IPL 2025 ની બાકીની મેચો માટે નવું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. બાકીની લીગ મેચો 17 મેથી શરૂ થશે, જ્યારે ફાઇનલ 3 જૂને રમાશે. જોકે, નોકઆઉટ મેચોનું સ્થળ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. લીગનું સુધારેલું શિડ્યૂલ સોમવારે જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, ગયા શુક્રવારે IPL એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવ્યું હતું.
આ છે નવું શેિડ્યૂલ
IPL ના સુધારેલા શિડ્યૂલ મુજબ, બેંગ્લોર અને કોલકાતા વચ્ચેની મેચ 17 મેના રોજ બેંગ્લોરમાં રમાશે. જ્યારે લીગ સ્ટેજની છેલ્લી મેચ લખનૌ અને બેંગ્લોર વચ્ચે લખનૌમાં રમાશે. પહેલા એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે જયપુરમાં કોઈ લીગ મેચ નહીં હોય. પરંતુ બોર્ડ દ્વારા પસંદ કરાયેલા છ શહેરોમાં જયપુરનો સમાવેશ થાય છે. IPL 2025 ની બાકીની મેચો બેંગ્લોર, જયપુર, દિલ્હી, લખનૌ, મુંબઈ અને અમદાવાદમાં રમાશે.
પ્લેઓફ સ્થળની જાહેરાત પછી કરવામાં આવશે
ક્વોલિફાયર 1 29 મેના રોજ રમાશે, જ્યારે એલિમિનેટર 30 મેના રોજ રમાશે. બીજી ક્વોલિફાયર 1 જૂને અને ફાઇનલ મેચ 3 જૂને રમાશે. જોકે, પ્લેઓફ મેચો ક્યાં યોજાશે તે અંગે હજુ સુધી સ્થળની જાહેરાત કરવામાં આવી નથી.
સુધારેલા સમયપત્રકની જાહેરાત કરતા, IPL એ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટાટા IPL 2025 ફરી શરૂ કરવાની જાહેરાત કરતા ખુશ છે. સરકાર, સુરક્ષા એજન્સીઓ અને તમામ મુખ્ય હિસ્સેદારો સાથે વ્યાપક પરામર્શ પછી, બોર્ડે બાકીની સિઝન સાથે આગળ વધવાનો નિર્ણય લીધો છે.”
IPA એ વધુમાં જણાવ્યું હતું કે, “17 મે, 2025 થી શરૂ થઈને 3 જૂન, 2025 ના રોજ ફાઇનલમાં કુલ 17 મેચ 6 સ્થળોએ રમાશે. સુધારેલા સમયપત્રકમાં બે ડબલ-હેડરનો સમાવેશ થાય છે, જે બે રવિવારે રમાશે.”
IPL એ માહિતી આપી છે કે બાકીની પ્લેઓફ મેચોની તારીખો પછીથી જાહેર કરવામાં આવશે. રિલીઝમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “પ્લેઓફ મેચો માટે સ્થળની વિગતો પછીથી જાહેર કરવામાં આવશે. BCCI આ તકનો લાભ લઈને ફરી એકવાર ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીને સલામ કરે છે, જેમના પ્રયાસોથી ક્રિકેટનું સુરક્ષિત પુનરાગમન શક્ય બન્યું છે. બોર્ડ લીગની સફળતાપૂર્વક પૂર્ણતા સુનિશ્ચિત કરીને રાષ્ટ્રીય હિત પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.”