ગઈકાલે રાત્રે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને રૃટીન ચેકઅપ માટે ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાના અહેવાલ આવ્યા હતાં. કોંગ્રેસના કાર્યવાહક અધ્યક્ષ તરીકે તેઓ હાલમાં જવાબદારી સંભાળી રહ્યાં છે, અને બીમારી તથા વધતી જતી ઉંમરના પડકારો છતાં તેઓ કોંગ્રેસને ચેતનવંતી રાખવાના પ્રયાસો કરી રહ્યાં છે, તે ઉપરાંત પ્રિયંકા ગાંધી દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવાની સાથે-સાથે યોગી સરકારને ઘેરી રહ્યાં છે, જ્યારે રાહુલ ગાંધી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા પછી પણ નિષ્ક્રિય રહ્યાં જ નથી, બલ્કે વધુ સક્રિય થઈ ગયા હોય અને એક પીઢ રાજકારણી થઈ રહ્યાં હોય તેમ દરરોજ મોદી સરકારને પડકારતા ટ્વીટનો મારો ચલાવી રહ્યાં છે.
હવે કોંગ્રેસમાંથી મજબૂત રીતે અવાજ ઉઠવા લાગ્યો છે કે, રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસનું સુકાન સોંપી દેવું જોઈએ. ગઈકાલે જ સોનિયા ગાંધીએ કોંગ્રેસના રાજયસભાના સભ્યોની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મિટિંગ બોલવી હતી અને સંસદીય પાંખની રણનીતિ ઘડવા ઉપરાંત રાજકીય અને સંગઠનના મુદ્દે ચર્ચાઓ થઈ હોવાના અહેવાલો આવ્યા હતાં.
રાજયસભાના કોંગી સભ્યોએ આ વર્ચ્યુઅલ બેઠક દરમિયાન રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસ પ્રમુખ બનાવવા માટે જોરદાર રજુઆત કરી હતી. સૂત્રોના હવાલાથી એવા અહેવાલો પણ આવ્યા હતા કે આ બેઠક દરમિયાન રિપુન બોરા, પી.એસ.પુનિયા, છાયા વર્મા સહિતના વરિષ્ઠ સાંસદોએ રાહુલ ગાંધીને કોગ્રેસનું સુકાન સોંપવા માટે જોરદાર માંગણી ઉઠાવીને કહ્યું હતું કે કોંગ્રેસમાંથી સીધા મોદીને પડકાર આપી શકે તેવી ક્ષમતા ધરાવતા નેતા માત્ર રાહુલ ગાંધી જ છે, અને હવે તેઓ પરિપકવ પણ થઈ ગયા છે, તેથી હવે રાહુલ ગાંધીને ફરીથી માનભેર કોંગ્રેસ પ્રમુખ બનાવવા જોઈએ. આવું થશે તો કોંગ્રેસના કાર્યકરોમાં પણ જોમ-જુસ્સો વધશે અને કોંગ્રેસને મજબૂત નેતાગીરીની સાથે સાથે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીનું સતત માર્ગદર્શન મળતું રહેશે, જેથી પાર્ટીને બેવડો ફાયદો થશે. રાહુલ ગાંધી કોંગ્રેસની જવાબદારી સંભાળી લેશે, તો સોનિયાગાંધી યુપીએના વિસ્તૃતિ કરવા અને મજબૂતી કરણ માટે વધુ સમય પણ ફાળવી શકશે.
બીજી તરફ રાહુલ ગાંધી દરરોજ કોઈને કોઈ મુદ્દે મોદી સરકારને ઘેરતા જ રહે છે. ગઈકાલે રાજસ્થાનની મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ રાહુલ ગાંધીના એક ટ્વીટને રિટ્વીટ કર્યું હતું. જેની સાથે ગેહલોતે લખ્યું હતું ‘પ્રધાનમંત્રી મોદીની ખોટી નીતિઓ દેશ માટે વિનાશકારી પુરવાર થઈ છે.
જેમ કે રાહુલ ગાંધીએ નિર્દેશ કર્યો છે, કે ભલે નોટબંધી હોય કે જીએસટીનો અધકચરો અમલ હોય કે પછી કોરોનાને લઈને ગેરવ્યવસ્થા હોય કે ખાડે ગયેલું અર્થતંત્ર હોય, રોજગારી છીનવાઈ જવાથી ચારે તરફ હાહાકાર મચ્યો છે. દસ કરોડ નોકરીઓ છીનવાઈ જવાના ડરથી ભયનો માહોલ ઊભો થયો છે.
હકીકતે જ્યારે કોંગ્રેસ પાસે રાજ્યકક્ષાએ અશોક ગેહલોત, બધેલ, અને રાષ્ટ્રીય સિતારામૈયા જેવા નેતાઓ હોય અને રાષ્ટ્રીય કક્ષાએ આનંદ શર્મા, ગુલામનબી આઝાદ, અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ જેવા દિગ્ગજો હોય ત્યારે હવે કોંગ્રેસને કોઈપણ એક મજબૂત સર્વોચ્ય નેતાગીરીની જરૃર છે? જો કે, હજુ સોનિયા ગાંધી ઘણું બધું સંભાળીને બેઠા છે, પરંતુ બીમારી અને વધતી જતી ઉંમર તથા યુપીએની પણ જવાબદારી હોવાથી તેઓના જ માર્ગદર્શન હેઠળ રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસની કમાન્ડ સંભાળી લે, તેવી કોંગ્રેસમાં ઉઠતી માંગ પછી રાહુલ-પ્રિયંકાએ અંતિમ નિર્ણય લેવો જ પડશે.