(સૈયદ શકીલ દ્વારા): ગુજરાતની ધરતી પર ઉર્દૂ અદબની સમૃદ્ધ પરંપરાને જાળવી રાખનારા સર્જકોમાં અનવર ફારૂકી ‘અનવર’નું નામ આદર અને ગૌરવથી લેવામાં આવે છે. સુરતના ઐતિહાસિક રાંદેરમાં જન્મેલા અનવર ફારૂકી માત્ર એક ગઝલકાર નથી, પરંતુ એક એવા સાહિત્યસાધક છે જેમણે પોતાની અડધી સદીથી વધુની સર્જનયાત્રા દ્વારા ઉર્દૂ શાયરીને સમર્પિત જીવન જીવ્યું છે. રાંદેર સાહિત્ય રત્નોથી ધરતી છે. આ ધરતી પરથી અનેક સાહિત્યકારો, ગઝલકારો પાક્યા છે.
ઈ.સ. 1954માં જન્મેલા અનવર ફારૂકીના પિતા સ્વર્ગસ્થ મૌલાના પીર મુજાહિદુલ ઇસ્લામ ફારૂકી ધાર્મિક અને સંસ્કારસભર વ્યક્તિત્વ ધરાવતા હતા. તે સંસ્કારોની અસર અનવર ફારુકીના વ્યક્તિત્વ અને તેમની શાયરીમાં સ્પષ્ટપણે અનુભવાય છે. બી.એ. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી વિદ્યાર્થીકાળથી જ તેમણે કાવ્યસ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને શાયરીની દુનિયામાં પોતાના શબ્દોની અલગ ઓળખ ઊભી કરી.
અનવર ફારૂકીની શાયરીનો વ્યાપ ખૂબ વિશાળ છે. તેમણે માત્ર ગઝલો જ નહીં, પરંતુ નઝમ, કતઆત, હઝલ (હાસ્ય), સેહરા, હમ્દ, નાત, સલામ, મનકબત, તાઅઝીયાતી કલામો સહિત ઉર્દૂ સાહિત્યના અનેક પ્રકારોમાં સફળ સર્જન કર્યું છે. તેમની રચનાઓમાં ભાષાની સરળતા, ભાવની ઊંડાઈ અને અભિવ્યક્તિની નિખાલસતા એકસાથે જોવા મળે છે. “કાગઝ સે બાહર” ગઝલ સંગ્રહમાં તેમની કુલ 100 ગઝલ છે. ગુજરાત સાહિત્ય અકાદમીની સહાય થી સંગ્રહ પ્રકાશિત કરવામાં આવ્યો છે. નોંધનીય વાત એ છે કે આ ગઝલસંગ્રહમાં તેમણે દરેક ગઝલની બહર-છંદનો પણ ઉલ્લેખ કર્યો છે.
તેમનો પ્રથમ ઉર્દૂ ગઝલસંગ્રહ “કાગઝ સે બહાર” માત્ર પુસ્તક નથી; તે પચાસ વર્ષના સર્જન, અનુભવો, સંવેદનાઓ અને જીવનદર્શનનો જીવંત દસ્તાવેજ છે. આ સંગ્રહમાં જીવનની વાસ્તવિકતા, માનવીય સંબંધો, સમયના બદલાતા ચહેરા, પ્રેમ, વિયોગ, આધ્યાત્મિકતા અને સામાજિક સંવેદનાઓ અત્યંત સહજ ભાષામાં વ્યક્ત થઈ છે. તેમની ગઝલો વાંચતાં એવું લાગે છે કે શબ્દો માત્ર કાગળ પર લખાયેલા નથી, પરંતુ જીવનના અનુભવોમાંથી જન્મેલા છે.
અનવર ફારૂકી માટે ચોક્કસ કહી શકાય કે…
શબ્દોની સુગંધથી મહેકતું રહ્યું છે તેમનું સર્જન,
લાગણીઓના અજવાળાથી ઉજળું રહ્યું છે તેમનું જીવન.
‘કાગઝ સે બહાર’ માત્ર પુસ્તક નથી,
એ તો અડધી સદીની સાહિત્યસાધનાનું અમર સ્મારક છે.
અનવર ફારૂકીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ શાયરીને માત્ર કલાત્મક અભિવ્યક્તિ માનતા નથી; તેઓ તેને સમાજ સાથેના સંવાદનું માધ્યમ બનાવે છે. તેમની રચનાઓમાં ન તો કૃત્રિમ શબ્દાડંબર છે અને ન તો દેખાડો. દરેક શેરમાં અનુભૂતિની સચ્ચાઈ અને વિચારોની પ્રામાણિકતા અનુભવાય છે.
તેમણે માત્ર પોતે લખ્યું નથી, પરંતુ ઉર્દૂ અદબની સેવા માટે સતત કાર્ય પણ કર્યું છે. વર્ષ 2001થી 2006 દરમિયાન “સુરત ચેનલ” પર પ્રસારિત થતા સાપ્તાહિક ઉર્દૂ શાયરીના કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન કરીને તેમણે અનેક નવા અને સ્થાપિત શાયરોને મંચ આપ્યો. તે સમયગાળામાં ટેલિવિઝન દ્વારા ઉર્દૂ શાયરીને લોકપ્રિય બનાવવાનો તેમનો પ્રયાસ ખૂબ પ્રશંસનીય રહ્યો.
મિલે જો ફુરસત તો ચંદ લમ્હે નિકાલ રખિયો,
તુમ્હારી બસ્તી કા હું મૈં શાયર ખ્યાલ રખિયો.
ના ધી કી રોટી ના દેશી મખ્ખન ના દાલ રખિયો,
હો થોડા-સા રખખાવ જીસ મે વો થાલ રખિયો.
આ શેરમાં અનવર ફારુકી પોતાની ઓળખ અને સંબંધની નમ્ર યાદ અપાવે છે. તે કહે છે કે જો ફુરસદ મળે તો આ બસ્તીના શાયર તરીકે મને પણ યાદ રાખજો—આમાં આત્મીયતા અને સ્વીકારની ઝંખના છે. બીજા શેરમાં વૈભવ નહીં, પ્રેમ અને અપનાપાથી પીરસાયેલું ભોજન મહત્વનું છે. શાયર ભોજન કરતાં ભાવનાના આતિથ્યને વધારે મૂલ્ય આપે છે.
મુઝ કો માલૂમ હૈ મૈં રામ નહીં બન સકતા,
તર્ક કિસ વાસ્તે ફિર અપને મકામાત કરું.
પોતાની મર્યાદા સ્વીકારીને પણ પોતાના સિદ્ધાંતો ન છોડવાની વાત છે. આ શેર આત્મસ્વીકાર અને સ્વાભિમાનનો સુંદર સંદેશ આપે છે.
આઈના આસ્માં કો દિખાયેગી યે ઝમીં,
કલ કી તરહ જો આજ ભી બારીશ બહોત હુઈ.
અહીં વરસાદ પરિવર્તન અને સંભાવનાનું પ્રતીક છે. જો કૃપા અને પરિસ્થિતિ અનુકૂળ રહે તો ધરતી પણ આકાશનું પ્રતિબિંબ બની શકે—અશક્ય લાગતું પણ શક્ય બને.
ગઝલ કમ નહીં ચાહને વાલે તેરે,
હૈ શોહરત કા મિન્હાજ કાગઝ સે બાહર.
અસલી લોકપ્રિયતા માત્ર છાપેલા કાગળમાં નથી, લોકોના દિલમાં વસવામાં છે. કવિની ખ્યાતિનો સાચો માર્ગ લોકોના પ્રેમમાંથી પસાર થાય છે.
યે લોગ માંગ બૈઠે જો ઈક દિન લિયા-દિયા,
લૌટા સકું, કભી નહીં મૂમકીન, લિયા-દિયા.
સારા હિસાબ હોગા અદાલત મેં વક્ત કી,
યે વક્ત છીન લેગા કિસી દિન લિયા-દિયા.
કર દેંગે તેરે બાદ ફરામોશ સબ તુઝે,
તાઊમ્ર યાદ રખેંગે લેકિન લિયા-દિયા.
ઉપકાર, લાગણી કે વિશ્વાસ જેવી અમૂલ્ય વસ્તુઓ વિશે છે. એક વાર આપેલું બધું પાછું લઈ શકાય એવું નથી—કેટલીક ભેટો કાયમ માટેની હોય છે. બીજા શેરમાં શાયર સમયને સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકે રજૂ કરે છે. જે આપ્યું કે લીધું તેનું સાચું હિસાબ અંતે સમય જ કરે છે; સમય સામે કોઈનું દેવું બાકી રહેતું નથી. જ્યારે ત્રીજા શેરમાં શાયર માનવી કદાચ વ્યક્તિને સમય જતાં ભૂલી જાય, પરંતુ તેની પાસેથી મળેલા ઉપકાર, પ્રેમ, લાગણીઓ કે ઘાવ જીવનભર યાદ રહે છે. શાયર ખૂબ નાજુક રીતે કહે છે કે માણસ કરતાં તેના દ્વારા થયેલું ‘લિયા-દિયા’ જ સ્મૃતિમાં વધુ લાંબું જીવતું રહે છે.
ઈધર માં-બાપ ને ક્યા ક્યા ઉમ્મીદેં બાંધ રખી હૈ,
ઈધર બેટીને કોઈ ઓર લડકા દેખ રખ્ખા હૈ.
આ ઉપરાંત તેઓ અંજુમન ગુલઝાર અદબ, સુરતના આજીવન પ્રમુખ તરીકે તેમજ ઉર્દૂ મરકઝના મહામંત્રી તરીકે ઉર્દૂ ભાષા અને સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે સતત કાર્યરત રહ્યા છે. અનેક મુશાયરાઓ, સાહિત્યિક કાર્યક્રમો અને કાવ્યગોષ્ઠીઓ દ્વારા તેમણે નવી પેઢીને ઉર્દૂ અદબ સાથે જોડવાનો સુંદર પ્રયાસ કર્યો છે.
મિલ્લત કા ફિદાઈ હું, ઈખવત પે ફિદા હું.
એ મેરે વતન મૈં તેરી અઝમત પે ફિદા હું.
ઢૂંઢો ના મેરા નામ પુરસ્તારે વતન મે,
કહને કી ઝરુરત નહી, ભારત પે ફિદા હું.
તેમની આ અમૂલ્ય સેવાઓને માન્યતા આપતાં નાચીઝ ફ્રેન્ડ સર્કલ, સુરત તથા માસિક “શહીદે ગઝલ”, વડોદરા દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે. પરંતુ સાચું સન્માન તો તેમના વાચકોના દિલમાં છે, જ્યાં તેમની શાયરી આજે પણ જીવંત છે.
અનવર ફારૂકી વિશે કહેવામાં આવેલું વાક્ય – “મુઠ્ઠી ઊંચેરા માનવી, મુઠ્ઠી ઊંચેરા શાયર”.. તેમના વ્યક્તિત્વનું સચોટ વર્ણન કરે છે. તેઓ જેટલા મોટા શાયર છે, એટલા જ વિનમ્ર અને ઉમદા ઇન્સાન પણ છે. તેમની સરળતા, મિલનસાર સ્વભાવ અને સાહિત્ય પ્રત્યેની નિષ્ઠા તેમને અન્યોથી અલગ બનાવે છે.
તેમની શાયરી વિશે એટલું ચોક્કસ કહી શકાય કે તેમાં દિલની ગરમી છે, વિચારની ઊંડાઈ છે અને જીવનનું સાચું પ્રતિબિંબ છે. “કાગઝ સે બહાર” ખરેખર કાગળની સીમાઓ પાર કરીને વાચકના હૃદય સુધી પહોંચે છે.
અનવર ફારુકી ફિલબદી શાયરી કહેવામાં પણ ઉસ્તાદ છે. સુરતમાં જ્યારે આજે ઉર્દુ ફ્લકના એક પછી એક સિતારાઓ ખરી પડ્યા છે ત્યારે અનવર ફારુકીએ ઉર્દુ શાયરીને નવા આયામ અને નવી ક્ષિતિજો સુધી પહોંચાડી શણગરવાનું કાર્ય કર્યું છે.
આંખે ભી છલક આઈ, દિલ ભી મેરા ભર આયા,
મેલે મેં કોઈ બચ્ચા જબ ઝીદ પે ઉતર આયા.
મેળામાં જીદ કરતા બાળકનું દૃશ્ય જોઈને શાયરના અંતરમાં દટાયેલી બાળપણની યાદો અને અધૂરી ઇચ્છાઓ જાગી ઊઠે છે. બાળકની નિર્દોષ જીદ માત્ર તેનું વર્તન નથી, પરંતુ શાયરના પોતાના ભૂતકાળ અને લાગણીઓનું પ્રતિબિંબ બની જાય છે.
સુકૂન કિસકો મયસ્સર હૈ ઈસ ઝમાને મેં,
સુકૂન સારા ઝમાના તલાશ કરતા હૈ.
શાયર આધુનિક જીવનની સૌથી મોટી વિસંગતિ રજૂ કરે છે. દરેક માણસ સુકૂનની શોધમાં છે, છતાં કોઈને સાચું સુકૂન મળતું નથી. ભૌતિક પ્રગતિ વચ્ચે પણ આંતરિક શાંતિ દુર્લભ બની ગઈ છે; એટલે સુકૂન એક સર્વવ્યાપી શોધ બની ગયું છે.
મૈં શેર કહતા હૂં સોલહવેં સાલ સે “અનવર”,
ના રોકા મશ્ક-એ-સુખન કો પચાસ હોને સે.
‘મશ્ક-એ-સુખન’ એટલે શાયરીની સતત સાધના, અભ્યાસ અને સર્જનપ્રક્રિયા.શાયર કહે છે કે સોળ વર્ષની ઉંમરથી શરૂ થયેલી કાવ્યસાધના પચાસ વર્ષની ઉંમરે પણ અટકી નથી. સાચી સર્જનયાત્રા ઉંમરની મર્યાદાથી નહીં, પરંતુ લગન, રિયાઝ અને શબ્દપ્રેમથી આગળ વધે છે.
અનવર ફારુકીની શાયરીમાં શબ્દોની સાદગી સાથે અનુભવોની ઊંડાઈ, જીવનદર્શનની પરિપક્વતા અને માનવીય સંવેદનાઓનો સુંદર સંગમ જોવા મળે છે. તેમના શેરોમાં કૃત્રિમ ચમત્કાર નહીં, પરંતુ જીવનમાંથી ઉપજેલું સત્ય, આત્મીયતા અને વિચારની ગરિમા વસે છે. એટલા માટે તેમની ગઝલો માત્ર વાંચવામાં નહીં, પરંતુ લાંબા સમય સુધી મનમાં ગુંજતી અને વાચકને સતત વિચારતા રાખતી શાયરી બની રહે છે.





