અમદાવાદ સિવિલમાં ડેડિકેટેડ 1200 બેડ કોવિડ હોસ્પિટલ ખાતે દેશની સૌ પ્રથમ પ્લાઝમા બેન્ક 24 જૂનથી કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 30 કરતાં વધુ પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે.
ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) દ્વારા અદ્યત્તન મશીન મારફતે કોવિડના સાજાં થયેલાં દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરતી વખતે ICMR અને NBTCની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે. પ્લાઝમા લેતી વખતે ડોનરનું એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે.
આ પ્લાઝમામાં કોરોના વાયરસ સામેની એન્ટીબોડી હોય છે. કોરોનાની બીમારીમાંથી સાજા થયેલાં દર્દીના શરીરમાં વાયરસ સામે એન્ટીબોડી ઉત્પન થાય છે. આ એન્ટીબોડી સાજા થયેલાં દર્દીના શરીરમાંથી નીકાળીને કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. લોહીમાં રક્તકણો અને તેનો પ્રવાહી ભાગ હોય છે જેને પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે. કોવિડ-19ના ઈન્ફેક્શનમાંથી સાજા થઈ ગયેલા દર્દીઓના પ્લાઝમામાં રો
ગપ્રતિકારક એન્ટીબોડી હોવાની શક્યતા હોય છે. સાજા થયેલાં દર્દીના પ્લાઝમાને “કન્વેર્લિસેન્ટ પ્લાઝમા” કહેવાય છે જે કોરોનાના દર્દીને આપવાથી દર્દી સાજો થવાની શક્યતા વધી જાય છે. આ પ્રકારના દર્દીઓ માટે વિશેષ રીતે પ્લાઝમા બેન્ક શરૂ કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ કે જેઓને તાવ અને કફ જેવા કોવિડ-૧૯ ના લક્ષણો, RT-PCR થી કોવિડ-19નો પોઝેટીવ રીપોર્ટ હોય તેવા દર્દીઓ જ્યારે રોગમુક્ત થયાના ૨૮ દિવસ પછી અથવા ૧૪ દિવસ પછી ૨૪ કલાકના અંતરે કોવિડ-19ના ૨ RT-PCR નેગેટીવ રીપોર્ટ ધરાવતા હોય તેવા સાજાં થયેલાં દર્દીઓની ઉંમર 18 થી 65 વર્ષ, વજન 50 કિલોથી વધારે તેમજ હિમોગ્લોબિન 12.05 ટકાથી વધારે હોય તેવા ડોનર પાસેથી ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) દ્વારા પ્લાઝમા લેવામાં આવે છે.

રક્તદાતાને તમામ પ્રકારની માહિતી આપી અને મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ બ્લડ બેંકમાં એફેરેસીસ નામના મશીનમાં લોહીના ઘટકો અલગ પાડીને 500 મીલી પ્લાઝમા એકત્ર કરવામાં આવે છે અને બાકીના રક્તદાતાના શરીરમાં પરત આપી દેવામાં આવે છે. કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેશન એકદમ સરળ અને સંપૂર્ણપણે સુરક્ષિત પક્રિયા છે. જેમાં માત્ર લોહીનો એકજ ઘટક પ્લાઝમા ડોનેટ કરવામાં આવે છે. પ્લાઝમા ડોનર એકવાર ડોનેટ કર્યા બાદ બીજા 15 દિવસ પછી ફરી કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેટ કરી શકે છે.
સિવિલ હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારી ડૉ.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું કે, કોરોનાનાં મધ્યમ કક્ષાનાં લક્ષણો ધરાવતા હોય અને બાહ્ય ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીને પ્લાઝમા આપવાથી તેના સ્વાસ્થયમાં ઝડપથી સુધારો જોવા મળે છે. દરેક દર્દીને 200 મિલી લિટર કન્વેર્લિસેન્ટ પ્લાઝના બે ડોઝ ચડાવવામાં આવે છે. 100 મીલી પ્લાઝમા સંશોધન પક્રિયા માટે રાખવામાં આવે છે. પ્લાઝમા ડોનેટની સમગ્ર પક્રિયા બે કલાકમાં પૂર્ણ કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટશ્રી ડૉ.જે.પી.મોદીએ કહ્યું કે, કોરોનાના દર્દીઓના સ્વાસ્થયમાં પ્લાઝમા ટ્રાન્સમિશનથી ખૂબજ ઝડપથી સુધારો જોવા મળે છે જેને પરિણામે સિવિલ હોસ્પિટલના 19 ડૉક્ટર્સ દ્વારા સ્વયંભૂ રીતે પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું છે જેને પરિણામે ઘણાબધા દર્દીઓમાં બાહ્ય ઓક્સિજનની જરૂરિયાત પણ ઘટી છે. આમ, સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સ વોર્ડમાં તો દર્દીઓની સાર-સંભાળ રાખી રહ્યા છે સાથો-સાથ પોતે પ્લાઝમા ડોનેટ કરીને દર્દીને સાજા કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી બેવડી ભૂમિકા ભજવી રહ્યા છે.
ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) ના પ્રોફેસર ડૉ. મૈત્રેય ગજ્જર અને એસોસિયેટ પ્રોફેસર ડૉ. નિધી ભટનાગરે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતેથી સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓનો સંપર્ક કરી પ્લાઝમા ડોનેટ કરવા માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી સમયમાં વિવિધ બ્લડ ગ્રુપ ધરાવતા પ્લાઝમા ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરી નિયમોનુસાર પ્લાઝમા બેન્કમાં સંગ્રહ કરવામાં આવશે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના બલ્ક ટ્રાન્સફર નિયમ મુજબ જરૂર જણાય તો ગુજરાત અને દેશમાં અન્ય સ્થળોએ પણ પ્લાઝમા ટ્રાન્સફર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સ્મૃતિ ઠક્કર દેશની સૌ પ્રથમ પ્લાઝમા ડોનર બની હતી. પેરિસથી પરત આવેલ સ્મૃતિ કોરોનામાંથી મુક્ત થયા બાદ તેઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક ખાતે 19 એપ્રિલ 2020ના રોજ પ્લાઝમા ડોનેટ કર્યું હતું જેનો ઉપયોગ એસવીપી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ કોરોનાગ્રસ્ત દર્દી માટે કરવામાં આવ્યો હતો.