મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાટકમુક્ત ગુજરાતની નેમને સાકાર કરવાની દિશામાં આગળ ધપતા રાજ્યની 20 નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલ્વે ક્રોસિંગ પર 16 રેલ્વે ઓવરબ્રિજ અને 10 રેલ્વે અંડરબ્રિજ માટે 757.37 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજુરી આપી છે.
સીએમ રૂપાણીએ આપેલી આ મંજૂરી અનુસાર જે 16 નગરોમાં રેલ્વે ઓવરબ્રિજ બનવાના છે તેમાં ઓખા, પાલીતાણા, પાટણ, તલોદ, વિસનગર, કરમસદ, ઉમરેઠ અને બારડોલીમાં 1-1 રેલ્વે ઓવરબ્રિજ તેમજ વેરાવળ, હિંમતનગર, આણંદ અને પેટલાદમાં 2-2 ઓવરબ્રિજ બનશે.
મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રેલ્વે ઓવરબ્રિજ તેમજ રેલ્વે અંડરબ્રિજના કામો માટે મંજુરી આપી છે.
રાજ્યના જે 10 નગરોમાં રેલ્વે અંડરબ્રિજ બનવાના છે તે નગરોમાં સિક્કા, નડિયાદ, બોપલ-ઘુમા, ઉના, કેશોદ, ડીસા, પેટલાદ, વ્યારા નગરોમાં 1-1 અને ગાંધીધામમાં ૨ રેલ્વે અંડરબ્રિજ નિર્માણ પામશે.
મુખ્યમંત્રીએ આ ઉપરાંત સુરેન્દ્રનગર અને ભચાઉ નગર માટે તેમજ જુનાગઢ મહાનગરપાલિકા માટે પણ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત આગવી ઓળખના 54.51 કરોડના કામોને મંજુરી આપી છે.
તદ્દઅનુસાર, સુરેન્દ્રનગરમાં મેકશન સર્કલ ડેમ રોડથી હેલીપેડ સુધી નવા ફલાય ઓવર બનાવવા માટે 42.50 કરોડના કામને મંજુરી આપવામાં આવી છે તેમજ સુરેન્દ્રનગર ગેઇટ અને જોરાવરનગર રેલ્વે સ્ટેશન વચ્ચે સબ-વે બનાવવા માટે 6.53 કરોડના કામ મંજુર કરવામાં આવ્યા છે.
ભચાઉ નગરપાલિકા વિસ્તારમાં ડેવલપીંગ એન્ટ્રી ઓફ ભચાઉ ટોવડર્ઝ ભૂજ એઝ ગેટ વે ઓફ કચ્છના આગવી ઓળખના કામ માટે 2.86 કરોડ મુખ્યમંત્રીએ મંજુર કર્યા છે.
તેમણે જુનાગઢ મહાનગરપાલિકામાં આવેલા સ્વીમીંગ પુલના નવીનીકરણ માટે 2.62 કરોડના આગવી ઓળખના કામને પણ મંજુરી આપી છે.