વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ફરી એક વાર કોંગ્રેસનો જનાજો નીકળ્યો છે. કોંગ્રેસને સમ ખાવા પુરતી સીટો મળી છે. ભાજપનો વિજય ડંકો વાગ્યો છે. ભાજપના કાર્યકરો આને ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈની કામગીરીના પરિણામ સ્વરુપ જોઈ રહ્યા છે જ્યારે કોંગ્રેસની ખોદાયેલી ઘોર માટે નેતાઓ અને કાર્યકરો એકબીજા પર દોષારોપણ કરતાં જોવા મળી રહ્યા છે.
ભાજપના ખોળામાં 44માંથી 37 સીટ આવી છે અને કોંગ્રેસ માંડ માંડ સાતડા સુધી પહોંચી શકી છે. કોંગ્રેસની હારનાં કારણોની શોધ કરવામાં આવી રહી છે પણ દેખીતા કારણોમાં વાપી-વલસાડ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી, તારું-મારું સહિયારું ચલાવવાનું જવાબદાર છે. નેતાઓ અને કાર્યકરોનો લોકો સાથે સંપર્ક નથી રહ્યો અને કોંગ્રેસ અહીંયા પણ વિરોધ કરવાની પણ ક્ષમતા ગૂમાવી દીધી છે.
કોરોના કાળમાં વાપી-વલસાડ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો લોકો વચ્ચે જેટલા રહેવા જોઈએ તેટલા રહ્યા નથી. લોક સંપર્ક કેળવીને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસની તરફે મતદારોને વાળવામાં જેટલી મહેનત કરવી જોઈએ તેટલી કરી ન હોવાની ફરિયાદો કરવામાં આવી રહી છે અને સ્થિતિ એ આવીને ઉભી છે કે કોંગ્રેસે જૂજ સંખ્યા સાથે ફરીવાર વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે.
એવું લાગે છે કે કોંગ્રેસને વિપક્ષ તરીકેનું લેબલ હવે છોડવું નથી. કોંગ્રેસને વિપક્ષ તરીકે જીતવાનું કોઠે પડી ગયું હોય એમ લાગે છે. ક્યાંક વધારે હોબાળો થાય તો આવેદનપત્ર આપીને પોતાની વિપક્ષની ભૂમિકાને ન્યાયિક ઠેરવવાના પ્રયાસો કરવામાં આવે છે અથવા તો મને-કમને પ્રતિક ધરણા કરી દેવામાં આવે છે.
વાપી નગરપાલિકા મુખ્યત્વે પારડી વિધાનસભામાં આવે છે અને પારડી વિધાનસભામાં કોંગ્રેસ પાસે અનેક મજબૂત કાર્યકરો હોવા છતાં અહીંયા કોંગ્રેસની ઘોર ખોદાય છે. નેતાઓ અને કાર્યકરો એકબીજા પર ખો આપે છે. પ્રદેશ કોંગ્રેસનાં નેતાઓ આવી ચૂંટણીઓને હળવી રીતે લેવામાં માનતા હોય એવી છાપ ઉપસે છે. પ્રદેશ નેતાઓને નગરપાલિકાની ચૂંટણીમાં ઉતારતા કોંગ્રેસને કદાચ નીચાજોણું લાગતું હોય એવું બની શકે છે.
બીજી તરફ ભાજપ પોતાના સંગઠનની મજબૂતાઈના કારણે કોંગ્રેસને નાની હોય કે મોટી હોય દરેક ચૂંટણીમાં તમ્મર ખવડાવી રહ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના સંસદીય મતક્ષેત્રના પાડોશી મતક્ષેત્ર વલસાડમાં ભાજપનો આ વિજય નિશંકપણે ભાજપ માટે 182 સીટના લક્ષ્યની તરફ દોરી જનારો છે એવું ભાજપના કાર્યકરો માની રહ્યા છે.
ગાંધીનગરની ચૂંટણીમાં સૂપડા સાફ થયા બાદ વાપી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો કરુણ રકાસ એ બતાવે છે કે કોંંગ્રેસની સ્થિતિ મૃત:પ્રાય થઈ ગઈ છે. કોંગ્રેસ હારના દુષ્કાળમાંથી ક્યારે બહાર આવશે તે કહેવું મુશ્કેલ છે.