ઓટીટીની અશ્લિલ સામગ્રી સામે કડક કાર્યવાહીઃ 18 પ્લેટફોર્મ, 19 સાઈટ, 10 એપ બ્લોક

ઓ.ટી.ટી. પર અશ્લિલ સામગ્રી સામે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી કરી છે અને અનેક પ્લેટફોર્મ બ્લોક કરાયા છે.

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઓટીટીની અશ્લિલ સામગ્રી પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોદી સરકાર દ્વારા બ્લોક કરાયેલા ૧૮ પ્લેટફોર્મ, ૧૯ સાઈટ્સ-૧૦ એપ્સ અને પ૭ સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

કેન્દ્ર દ્વારા આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી છે જ્યારે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા ભૂતકાળમાં ઘણી વખત આ અંગે ચેતવણી આપવામાં આવી હતી. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓવર ધ ટોપ પ્લેટફોર્મ પર અશ્લિલ સામગ્રીને લઈને મોટી કાર્યવાહી કરી છે.

પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ૧૮ અવરોધિત ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લિલ, અભદ્ર અને કેટલાક પ્રસંગોએ પોર્ન સામગ્રી પણ આપવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી છે જ્યારે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા ભૂતકાળમાં ઘણી વખત આ અંગે ચેતવણી આપવામાં આવી હતી.

ગુરુવારે (૧૪ માર્ચ, ર૦ર૪) સમગ્ર દેશમાં ૧૮ ઓટીટી પ્લેટફોર્મ, ૧ વેબસાઈટ્સ, ૧૦ એપ્સ અને પ૭ સોશિયલ મીડિયા હેન્ડલ બ્લોક કરવામાં આવ્યા હતાં.

ગુજરાતમાં ભાજપે આ 7 ઉમેદવારના નામ કર્યા જાહેર, જાણો કોનું પત્તુ કપાયું અને કોણ થયું રિપીટ?

ભાજપે કુલ 72 ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં ગુજરાતમાં પણ 7 ઉમેદવારોને ટિકિટ મળી છે. આ સાત ઉમેદવારોમાં સુરતથી મુકેશ દલાલ,ભાવનગરમાં નિમુબેન બાભણીયા, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વમાં હસમુખભાઈ પટેલ, વડોદરામાં રંજનબેન ભટ્ટ, છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા, વલસાડમાં ધવલ પટેલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે, ભાજપે સાબરકાંઠા, ભાવનગર, છોટાઉદેપુરમાં અને સુરત, વલસાડના સાંસદની ટિકિટ કાપીને નવા ચહેરાને તક આપી છે.

ભાજપે બીજી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતમાં સુરતના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ટિકિટ કાપી મુકેશ દલાલને ટિકિટ આપી છે. તે જ રીતે ભાવનગરના વર્તમાન સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને ટિકિટ નથી મળી. તેમના સ્થાને ભાવનગરના પૂર્વ મેયર નિમુબેન બાંભણીયાને ટિકિટ અપાઇ છે.

વલસાડમાં વર્તમાન સાંસદ કે.સી.પટેલના બદલે ધવલ પટેલને અપાઇ ટિકિટ, છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાનું પત્તુ કપાયું છે તેમના સ્થાને જશુભાઈ રાઠવાની પસંદગી થઈ છે. સાબરકાંઠા બેઠક પર હાલમાં દીપસિંહ રાઠોડના બદલે ભીખાજી ઠાકોરને ટિકિટ મળી છે.

ગુજરાત ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારોના નામનો જાહેરાત કરી દીધી છે. ભાજપે 22માંથી પૈકી 10 બેઠકો પર સાંસદના પત્તા કાપ્યા છે. અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગર બેઠક પર હજુ ઉમેદવારના નામ પર સસ્પેંસ યથાવત છે.

 

મુંબઈના બે સાંસદોની ભાજપે ટિકિટ કાપી નાંખી, પિયુષ ગોયલ, મિહિર કોટેચા બન્યા ઉમેદવાર

લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની બે યાદી જાહેર કરી છે, જેમાં આજે 72 ઉમેદવારનો સમાવેશ કર્યો છે. આજની યાદીમાં મહારાષ્ટ્ર સહિત મુંબઈની બે બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યાં છે, જેમાં ઉત્તર મુંબઈ અને ઉત્તર પૂર્વ મુંબઈના ઉમેદવારોની જાહેરાત કરીને અમુક નેતાઓની સાથે તેમના કાર્યકરો નારાજ થયા છે.

જોકે, આ વખતે ભાજપે નાંખેલી ગુગલીના કારણે બે સિટિંગ સાંસદની વિકેટ પડી ગઇ છે. ઉત્તર મુંબઈથી બે વખત સાંસદ રહી ચૂકેલા ગોપાલ શેટ્ટીનું પત્તું આ વખતે કપાયું છે અને તેમના સ્થાને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલને ઉમેદવારી આપવામાં આવી છે. જ્યારે ઉત્તર પૂર્વ મુંબઈથી સાંસદની ટિકિટ પણ આ વખતે કપાઇ છે.

મનોજ કોટક પણ સીટીંગ સાંસદ છે અને તેમના સ્થાને મિહિર કોટેચાને લોકસભાની ચૂંટણીની ઉમેદવારી ઉત્તર પૂર્વ મુંબઈની બેઠક ઉપરથી આપવામાં આવી છે. ભાજપના આ નિર્ણયના કારણે સીટીંગ સાંસદ અને તેમના સમર્થકોને આઘાતજનક છે, જ્યારે પીયૂષ ગોયલ અને મિહિર કોટેચા માટે ભાજપની લોકસભા ઉમેદવારોની બીજી યાદી સરપ્રાઇઝ તરીકે જોવા મળી રહી છે.

ઉત્તર મુંબઈની બેઠક ભાજપ માટે અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે અને ગઇ લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડ ચાર લાખ કરતાં વધુ મતોની સરસાઇથી ભાજપના ઉમેદવાર આ બેઠક ઉપરથી વિજયી થયા હતા. એટલે કે ભાજપની ગઢ મનાતી આ બેઠક ઉપરથી પીયૂષ ગોયલને સેફ પેસેજ આપી દેવામાં આવ્યો હોવાનું કહેવાઇ રહ્યું છે.

બીજી તરફ ઉત્તર પૂર્વ મુંબઈની બેઠક ઉપરથી મનોજ કોટકનું નામ બાકાત કરી મિહિર કોટેચાને ઉમેદવારી અપાતા ભાજપે આ મતવિસ્તારના મતદારોને અચંબો આપ્યો છે. હવે આ બંને ઉમેદવારો લોકસભાની ચૂંટણીની કસોટીમાં કેટલા ખરા ઉતરે છે તે જોવાનું રહેશે.

ગુજરાતમાં આ 4 લોકસભાની સીટ માટે સસ્પેન્સ: જાણો ભાજપની શું છે રાજકીય મુશ્કેલી?

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ તેના ઉમેદવારોની જાહેર કરી રહ્યું છે. ભાજપે આજે લોકસભાના નવા 7 નામો જાહેર કરતાં કુલ 22 ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. જો કે હજુ પણ 4 સીટો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે, આ બેઠકોમાં અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં 26માંથી 26 બેઠકો જીતવા માગે છે તેથી ખુબ જ સાવધાનીપૂર્વક ઉમેદવારો જાહેર કરી રહ્યું છે. હવે આ 4 સીટો પર ક્યાં કોકડું ગુચવાયું છે તે જાણવું રસપ્રદ બની રહેશે.

ભાજપ માટે અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગર સીટ માટે ઉમેદવારો જાહેર કરવામાં સૌથી મોટી મુશ્કેલી જાતિ સમીકરણો ઉપરાંત પાર્ટીનું આંતરિક રાજકારણની છે. જેમ કે મહેસાણામાં અનિલભાઈના પત્ની અને વર્તમાન સાંસદ શારદાબેન પટેલે આ બેઠક પર ચૂંટણી લડવાની પહેલાંથી ના પાડી છે. તે જ રીતે નીતિન પટેલે આ બેઠક પર દાવેદારી કરી હતી પણ હાઈકમાન્ડના દબાણથી તેમને આ દાવેદારી છોડી દીધી છે. મહેસાણામાં પાટીદાર અને ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે. હાલ મહેસાણા સીટ માટે ડો. એ.કે પટેલના પુત્ર એવા ડૉક્ટર ધનેશ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલનું નામ પણ ટિકિટ માટે ચર્ચામાં છે, તો બીજું એક મોટું નામ કડી વિદ્યાલયના સરદારભાઈનું છે તે પણ આ બેઠકના પ્રબળ દાવેદાર ઉમેદવાર ગણી શકાય છે.

સુરેન્દ્રનગરમાં પણ કોને ટિકિટ આપવી એ મુદ્દે પાર્ટીમાં અવઢવની સ્થિતી છે. સુરેન્દ્રનગરમાં હાલમાં ભાજપના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા છે. ભાજપ એમને રીપિટ કરે તેવી સંભાવના ઓછી છે. હાલના સાંસદ ડો. મહેન્દ્ર મુજપરા સામે સૌથી મોટો વિરોધ ફરિયાદ સ્થાનિક કાર્યકરોનો છે, તેઓ ક્યારેય પ્રજાનું કામ હોય ત્યારે જનતાની વચ્ચે રહ્યા નથી. આ બેઠક માટે પહેલાં આ સીટ પર કુવરજી બાવળિયાનું નામ ચાલ્યું હતું પણ તેઓએ જાહેરમાં ચોખ્ખી ના પાડી દીધી હતી, હવે પાર્ટી જસદણના ડો. ભરત બોઘરા કે શંકરભાઈ વેગડના નામ અંગે ચર્ચા કરી રહી છે.

અમરેલી બેઠક પર વિવાદ વધ્યો છે. અમરીશ ડેરને ભાજપે કેસરિયો પહેરાવતાં આ સીટ પર કોને ઉમેદવાર જાહેર કરવો એ સમસ્યા બની ગઈ છે. અમરેલીમાં ત્રણ ટર્મથી ચુંટાતા નારણ કાછડીયાને પડતા મૂકવામાં આવશે તે હવે સ્પષ્ટ થઈ ગયું પણ તેમના સ્થાને તો પાટીદાર સમુદાયના કયા ઉમેદવારને પસંદ કરવા તેને લઈને પાર્ટીમાં અશમંજસની સ્થિતી જણાણી રહી છે. જેમ કે સાંસદ બનવા માટે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા જુના અને જાણીતા બાવકુ ઉધાડ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના ભાઈ મુકેશ સંઘાણી દાવેદાર છે ત્યારે નવું નામ જિલ્લા પંચાયત હાલના પ્રમુખ ભરત સુતરીયાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.

 

જ્ઞાનેશ કુમાર, સુખબીર સંધુ નવા ચૂંટણી કમિશનર નિમાયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પેનલે ગુરુવારે ભૂતપૂર્વ IAS અધિકારી સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમારને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે, એમ લોકસભામાં કૉંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મીડિયાને જાણકારી આપી હતી. આ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે ચૂંટણી કમિશનરની નિમણૂક માટે પસંદગી સમિતિની બેઠક 15 માર્ચે સાંજે 6 વાગ્યે યોજાશે, પણ ત્યાર બાદ આજે બપોરે 12 કલાકે આ બેઠક યોજાઇ હતી. ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ચૌધરીએ એમ પણ કહ્યું હતું કે તેઓ ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા સાથે સહમત નથી.

આઠ માર્ચે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે રાજીનામુ આપ્યું હતું અને 14 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી કમિશનર અનુપ ચંદ્રા પાંડે નિવૃત્ત થયા હતા. આમ કુલ 3 ચૂંટણી કમિશનરમાંથી માત્ર એક જ ચૂંટણી કમિશનર રાજીવ કુમાર રહ્યા હતા. નોંધનીય છે કે ચૂંટણી કમિશનરની બે ખાલી પોસ્ટ માટે ઉત્પલ કુમાર સિંહ, પ્રદીપ કુમાર, જ્ઞાનેશ કુમાર, સુખબીર સંધુ એમ ચાર નામ ચર્ચાઇ રહ્યા હતા.

ચૂંટણી કમિશનરની પસંદગી કરવા માટે મળેલી સમિતિની બેઠક બાદ અધીર રંજન ચૌધરીએ પસંદગીની પ્રક્રિયા સામે તેમની અસંમતિ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે સરકાર પાસે બહુમતી છે. અગાઉ તેમણે મને 212 નામ આપ્યા હતા, પણ નિમણૂકની 10 મિનિટ પહેલા તેઓએ મને ફરીથી ફક્ત છ નામ આપ્યા. પસંદગી સમિતિમાં CJI નથી. કેન્દ્ર સરકારે એવો કાયદો બનાવ્યો છે કે CJI કંઇ દખલ ના કરી શકે અને કેન્દ્ર સરકાર તેમની મરજીથી તેમને અનુકૂળ નામ પસંદ કરી શકે. મને લાગે છે કે ચૂંટણી કમિશનરની પસંદગીમાં જે પ્રક્રિયા અનુસરવામાં આવી છે, તેમાં કેટલીક ખામી છે. આમ તેમણે પસંદગીની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા પસંદગી સામે પોતાની અસહમતિ દર્શાવી હતી.

ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે લોકસભાની ચૂંટણી પહેલા રાજીનામુ આપવાની જાહેરાત કર્યાના કેટલાક દિવસો બાદ આ નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકો વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળની પેનલ દ્વારા કરવામાં આવી હતી. આ પેનલમાં ભારતના CJIને છઓડીને વિપક્ષના નેતા અને નિયુક્ત કેબિનેટ પ્રધાનનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટની ફટકાર પછી ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડની માહિતી જાહેર કરી

સુપ્રીમ કોર્ટના આદેશ પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા ચૂંટણી પંચને સોંપી દીધો છે. હવે ચૂંટણી પંચે એસબીઆઈ પાસેથી ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત પોતાની જાણકારી વેબસાઈટ પર અપલોડ પણ કરતા ખળભળાટ મચી ગયો છે.

ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા ઈલેક્ટોરલ બોન્ડનો જે ડેટા 12મી માર્ચે સોપ્યો હતો. ચૂંટણી પંચે પંદરમી માર્ચની ડેડલાઈન પૂર્વે આજે જાહેર કરી દીધો હતો.

ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર જે ડેટા શેર કર્યો છે, તેમાં 12 એપ્રિલ 2019 પછી 1,000 રુપિયાથી એક કરોડ રુપિયા સુધીના ચૂંટણી બોન્ડ (આ બોન્ડ હવે પૂરા થઈ ગયા છે)ની ખરીદીની જાણકારી આપી છે, જેમાં કંપનીઓ અને વ્યક્તિઓ દ્વારા કરવામાં ખરીદી બતાવી છે. ઈલેક્ટોરલ બોન્ડની માહિતી જાહેર કરતા સુપ્રીમ કોર્ટના આદેશ પાલન કરતા એસબીઆઈએ એ સંસ્થાઓની પણ વિગત આપી હતી, જેમણે પૂરા થયેલા ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા.
ચૂંટણી પંચવતીથી જાહેર કરવામાં આવેલા ચૂંટણીના બોન્ડના માધ્યમથી ચૂંટણીનું ભંડોળ પ્રાપ્ત કરનારી પાર્ટીમાં ભાજપ, કોંગ્રેસ, અન્નાદ્રમુક, બીઆરએસ, શિવસેના, ટીડીપી, વાઈએસઆર સહિત અન્ય પાર્ટીનો સમાવેશ થાય છે.
ચૂંટણીના બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને દાન આપનારી કંપનીની યાદીમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેધા એન્જિનિયરિંગ, પીરામલ એન્ટરપ્રાઈઝ, ટોરન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કમશિર્યલ ડેવલપર્સ, વેદાંતા લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર સુલા વાઈન, વેલસ્પન, સન ફાર્મા અને અન્યનો સમાવેશ થાય છે.

ચૂંટણી પંચે ચૂંટણીના બોન્ડને લઈ એસબીઆઈ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) તરફથી ઉપલબ્ધ ડેટાની સમય મર્યદાના એક દિવસ પહેલા એટલે આજે રાતના પોતાની વેબસાઈટ પર ડેટા અપલોડ કરવામાં આવ્યા છે.

ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટે પંદરમી માર્ચના સાંજના પાંચ વાગ્યા પહેલા વિગતવાર ડેટા પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો હતો. બીજી બાજુ એસબીઆઈએ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરતા બારમી માર્ચે ચૂંટણી પંચને ચૂંટણીના બોન્ડ સંબંધિત ડેટા આપવાની જાહેરાત કરી હતી.

આ અગાઉ સુપ્રીમ કોર્ટે સોમવારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અરજીની ફગાવી દીધી હતી, જેમાં વિગતવાર બોન્ડને જાહેર કરવા 30 જૂન સુધીની મુદત આપી હતી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) ડીવાય ચંદ્રચુડની વડપણ હેઠળની બેન્ચે બેંકની અરજીને ફગાવી હતી.

ચૂંટણી પહેલાં સરકારે ભર્યું મોટું પગલું, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડતા વાહનચાલકોને રાહત

લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પહેલાં કેન્દ્ર સરકારે ઇંધણના ભાવ ઘટાડીને સૌને ચોંકાવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરીને વાહનચાલકોને રાહત આપી છે. ઇંધણના ભાવ ઘટાડયા છે, જે 15મી માર્ચે સવારથી અમલી બનશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પેટ્રોલના લીટર દીઠ બે રૂપિયા અને ડીઝલમાં પણ બે રૂપિયાનો ઘટાડો કર્યો છે, જે આવતીકાલ સવારે 6 વાગ્યાથી નવો ભાવ અમલી બનશે. ભાવ ઘટાડતા વાહનચાલકોને રાહત થઈ શકે છે, પણ આ ઘટાડો ચૂંટણીલક્ષી છે, એવો રાજકીય પક્ષોએ દાવો કર્યો હતો.

ભાવમાં ઘટાડો કર્યા પછી પાટનગર દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા પ્રતિ લિટર અને એક લિટર ડીઝલ 87.62 રૂપિયામાં મળશે. મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા અને ડીઝલ 92.15 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે.

ઇંધણના ભાવમાં ઘટાડા મુદ્દે કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હોવાની એક્સ પર જાહેરાત કરી હતી.

વિશ્વ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને વિકસિત અને વિકાસશીલ દેશોમાં પણ ઇંધણના ભાવમાં 50થી 72 ટકાનો વધારો થયો છે, જ્યારે પડોશી દેશમાં પણ પેટ્રોલ મળવાનું બંધ થયું છે. પચાસ વર્ષના સૌથી મોટા તેલ સંકટનું નિર્માણ થયું હોવા છતાં પીએમ મોદીએ દેશવાસીઓ પર એની અસર વર્તાવા દીધી નથી, એમ તેમણે જણાવ્યું હતું.

કોંગ્રેસના બેંક ખાતા સરકારે ફ્રીઝ કરાવી દીધાઃ હવે ચૂંટણી કેમ લડવી? મલ્લિકાર્જુન ખડગે

લોકસભાની ચૂંટણીમાં થોડા જ અઠવાડિયા બાકી છે અને તે પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસની ખરાબ હાલત અંગે સંકેત આપી દીધા છે. ખડગેએ સંકેત આપ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી સામે ભંડોળની ભયંકર અછત વર્તાઈ રહી છે. ખડગેએ આરોપ લગાવ્યો છે કે જે બેંક ખાતાઓમાં લોકો દ્વારા દાનમાં મળેલા પૈસા રાખવામાં આવ્યા હતાં તે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે ફ્રીઝ કરી દીધા છે. ખડગેએ કહ્યું કે, પાર્ટીને આવકવેરા વિભાગે દંડ ફટકાર્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધતા ખડગેએ લોકોને દેશમાં બંધારણ અને લોકશાહીને બચાવવા તથા તેમની પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે આગામી લોકસભા ચૂંટણીમાં મજબૂત રીતે ઊભા રહેવાનું પણ આહ્વાન કર્યું હતું. ખડગેએ કહ્યું કે, ચૂંટણીમાં દરેકને સમાન તક મળવી જોઈએ. ખડગેએ ભાજપ પર કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાનો અને આવકવેરાના માધ્યમથી પાર્ટી પર મોટો દંડ લગાવવાનો આરોપ લગાવ્યો. ખડગેએ કહ્યું કે ભાજપ પોતે ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા હજારો કરોડ રૃપિયાનો ખુલાસો કરવા તૈયાર નથી.

કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે આ અમારી પાર્ટીના પૈસા હતાં જે સામાન્ય લોકોએ દાનમાં આપ્યા હતાં. તેમણે કહ્યું કે, ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા તેને સ્થગિત કરી દેવામાં આવ્યું છે અને હવે અમારી પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી, જ્યારે ભાજપ ડરના કારણે ચૂંટણી બોન્ડ વિશે ખુલાસો કરી રહ્યો નથી.

વડાપ્રધાન પદ માટે સૌથી વધુ લોકપ્રિયતામાં નરેન્દ્ર મોદી પ્રથમ, રાહુલ ગાંધી બીજા ક્રમે

ટીવી ન્યૂઝ ચેનલે કરેલા મેગા ઓપિનીયન પોલના તારણો મુજબ ૮૫ ટકા લોકો માને છે કે મોદીના કારણે મતદારો ભાજપને મત આપશે. બીજી તરફ પીએમ પદ માટે સૌથી વધુ લોકપ્રિય નેતાઓમાં રાહુલ ગાંધી મોદી પછી બીજા ક્રમે જોવા મળી રહ્યા છે.

ભાજપ છેલ્લી બે ચૂંટણી નરેન્દ્ર મોદીના ચહેરા પર લડી રહ્યો છે અને ત્રીજી ચૂંટણી પણ તેમના ચહેરા પર જ લડશે, પરંતુ વિપક્ષે પીએમ પદ માટે પોતાનો ચહેરો જાહેર કર્યો નથી. એક મેગા ઓપિનિયન પોલમાં જણાવવામાં આવ્યું છે કે, સર્વેમાં સામેલ પ૯ ટકા લોકો માને છે કે વડાપ્રધાન પદ માટે સૌથી સક્ષમ ચહેરો હાલમાં નરેન્દ્ર મોદી છે, જો કે બીજા નંબરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છે.

સર્વે અનુસાર ર૧ ટકા લોકોએ રાહુલ ગાંધીને પીએમ પદ માટે સૌથી યોગ્ય ચહેરો ગણાવ્યો હતો. આ મામલામાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા પીએમ મોદી કરતા ૩૮ ટકા ઓછી છે. સર્વેમાં સામેલ ૯ ટકા લોકોનું માનવું છે કે તૃણમુલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પીએમ પદ માટે સક્ષમ લોકો છે.

આ મેગા ઓપિનિયન પોલ ર૧ મોટા રાજ્યોમાં પ૧૮ લોકસભા મતવિસ્તારોને આવરી લઈને હાથ ધરાયો હતો. જે ૧ર ફેબ્રુઆરી ૧ માર્ચ દરમિયાન કરવામાં આવ્યો હતો.

ઓપિનિયન પોલ અનુસાર રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ ઉત્તરપ્રદેશ ૮૦ લોકસભા બેઠકો સાથે ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન માટે સફળતાની ચાવી સાબિત થઈ શકે છે. યુપીમાં એનડીએને ૭૭ સીટો મળવાની આશા છે. વિપક્ષી આઈ.એન.ડી.આઈ.એ. ગઠબંધન માત્ર ર બેઠકો સુધી મર્યાદિત રહી શકે છે, જ્યારે માયાવતીની બહુજન સમાજ પાર્ટી એક બેઠક જીતી શકે છે.

દેશના મોટાભાગના મતદારો પીએમ મોદીના નામ પર વોટ આપે છે. પછી તે ભાજપના ઉમેદવારો કોઈપણ હોય? જાહેર કરવામાં આવેલા ન્યૂઝ ૧૮ નેટવર્ક મેગા ઓપિનિયન પોલ અનુસાર ૮પ ટકા લોકોએ કહ્યું છે કે, તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે ભાજપને વોટ આપશે, ભલે તે મત વિસ્તારમાં ઉમેદવાર કોઈપણ હોય.

આ ઉપરાંત પીએમ મોદી સતત દુનિયાભરમાં નેતાઓના અપૂવલ રેટિંગમાં પણ ટોપમાં રહે છે. તેનું કારણ છે કે, દેશના લોકોની એક મોટી સંખ્યા તેમના કામના વખાણ કરે છે. તેના વિશે પણ ન્યૂઝ ૧૮ ની મેગા ઓપિનિયન પોલમાં સવાલ પૂછવામાં આવ્યો કે, તમે પીએમ મોદી અને કેન્દ્ર સરકારના કામથી કેટલા સંતુષ્ટ છો? તો જે જવાબ મળ્યો હતો તેમાંથી ખૂબ જ સંતુષ્ટ-૮ ટકા, ના સંતુષ્ટના અસંતુષ્ટ-૧ ટકા, ખૂબ જ વધારે સંતુષ્ટ-૪ ટકા, અસંતુષ્ટ-પ ટકા અને કહી શકાય નહીં કહેનારા ૧ ટકો લોકો હતાં.

પ્રથમ તબક્કામાં લોકસભા અને તમામ વિધાનસભાઓ પછી બીજા તબક્કામાં સ્થાનિક ચૂંટણીઓ યોજવા ભલામણ

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ આજે ‘એક દેશ એક ચૂંટણી’ને રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ સુપરત કરી દીધો છે. દેશભરમાં લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક એકમોની ચૂંટણીઓ એકસાથે યોજવાની શક્યતા અંગે આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.

પેનલે તેનો ૧૮,૬ર૬ પાનાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરણ કર્યો છે. આ અહેવાલ ર સપ્ટેમ્બર, ર૦ર૩ ના સમિતિની રચના પછી હિતધારકો, નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા સૂચનો અને ૧૯૧ દિવસના સંશોધન કાર્યને ધ્યાનમાં લેવાયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના નેતૃત્વ હેઠળની પેનલે ભલામણ કરી છે કે, પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે, ત્યારપછી બીજા તબક્કામાં ૧૦૦ દિવસમાં સ્થાનિક એકમોની ચૂંટણી યોજવામાં આવે.