇ હતી. શાદાબ11 રન કરીને આઉટ થયો હતો જો કે અફઘાનિસ્તાન કેપ્ટન 46મી ઓવર ફેંકવા આવ્યો તે ઓવરમાં 18 રન આવ્યા અને બાજી અફઘાનિસ્તાનના હાથમાંથી સરકી ગઇ હતી અને અંતે 49.4 ઓવરમાં તેમણે લક્ષ્યાંક કબજે કરીને 3 વિકેટે જીત મેળવી હતી.

ઈરાન-અમેરિકા ધર્ષણ: અમેરિકાએ કતરમાં તૈનાત કર્યા ફાઈટર પ્લેન

અમેરિકાએ ઈરાનની સાથે વધી રહેલા ઘર્ષણની વચ્ચે પહેલીવાર શુક્રવારે કતરમાં રડારથી બચીને નીકળવામાં સક્ષમ એવા F-22 ફાઈટર પ્લનને તૈનાત કરી દીધા છે.

માનવામાં આવે છે કે અમેરિકાના આ પગલા પાછળનું કારણ ઈરાન ફરીથી અમેરિકાના ડ્રોનને તોડી પાડવામાં સફળ ન થાય. ગયા સપ્તાહે ઈરાને અમેરિકન આર્મીના ડ્રોનને તોડી પાડ્યું હતું. અમેરિકાની વાયુ સેનાની મધ્ય એશિયાની વિંગે જણાવ્યું છે કે F-22 ફાઈટર રેપ્ટર સ્ટેલ્થ પ્લેનને અમેરિકાના હિતો અને રક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

સ્ટેલ્થ પ્લેન રડારની પકડમાંથી બચીને નીકળી જાય છે. કેટલા પ્લેનને કતર મોકલવામાં આવ્યા છે તેનો આંકડો આપવામાં આવ્યો નથી. પણ ફોટોમાં કતરના અલ ઉદીદ એરબેઝ પરથી પાંચ ફાઈટર પ્લેન ઉડતા જોવા મળ્યા હતા.

ઈરાનની સાથે 2005માં થયેલા પરમાણુ કરારથી અમેરિકાના બહાર નીકળી જવાના નિર્ણય બાદ બન્ને દેશો વચ્ચે તંગદિલી વ્યાપેલી છે. અમેરિકાએ ઈરાન પર બીજી વખત પ્રતિબંધ મૂકી દીધો છે.

સુરતના સિનિયર કોંગ્રેસી નેતા કરી શકે છે ભાજપ જોઈન? ટૂંક સમયમાં કડાકા-ભડાકા?

ગુજરાત કોંગ્રેસમાં જે પ્રકારે કાર્યકરો અને આગેવાનોમાં હતાશા અને નિરાશાનું વાવાઝોડું ફૂંકાયું છે અને જે પ્રકારે જૂથબંધી ચાલી રહી છે તેની અડફેટમાં સુરત પણ આવી શકે એમ છે. સુરત કોંગ્રેસના સિનિયર નેતા કોંગ્રેસ છોડવાની વેતરણમાં હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

હાલમાં આ સિનિયર નેતા વિદેશ યાત્રાએ જવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસમાં ચાલી રહેલા યાદવસ્થળી અને કોંગ્રેસના સંગઠનના નીકળેલા જનાજાથી ખાસ્સા નારાજ ચાલી રહ્યા છે. વર્ષોથી સુરતમાં કોંગ્રેસના સંગઠનમાં સક્રીય રહેલા અને સુરત મહાનગરપાલિકામાં હોદ્દા ભોગવી ચૂકેલા નેતા દ્વારા આકરો નિર્ણય લેવામાં આવે તેવી ચર્ચા કોંગ્રેસમાં ચાલી રહી છે.

કોંગ્રેસ વર્તુળો મુજબ પ્રદેશ કક્ષાના નેતા સાથે સક્રીય રહેલા આ નેતાએ હવે પ્રદેશ નેતાની સાથેનો ધરોબો ઓછો કરી નાંખ્યો છે. સુરતમાં તેમના સમર્થકોની સંખ્યા મોટી છે. કોંગ્રેસ સૂત્રો મુજબ કોંગ્રેસના સિનિયર નેતા દ્વારા આકરા નિર્ણય રૂપે તેઓ ભાજપમાં એન્ટ્રી કરે તેવું મનાય રહ્યું છે. તેમની સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાઈ જાય તો આશ્ચર્ય લેખી શકાશે નહીં. સુરતમાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. તેઓ સુરત કોંગ્રેસની કામગીરીથી પણ ખાસ્સા નારાજ ચાલી રહ્યા હોવાનું કોંગ્રેસ વર્તુળો જણાવી રહ્યા છે.

હદ પાર કરતી બેજવાબદારી: રાજીનામાની વણઝાર વચ્ચે ગુજરાત કોંગ્રેસમાં કોઈ ટસથી મસ નથી

સમગ્ર દેશમાં રાહુલ ગાંધીના પગલે રાજીનામની વણઝાર ચાલી રહી છે પણ ગુજરાત કોંગ્રેસમાં કોઈ મગનું નામ મરી પાડી રહ્યું નથી. ગુજરાત કોંગ્રેસમાં એક માત્ર પરેશ ધાનાણીએ રાજીનામાની ઓફર કરી હતી પણ હવે ત્યાર બાદ સંગઠનમાંથી એક પણ જણે રાજીનામા આપ્યા નથી.

મહત્વની વાત તો એ છેકે ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન સાફ થઈ ગયું છે. એક તરફ વિધાનસભામાં 80 સીટ જીત્યા બાદ એક પછી એક ધારાસભ્યોના રાજીનામા પડ્યા અને આખીય કોંગ્રેસ તમાશો જોતી હતી. પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસના સર્વેસર્વા મનાતા અહેમદ પટેલ ખામોશ હતા. હા, રાજ્યસભાની પોતાની ચૂંટણી વખતે અહેમદ પટેલે આખી કોંગ્રેસને ઉપરતળે કરી દીધી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું છે કે મારા રાજીનામા પછી એકેય મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખે જવાબદારી સ્વીકારી રાજીનામા આપ્યા નથી. વાત ગુજરાતન કરીએ તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા સંગઠનના હોદ્દેદારો સુધી રાહુલ ગાંધીની વેદના પહોંચી ન હોય એ વાત માની શકાતી નથી. આજે યુપીમાંથી 40 કરતાં વધુ રાજીનામા પડ્યા છે.

લોકસભાની ચૂંટણીમાં બીજી વાર ગુજરાત કોંગ્રેસે 26માંથી 25 સીટ હારી ગઈ. અહેમદ પટેલને ગુજરાત કોંગ્રેસના ચાણક્ય માનવામાં આવે છે અને પાછલા 30 વર્ષથી ગુજરાત કોંગ્રેસ સંપૂર્ણપણે સાફ છે. કોંગ્રેસના કાર્યકરોમાં મોટાપાયા પર હતાશા અને નિરાશા વ્યાપી ગઈ છે. મોટા-મોટા નેતાઓ કાં તો નિષ્ક્રીય થઈ ગયા છે અથવા તો હવે કોંગ્રેસ છોડવાની તૈયારી કરી રહ્યા છે.

કોંગ્રેસ સૂત્રોની માનીએ તો ગુજરાત કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીના પગલે એટલા માટે રાજીનામા આપવામાં આવી રહ્યા નથી કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જ્યાં કોંગ્રેસની સરકારો હતી છતાં કારમી હાર ખમવી પડી છે ત્યાંના પ્રદેશ પ્રમુખ કે મુખ્યમંત્રીઓએ રાજીનામા આપ્યા નથી. વાસ્તે ગુજરાત કોંગ્રેસમાં પણ રાજીનામા આપવામાં આવી રહ્યા નથી તેવો તર્ક રજૂ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત કોંગ્રેસ માટે એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીનું કોઈ મહત્વ જ નથી. ભલેને રાહુલ ગાંધી રાજીનામું આપે, આપણને શું લેવા દેવા?  આવા મતલબની વાતો કોંગ્રેસીઓમાં ચર્ચાઈ રહી હોવાનું સૂત્રો કહી રહ્યા છે. ગુજરાતના નેતાઓના મોઢા પરથી માખી પણ ઉડી રહી નથી.

બીજું એ કે રાજ્યસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે લણી-લણીને ગૌરવ પંડ્યા અને ચંદ્રીકાબેન ચૂડાસમાને જ પસંદ કર્યા. અહેમદ પટેલના કહેવાથી હારવાની સીટ પર પણ કોઈ નવા નામની પસંદગી કરવાના બદલે એ જ જૂની યાદવસ્થળીને જ અપગ્રેડ કરવામાં આવી છે.