વડોદરામાં બારે મેઘખાંગા, 14 ક્લાકમાં રેકોર્ડ બ્રેક 18 ઈંચ વરસાદ, આર્મી એલર્ટ

સમગ્ર ગુજરાતમાં વરસાદની જોરદાર બેટીંગ ચાલી રહી છે. આજે વરસાદે વડોદરા શહેર અને જિલ્લાને ધમરોળ્યું હતું. પાછલા  કેટલાક કલાકોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે આજે મધ્ય ગુજરાત અને વડોદરામાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે બપોરે 12 વાગ્યા બાદ મેઘરાજાએ મનમૂકીને વરસવાનું શરૂ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાછલા 14 ક્લાકમાં વડોદરામાં 18 ઈંચ વરસાદ વરસી ગયો છે.

વડોદરાની સ્થિતિને લઈ મુખ્યમંત્રી  વિજય ભાઈ રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી સમીક્ષા હાથ ધરી હતી બે આઇએએસ અધિકારીઓ વિનોદ રાવ અને લોચન શહેરાને તાત્કાલિક વડોદરા પહોંચી સ્થાનિક તંત્રનું માર્ગદર્શન કરવા સુચના આપી હતી.

આર્મીને એલર્ટ કરી દેવામાં આવી છે. NDRFની ત્રણ ટીમોને સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે. અમદાવાદ અને સુરત કોર્પોરેશનના અધિકારીઓને મદદ માટે બોલાવવામાં આવ્યા છે. વડોદરામાં વર્ષો પછી જળબંબાકારની આવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.

વડોદરાના નીચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં તંત્રને સહયોગ આપવા નાગરિકને સીએમ રૂપાણીએ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી પોતે ગાંધનગર ફલડ કન્ટ્રોલ પર પહોંચી ગયા છે.

રેકોર્ડ બ્રેક વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભારાઇ ગયા હતા. વડોદરા હાઈવેથી સિટીમાં પ્રવેશવાના રસ્તાઓ પર ભારે ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તંત્રની સંપૂર્ણ બેદરકારી છતી થઈ રહી છે.

વડોદરા શહેર અને જિલ્લામાં ગત મોડી રાત્રીથી અત્યાર સુધીમાં જોરેદાર વરસાદ ખાબક્યો છે. લાંબા સમય બાદ મેઘરાજાની મહેરબાનીથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. પરંતુ, કેટલીક જગ્યાઓ પર પાણી ભરાઈ જવાને કારણે સ્કૂલે જતા બાળકો, અને નોકરી ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

પોર્ન વીડિયો જોઈ સુરતના અનિલ યાદવે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું, કઇ બાબતો લઈ ગઈ ફાંસીની સુધી, જાણો કેસની અથથી ઈતિ…

સુરતના લિંબાયત વિસ્તારમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે બદકામ કરનારને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. સુરતની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા દુષ્કર્મ અને હત્યાના આરોપી અનિલ યાદવને ફાંસીની સજા સંભળાવામાં આવી હતી. ગત 15-10 2018ના રોજ ગુનો કરનાર આરોપી ભાગીને બિહાર જતો રહ્યો હતો. બાદમાં પોલીસે આરોપીને બિહારથી ઝડપી લીધો હતો.

ગુજરાત સરકારે કેસ ઝડપી ચલાવવા તાકીદ કરી હતી. કોર્ટે 35 સાક્ષીઓ,મેડિકલ પુરાવવા,FSL પુરાવવા,સીસીટીવી ફૂટેજ વગેરે પુરાવવાના આધારે ફાંસીની સજા સંભળાવી હતી. બાળકીની માતા-પિતાએ પણ ચુકાદાને આવકાર્યો હતો અને દીકરીને ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી હતી.

સમગ્ર કેસની વિગત એવી છે કે, 14 ઓકટો., 2018ના રોજ ગોડાદરામાં રહેતો આરોપી અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી ત્રણ વર્ષિય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. અને માસુમ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાંખી હતી અને બાદમાં માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે પ્રથમ તો બાળકી ગમ થઈ હોવાથી પરિવાર અને પોલીસ સાથે શોધખોળ હાથ ધરી હતી ,અને ત્યાર બાદ આરોપી અનિલ પોતાના વતન નંદુરબાર ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો. સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીની લાશ પણ આરોપીના રૂમમાંથી મળી આવી હતી. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારના આદેશને પગલે સ્પીડ ટ્રાયલનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે તે સમયે સરકારે તો બે જ અઠવાડિયામાં કેસના નિકાલનો આદેશ કર્યો હતો.

પોલીસે આરોપીને ઝડપી પાડી કડક પૂછપરછ કરતા તેણે પોતાના મોબાઈલમાં પોર્ન વિડીયો જોયો હતો અને ત્યાર બાદ બાળકીને પોતાના ઘરમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહી બાળકીની હત્યા કર્યા બાદ તેણીની લાશને રૂમમાં જ કોથળામાં ભરી ફરાર થઇ ગયો હતો. આ કેસમાં સરકાર પક્ષે ધારદાર દલીલો કરવામાં આવી હતી. આ ઉપરાંત રિટાયર્ડ એસીપી રિયાઝ મુનશી ની પણ મદદ સારી એવી મળી હોવાથી સરકારી વકીલને દલીલોમાં ફાયદો થયો હતો , આરોપીને કડક સજા થાય એની પર ફોક્સ રહ્યો હતો. મોટા ભાગે રોજ હિયરિંગ ચાલ્યુ. જાન્યુઆરીમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યો અને છે જ મહિનામાં આરોપીને સજાનો હુકમ કરાયો. સરકાર પક્ષે મખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા આ કેસમાં સ્પે. પી.પી. રહ્યા. હતા.

આ એ સમય હતો જ્યારે ઉપરાછાપરી બાળકીઓ પર બળાત્કારની ઘટનાઓ બની રહી હતી. કુલ ત્રણ કેસમાં સ્પિડ ટ્રાયલના આદેશ કરાયા હતા જેમાં એક કેસ આ હતો. સરકારે બે અઠવાડિયામાં ટ્રાયલ પુરી કરવા કહ્યું હતું. આ માટે સ્પે. પી.પી.ની પણ નિમણૂંક કરાય હતી. બાળકીના પરિવારને વળતર પણ ઝડપી ચૂકવાયું હતું. જોકે આજે ફાંસીની સજાનું એલાન થતા પીડિત પરિવાર દ્વારા સરકાર , વકીલ , અને પોલીસનો ધન્યવાદ કર્યો હતો અમે સમાજમાં આ ફાંસીની સજા એ ઉદાહરણ બની જશે અને લોકો હવે આવું કરતા પહેલા થર થર કંપી ઉઠશે.

કઇ-કઈ બાબતો આરોપીને સજા સુધી લઇ ગઈ

  • 5 સાક્ષીઓની જુબાની
  • મેડિકલ પુરાવા
  • સ્થળ પરના પુરાવા
  • પિતાની જુબાની
  • સીસીટીવી ફુટેજ
  • એફએસએલ પુરાવા
  • પાલેજ સ્ટેશનના સીસીટીવી ફુટેજ જ્યાં આરોપી હતો
  • આરોપીની કોલ ડિટેઇલ
  • કેસની ટૂંકી વિગત
  • 14 ઓકટો., 2018: ગુનો બન્યો
  • 15 ઓકટો., 2018: ગુનો જાહેર
  • કંઇ કલમ લગાવાઇ: 302, 376 (એ) (8), 367, 378, એટ્રોસિટી એક્ટ 3(2)(5) (5અ)
  • 38 સાક્ષીઓની જુબાની લેવાઇ
  • 4, નવેમ્બર, 2018 : એક મહિનામાં ચાર્જશીટ કરાઇ
  • એકેય પંચ હોસ્ટાઇલ થયો નહીં
  • 71 સાક્ષીઓ દર્શાવ્યા હતા
  • સાત મુદ્દા પર એફએસસી અહેવાલ મેળવવામાં આવ્યા
  • સીસીટીવી, રેકોર્ડિંગ સહિતના ડિજિટલ પુરાવા રજૂ કરાયા
  • બાળકીના પિતાની જુબાની અને મેડિકલના પુરાવા મહત્વના સાબિત થયા
  • આરોપી ઘટનાના અઠવાડિયા બાદ નંદુરબારથી પકડાયો હતો
  • 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા
  • રિમાન્ડ બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો
  • આજે ફાંસીની સજા

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ માટે 10 ટાસ્કફોર્સની રચના, ત્રણ મહિનામાં કરવાની રહેશે ભલામણો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની તેજ રફતારથી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ ડેસ્ટીનેશન બની રહેલા ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિમાં સમયાનુકુલ જરૂરિયાતો મુજબની બનાવવાના સૂચનો અભ્યાસ-સમીક્ષા માટે 10 જેટલી વિવિધ ટાસ્કફોર્સની રચના કરવાનો નિર્ણય કર્યો છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યની વર્તમાન ઊદ્યોગ નીતિ જે પહેલા જાન્યુઆરી–2015થી અમલમાં આવી હતી તે આગામી ડિસેમ્બર-2019માં પૂર્ણ થવા જઇ રહી છે. 

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં આવનારા સમયના ઊદ્યોગો અને તેને આનુષાંગિક બાબતોનો સર્વગ્રાહી અભ્યાસ સમીક્ષા કરી તેને અનુરૂપ નવી ઊદ્યોગ નીતિ તૈયાર કરવાનો ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી અભિગમ અપનાવ્યો છે.

આ હેતુસર જુદી જુદી 10 જેટલી ટાસ્કફોર્સની રચનાને તેમણે મંજૂરી આપી છે. આ બધી ટાસ્કફોર્સ કમિટી વખતોવખત બેઠક યોજીને ત્રણ મહિનામાં રાજ્યના ઊદ્યોગ કમિશનરને ભલામણો મોકલી આપે તેવું પણ ઠરાવવામાં આવ્યું છે. 

રાજ્ય કક્ષાની ટાસ્કફોર્સ કમિટી મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહના અધ્યક્ષપણા નીચે રચવામાં આવી છે તેમાં નાણાં, વન પર્યાવરણ, મહેસૂલના અધિક મુખ્ય સચિવઓ તથા અન્ય સભ્યોમાં ઉદ્યોગના અગ્ર સચિવ, વાણિજ્યીક વેરા કમિશનર, ઊદ્યોગ કમિશનર, ઊદ્યોગ વિભાગના સંયુકત સચિવ, નાયબ સચિવ અને ઓ.એસ.ડી.નો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ટાસ્કફોર્સના અન્ય બિનસરકારી સભ્યો તરીકે GCCIના પ્રમુખ, FICCIના ગુજરાત એકમના પ્રમુખ, CIIના ગુજરાત પ્રમુખ, એસોચેમના ગુજરાત પ્રમુખ તેમજ PDPUના ડાયરેકટર સી. ગોપાલક્રિષ્ણન, IIM અમદાવાદના પ્રોફેસર સબેસ્ટીયન મોરેશ, EDIના પ્રો. દિનેશ અવસ્થી અને કિરણ જોષી રહેશે. આ કમિટીના સભ્ય સચિવ તરીકે અધિક ઊદ્યોગ કમિશનર ફરજ બજાવશે.

રાજ્યકક્ષાની આ ટાસ્કફોર્સ સમિતિ ઊપરાંત ઊદ્યોગ કમિશનરના અધ્યક્ષપણામાં MSME સેકટર વિકાસ, થ્રસ્ટ સેકટર અને મોટા ઊદ્યોગોના વિકાસ માટે, માંદા એકમોના પૂન: સ્થાપન માટે, સ્ટાર્ટઅપ તેમજ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માટે કમિટીઓ રચવામાં આવી છે. 

આ નવી ઊદ્યોગ નીતિ અંતર્ગત પર્યાવરણીય સુરક્ષા અને ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ માટે વન-પર્યાવરણના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં, ઔદ્યોગિક આંતરમાળખાકીય સુવિધા વિકાસ અને જમીન વિષયક બાબતો માટે જી.આઇ.ડી.સી.ના એમ.ડી.ની અધ્યક્ષતામાં, વેપાર વાણિજ્યક અને સેવા ક્ષેત્રના વિકાસ માટે સ્પેશ્યલ કમિશનર કોમર્શીયલ ટેક્ષના અધ્યક્ષપણામાં અને સ્કીલ અપગ્રેડેશન તથા ઊદ્યોગોને અનુરૂપ રોજગાર નિર્માણ માટે રોજગાર તાલીમ નિયામકના વડપણ નીચે ટાસ્કફોર્સ રચવામાં આવી છે.

આ બધી જ ટાસ્કફોર્સમાં ઊદ્યોગ-વેપાર જગત, યુવા સ્ટાર્ટઅપ તથા જે તે વિષય તજ્જ્ઞોની સેવાઓ મળી રહે તે માટે જે તે ક્ષેત્રના અગ્રણીઓની પણ બિનસરકારી સભ્યો તરીકે નિયુકિત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ નવી ઊદ્યોગ નીતિમાં સ્ટેક હોલ્ડર્સ એટલે કે લાભાર્થીઓના વિચારો-અનુભવો, સૂચનો મેળવવા પ્રો-પીપલ પ્રો-એકટીવ ટ્રાન્સપેરન્ટ ગવર્નન્સના ઉદાત્ત ભાવથી આ બધી ટાસ્કફોર્સની રચના કરવાની અભિનવ પહેલ કરી છે.

કાફે કોફી ડેના સિદ્વાર્થની લાશ મળતા CCDનાં શેરમાં ભારે કડાકો, 2800 કરોડ ડૂબી ગયા

સોમવાર રાતથી લાપતા થયેલા કાફે કોફી ડે(CCD)ના માલિક વીજી સિદ્વાર્થનો મૃતદેહ નેત્રાવતી નદીમાંથી મળી આવ્યો છે. 36 ક્લાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન આજે સવારે દક્ષિણ કન્નડમાંથી વીજી સિદ્વાર્થની લાશ મળી આવી હતી. સિદ્વાર્થના લાપત બન્યા બાદ CCDના શેરોમાં 20 ટકા ઘટાડો થયો હતો. સિદ્વાર્થની શેરબજારમાં લિસ્ટેડ કંપની કોફી ડે એન્ટરપ્રાઈઝને મોટું નુકશાન થયું છે.

બુધવારે કોફી ડે એન્ટરપ્રાઈઝના શેર 123.25 રૂપિયા પર આવી પહોંચ્યા હતા. કંપનીના શેરમાં 52 વીક દરમિયાન સૌથી મોટો કડાકો બોલાયો હતો. મંગળવારે સિદ્વાર્થના લાપતા થવા પાછળ 194 રૂપિયાના શેરની કિંમત 154.05 રૂપિયા પર આવી ગઈ હતી.

બે દિવસમાં કોફી એન્ટરપ્રાઈઝના શેરમાં રોકાણ કરનાર રોકાણકારોના 2800 કરોડ કરતાં પણ વધારે રૂપિયા ડૂબી ગયા છે. માત્ર બે દિવસમાં જ માર્કેટ કેપમાં 2839 કરોડનો ઘટાડો નોંધાયો છે. સોમવારે કંપનીની માર્કેટ કેપ 5441.55 કરોડ રૂપિયા હતી , જે બુધવારે 2603.68 કરોડ પર આવી ગઈ હતી.

વીજી સિદ્વાર્થ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને વિદેશ મંત્રી એસએસ કૃષ્ણાના જમાઈ થાય છે. સિદ્વાર્થ 29મી જૂલાઈએ  મેંગ્લુરુ ગયા હતા અને રસ્તામાં નેત્રાવતી નદીમાં મોતનો ભૂસ્કો મારી દીધો હતો.

વરસાદી પાણીના એટલા બધા ફાયદા છે કે વાંચીને તમે વરસાદમાં બસ ભીંજાતા જ રહેશો, અનેક રોગોમાં છે લાભકારક

વરસાદમાં પલળવાનું કેટલાકને ગમે છે તો કેટલાકને ગમતું નથી. જે લોકો વરસાદમાં પલળતા નથી તેઓ વરસાદના પાણીના ફાયદા મેળવવામાંથી વિમુખ થઈ જાય છે. કેટલાક તો ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળે છે. યુવાનો માટે વરસાદ રોમાન્સની સિઝન પણ બની રહે છે.

એક અભ્યાસ પ્રમાણે વરસાદમાં ભીંજવું નુકશાનકારક નથી પણ એના અનેક ફાયદા છે. વરસાદના પાણીમાં નહાવું આરોગ્યની દ્રષ્ટિએ ફાયદેમંદ છે.

વરસાદનો સૌથી મોટો ફાયદો તો પ્રથમ ખેતીને છે. માત્ર ખેતીને જ નહીં પણ માણસના આરોગ્ય ઉપરાંત વાયુ, જળ પ્રદુષણને વરસાદનું પાણી દુર કરે છે. પ્રદુષિત હવાને ચોખ્ખી કરે છે. જેનાથી શ્વાસના રોગોમાં રાહત મળે છે.

વરસાદથી દરેક વસ્તુ પર નિખાર આવે છે. હવા શુદ્વ થઈ જાય છે. આવા હવામાનમાં ચાલવું અને ભીંજાવું સ્વાસ્થ્ય માટે લાભપ્રદ બની રહે છે. તાજા હવા શરીરમાં એક પ્રકારની શાતા પ્રસરાવે છે અને શરીરને હલકું-ફૂલકું બનાવી દે છે. શરીરમાં જામી પડેલા ચરબી સહિતના પદાર્થોમાં ઘટાડો કરે છે અને ત્વચા નિખરી જાય છે.

વરસાદના પાણીના કારણે ઉઠતી માટીની સોડમ હૃદય અને મગજને આરામ પહોંચાડે છે. તણાવ અને માનસિક તાણથી મૂક્ત થઈ જવામાં મદદરૂપ થાય છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સ્પોટ મેડિસીન સ્ટડી રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વરસાદની સિઝનમાં ચાલવું એટલે કે વોકીંગ કરવું સામાન્ય દિવસોમાં કરાતા વોકીંગ કરતા વજનમાં વધારે ઘટાડો કરવામાં સહાયભૂત થાય છે. આ સિઝનમાં શરીર પરની વધારાની ચરબીમાં ઝડપથી ઘટાડો થાય છે અને વરસાદની સિઝન શરીરના વજનને ઘટાડવામાં મદદ કરે છે.

વરસાદમાં ભીંજવાથી ડિપ્રેશનમાંથી છૂટકારો મળે છે. વરસાદના કારણે માટીની સોડમ અને વરસાદની છાંટણાઓનો અવાજ એક નિરવ શાંતિ અર્પે છે. માણસની ધરબાયેલી ક્રિએટીવિટીને પણ વરસાદ બહાર લાવે છે. કવિઓ અને સાહિત્યકારો માટે વરસાદ એક સર્જનશીલ મોસમ છે.

વરસાદના પાણીના કારણે હેપેટાઈટીસ, કેન્સર, કાયમ રહેતી શરદી, પેટ અને આંતરડીઓના રોગ, સ્ત્રીઓના વિવિધ રોગોમાં ઉપકૃત છે. માણસ જે પ્રકારે વરસાદના પાણીનો ઉપયોગ કરે છે તે જ પ્રકારે તેનો ફાયદો પણ પહોંચે છે.

જો કોઈને પાખાનાની જગ્યાએ મસા થયા હોય તો એ માણસ વરસાદના પાણીને પીએ અને મસાવાળી જગ્યાને વરસાદના પાણીથી સાફ કરે તો એને નિયત પ્રમાણે રાહત મળે છે.

નહીં લાગે હવે કોઈ પણ મેળામાં રાઈડ: અમદાવાદના કાંકરીયા રાઈડની ઘટના બાદ મોટો નિર્ણય

અમદાવાદના કાંકરીયા એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ તૂટી પડવાની ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા દરેક રાઈડની સંપૂર્ણ ચકાસણી કરવાનો નિર્ણય કર્યો છે તો સામે પક્ષે ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા વળતો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને રાજકોટ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમદાવાદમાં રાઈડ તૂટી પડવાની ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા સખત નિયમો બનાવવામાં આવ્યા છે. જેના કારણે રાઈડનાં સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ઘડવામાં આવેલા નવા નિયમો મુજબ મેળામાં રાઈડ મૂકવાનો રાઈડ સંચાલકો દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો છે.

ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ માંગ મૂકી છે કે નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવે. જ્યાં સુધી નવા નિયમોમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી રાઈડ સંચાલકો ગુજરાતના કોઈ પણ મેળામાં રાઈડ મૂકશે નહીં.

ડાંગની નદીઓમાં પુર જેવી સ્થિતિ, સુરતમાં વિયર કમ કોઝવે ઓવર ફ્લો, રાજકોટમાં આજી-2, ડોડી ડેમ ઓવરફલો

સુરત સિટી અને સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે સતત ત્રીજા દિવસે રાંદેર-કતારગામને જોડતા કોઝ વેને બંધ રાખવામાં આવ્યો છે. હાલ કોઝ વે 6 મીટરની ભયજનક સપાટી વટાવી 6.41 મીટરથી વહી રહ્યો છે. જેના કારણે કોઝ વે ખાતે અદભૂત નજારો સર્જાયો છે. અને લોકો કોઝ વેનો નજારો જોવા ઉમટી પડ્યા છે. 

ત્રણ દિવસથી સુરત સિટી અને સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદના પગલે ત્રણ દિવસ પહેલાં કોઝ વેએ 6 મીટરની ભયજનક સપાટી વટાવતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. હાલ કોઝ વેની સપાટી 6.41 મીટર છે. જેને પગલે કોઝ વે ખાતે અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. 

સુરત વિયર કમ કોઝવે

રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ક્યાંક પાણી ભરાયા છે. જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં નોંધાયો છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. તો ડાંગના 17 કોઝવે ઉપર પાણી ફરી વળતા 30થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યાં છે. જેને કારણે લોકો જીવનના જોખમે પુલ પસાર કરી રહ્યાં છે. ભારે વરસાદને કારણે ધોડવહળ, સુપદહાડ, આંબાપાડા, કુમારબંધ, ચીખલદા, સુસરદા, ધૂળચોંડ, ગાયખાસ, ચવડવેલ, ચોકયાં, દબાસ, માછળી, બોરપાડા, સતિવાગણ, લિંગા, કોસંબીયા અને પાંડવા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. 

રાજ્યમાં ભારે વરસાદને પગલે ૫૯ ગામો વીજળી વિહોણા બન્યા છે. તો બીજી તરફ, નવસારીના ગણદેવીના વેગણીયા નદીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. પુલ પાણીમાં ગરકાવ થતા ગણદેવી બીલીમોરાનો શોર્ટકટ માર્ગ બંધ થયો છે. તો ઉપરવાસમાં વરસાદ બંધ થતાં નદીમાં પાણીના સ્તર ઘટ્યા છે. 

આજી ડેમ -રાજકોટ

પાણીની સતત આવક બાજ આજી-2ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ પાંભર ઈટાળા ગામ ખાતે આવેલો ડોડી જળસંપત્તિ સિંચાઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. એક જ રાતમાં આ ડેમ ઓવરફ્લો થઈ જતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. 

ભાવનગરના વલ્લભીપુર અને ઉમરાળા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. 6 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં નદીઓમાં નવા નીરની આવક થઈ છે. વલ્લભીપુર શહેરમાં અનેક વિસ્તારોમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ છે. તો ઘેલો નદીમાં નવા નીરની આવક પણ થઈ છે. 

મોદી સરકારે રચ્યો ઈતિહાસ: વિપક્ષને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો, ત્રિપલ તલાક બીલ રાજ્યસભામાં પાસ

મુસ્લિમ મહિલાઓ માટેનું ત્રિપલ તલાક બીલ લોકસભામાં પાસ થયા બાદ મોદી સરકારે ઈતિહાસ રચ્યો છે. રાજ્યસભામાં ચાર ક્લાકની મેરેથોન ચર્ચા બાદ ત્રિપલ તલાક બીલ રાજ્યસભમાં પાસ કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં મોદી સરકાર અલ્પમતમાં છે, બહુમતિમાં નથી અને છતાં ત્રિપલ તલાક બીલ પાસ કરીને મોદી સરકારે વિપક્ષને મોટામાં મોટો ઝટકો આપ્યો છે.

ત્રિપલ તલાક બીલ પર ચર્ચાના અંતે વોટીંગ કરવામા આવ્યું હતું. બીલને સિલેક્શન કમિટીને મોકલવાનો પ્રસ્તાવની વિરુદ્વમાં 100 વોટ પડ્યા હતા જ્યારે ફેવરમાં 84 વોટ પડ્યા હતા. આમ ત્રિપલ તલાક બીલને સિલેક્શન કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં ઉડી ગયો હતો. કાયદા મંત્ર રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં બીલ રજૂ કર્યુ હતું. સિલેક્શન કમિટી પાસે મોકલવાનો ઠરાવ ઉડી ગયા બાદ બીલ પર વોટીંગ કરવામા આવ્યું હતું.

જ્યારે બીલ પર વોટીંગ કરવામા આવ્યું ત્યારે બીલની ફેવરમાં 99 વોટ પડ્યા હતા અને વિરુદ્વમાં 84 વોટ પડ્યા હતા. આમ મોદી સરકારે વિપક્ષને અત્યાર સુધીની સૌથી મોટી મહાત આપી હતી. હવે રાષ્ટ્રપતિની મંજુરી મળે એટલે ત્રિપલ તલાક બીલ સીધો કાયદો બની જશે. હવે કોઈ પણ વ્યક્તિ એક સાથે ત્રણ તલાક બોલી શકશે નહીં.

ફરીથી સુરત પાસીંગની ગાડીઓ પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવશે, સચીન-પલસાણા ટોલ પ્લાઝા પર લાગ્યું બોર્ડ

સુરતના સચીન-પલસાણા હાઈવે પર જવા માંગતા વાહનચાલકો માટે માઠા સમાચાર છે. સચીન-પલસાણા ટોલ પ્લાઝા પર સુરત પાસીંગની ગાડીઓને ટોલ ટેક્સ ભરવામાંથી મૂક્તિ આપવામાં આવી હતી પણ આજે ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ભરવાનું બોર્ડ મૂકી દેવામાં આવ્યું હતું.

જ્યારે સચીન-પલસાણા ટોલ પ્લાઝા શરૂ કરવામા આવ્યો હતો ત્યારે પણ સુરત પાસીંગની ગાડીઓ પાસેથી ટોલ ટેક્સ લેવાના મામલે ભારે વિવાદ થયો હતો અને આંદોલનો થયા હતા. બાદમાં સુરત પાસીંગની ગાડીઓને ટોલ ટેક્સ ભરવામાંથી મૂક્તિ આપવામાં આવી હતી.

લાંબા સમય બાદ સચીન-પલસાણી ટોલ પ્લાઝા પર નવેસરથી બોર્ડ મૂકવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે લખાયું છે કે GJ-5 અથવા સુરત શહેરમાં રજિસ્ટર્ડ થયેલા બિન વાણિજ્યિક વાહનોને (કાર, જીપ, વાન) 1-08-2019ના રોજથી એક તરફી વીસ રૂપિયા અને બેતરફી 30 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે.  આ નિર્ણય કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બનાવવામાં આવેલી સમિતિના આધારે લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત બોર્ડ પર લખવામાં આવ્યું છે કે આ ટોલ ચાર્જ કંપનીને આર્થિક નુકશાન થતાં મંજુર કરવામા આવ્યું છે આ સિવાય જે લોકલ બિન વાણિજ્યિક વાહનો કાર, જીપ અને વાનના ચાલકો-માલિકો માસિક પાસ ઈચ્છતા હોય તો તેમને 265 રૂપિયામાં આ પાસ આપવામાં આવશે,

રેવ પાર્ટી: શું ભાવ હોય છે રેવ પાર્ટીમાં જવાનો, કપલ એન્ટ્રી અને સિંગલ એન્ટ્રીના કેટલા રૂપિયા આપવા પડે છે? જાણો

યુવાનોમાં રેવ પાર્ટીનું ક્રેઝ જોવા મળે છે. આ ક્રેઝમાં પોલીસની કાર્યવાહીનો પણ સામનો કરવો પડે છે. પોલીસે અનેક રેવ પાર્ટી પર દરોડા પાડ્યા છે છતાં ક્યાંકને ક્યાંક રેવ પાર્ટીના નામે ધીંગા મસ્તી અને નશીલા પદાર્છોના સેવનની ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ખાસ કરીને ફાર્મ હાઉસોમાં રેવ પાર્ટીઓ યોજવામાં આવે છે અથવા તો સિટીથી દુર હાઈવે પર કે ઓછી જાણીતી જગ્યાએ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે.

હવે રેપ પાર્ટી માટે સિટી બહારના વિસ્તારોની પસંદગી કરવામાં આવે છે. ખુલ્લી જમીનને આવી હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી માટે હાઈ રેટ પર હાયર કરવામાં આવે છે. હવે તો રેવ પાર્ટીના ઈવેન્ટ ઓર્ગેનેઈઝરો પણ કામે લાગ્યા છે.

પોલીસ સૂત્રોની માનીએ તો વ્હોટ્સ અપ પર માલેતુજાર ઘરના નબીરાઓનું ગ્રુપ યુવાઓ અને અમીર બાપની ઔલાદોને રેવ પાર્ટીની આયોજન કરે છે. સામાન્ય રીતે આયોજક દ્વારા કપલ એન્ટ્રી માટે દસ હજાર રૂપિયા અને સિંગલ એન્ટ્રી માટે પંદર હજાર રૂપિયા લે છે. કેટલીક રેવ પાર્ટીઓમાં દારુ, જુગાર, સેક્સ ડીલથી લઈને અનેક પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવતીઓને મનોરંજનના નામે બોલાવવામાં આવે છે અને તેમની સાથે અનૈતિક કામો કરાવવામાં આવે છે. આવી રેવ પાર્ટીઓમાં પ્રાઈવેટ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. મોટાભાગે આવી પાર્ટીઓનું આયોજન મહિના અંતિમ દિવસોમાં કરવામાં આવે છે. આયોજકો દ્વારા ભાગ લેનારા યુવાનોને અંત સુધી એડ્રેસ આપવામાં આવતું નથી. પહેલાં એક ચોક્કસ જગ્યાએ બધાને એકઠાં કરવામાં આવે છે અને ત્યાર બાદ તેમને રેવ પાર્ટીના નિશ્ચિત સ્થળ સુધી લઈ જવામાં આવે છે. આમાં સ્થાનિક પોલીસને પણ રૂપિયા સુદ્વાં પહોંચાડવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આવી હાઈપ્રોફાઈલ પાર્ટીઓમાં ડ્રગ્સનું વેચાણ ધૂમ થાય છે.