સુરત: યતીમખાના હવે યતીમખાના રહ્યું નથી કે શું? યતીમ બાળકોને ખસેડી ‘હાઈ-ફાઈ’ વિદ્યાર્થીઓને પ્રાથમિકતા? ઉભા થયા અનેક સવાલો

સુરત શહેરમાં સુરત ઈસ્લામ યતીમખાના સોસાયટી (SIYS)ના સંચાલન સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ અઠવા ગેટ ખાતે આવેલા યતીમખાનામાં રહેતા યતીમ બાળકોને રાંદેર સ્થિત બોટાવાળા હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અઠવા ગેટનું યતીમખાનું હવે મોંઘીદાટ ફી ભરનારા અને સુખી પરિવારોના બાળકો માટે ઉપયોગમાં લેવાતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

સ્થાનિકોમાં એવી ફરિયાદો ઉઠી રહી છે કે યતીમખાનાનું મૂળ હેતુ યતીમ બાળકોને આશ્રય અને શિક્ષણ આપવાનું હતું, પરંતુ હાલની સ્થિતિમાં યતીમો માટેની સુવિધાઓ ઘટાડી દેવામાં આવી છે. રાંદેરના બોટાવાળા હોસ્ટેલમાં રહેતા બાળકોને રોજ બસ મારફતે અઠવા ગેટ ખાતે આવેલી યતીમખાના સંચાલિત સ્કૂલમાં ભણવા માટે લાવવામાં આવે છે અને ફરી પાછા મોકલવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ઈતિહાસ મુજબ, ઉમર જનરલ અને અનીસ હકીમના સમયમાં યતીમ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે ક્રેસન્ટ હાઈસ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઉંમર જનરલ અને અનીસ હકીમની ટીમે યતીમખાનામાં પાયાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને અનેક વિકાસ કાર્યો કર્યા હતા. પરંતુ હાલના સમયમાં આ જ સંસ્થામાં મોંઘી ફી ભરનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને તેમને આધુનિક હોસ્ટેલ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે, જેના કારણે યતીમ બાળકોના હકો પર અસર પડી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

કુરાનમાં યતીમોના અધિકારોને લઈને અનેક આયાતો છે, છતાંય સંસ્થાના સંચાલકો દ્વારા આ હકોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાની બાબતને લઈ લોકોમાં ભારોભાર રોષ ફેલાઈ રહ્યો છે.

સંસ્થાના પ્રમુખ યુનુસ ચક્કીવાલા અને સેક્રેટરી રજ્જી મિર્ઝાના વહીવટ સામે પણ હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે આ મામલે યતીમ બાળકોનાં હક અને અધિકારોનું રક્ષણ થવું જોઈએ અને તેમનું સંરક્ષણ સુનિશ્ચિત કરવું જોઈએ.

“એક જ દાતાનું 39 વાર નામ, ટૂકડે-ટૂકડે ચંદો: એંગ્લોનાં વાર્ષિક અહેવાલમાં નામ પ્રદર્શિત કરવાની હોડ?”

સુરત શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા “ધી સુરત મુસ્લિમ ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન સોસાયટી-એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ”ના વર્ષ 2024-2025ના 89મા વાર્ષિક અહેવાલમાં ચંદા સંબંધિત એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. અહેવાલના પેજ નંબર 96થી 101 સુધી પ્રકાશિત ચંદાદાતાઓની યાદીમાં એક જ દાતા કે તેમની સંસ્થાનું નામ કુલ્લે 39 વખત નોંધાયેલું જોવા મળ્યું છે, જેમાં દરેક વખતે રૂ. 10,000નું યોગદાન દર્શાવવામાં આવ્યું છે.

આ વિચિત્ર પદ્ધતિને કારણે સમાજમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. સામાન્ય રીતે, દાતાઓ દ્વારા ઝકાત, સદકો કે લિલ્લાહ રૂપે આપાતી રકમ એકમુઠ્ઠી આપવામાં આવે છે. પરંતુ અહીં એક જ દાતાએ કુલ રકમને નાના ભાગોમાં વહેંચીને વારંવાર ચંદો આપ્યો હોવાનો દાખલો જોવા મળે છે. જોકે, દાતા પોતાને અબજો અને કરોડપતિ હોવાનું જાહેરમાં દર્શાવે છે.

આ મામલે કેટલાક લોકોનું માનવું છે કે દાતા દ્વારા આ રીતે ચંદો આપવાનો હેતુ વાર્ષિક અહેવાલમાં પોતાનું નામ વારંવાર પ્રગટ થાય તેવો હોઈ શકે છે. બીજી તરફ, કેટલાક લોકો આને દાતાની વ્યક્તિગત દાન પદ્ધતિ ગણાવી રહ્યા છે અને તેમાં કોઈ ગેરરીતિ ન હોવાનું કહી રહ્યા છે.

પ્રશ્ન એ પણ ઉદ્ભવે છે કે જ્યારે ઝકાત, સદકો અને લિલ્લાહ જેવી રકમો સંસ્થાને આપવાની હોય ત્યારે તે એક સાથે કેમ આપવામાં નથી આવતી? શું આ પદ્ધતિ પાછળ કોઈ ખાસ કારણ છે કે માત્ર પ્રચાર મેળવવાની ઇચ્છા?

આ મુદ્દે સંસ્થાના સંચાલકો દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. જો કે, આ ઘટના પછી દાનની પારદર્શિતા અને પદ્ધતિ અંગે ચર્ચાઓ તેજ બની છે. સમાજના અગ્રણીઓએ આ મુદ્દે સ્પષ્ટતા કરવા અને આવનારા સમયમાં વધુ પારદર્શક વ્યવસ્થા અપનાવવા સંસ્થાને અપીલ કરી છે.

આ પ્રકરણને પગલે હવે લોકોમાં એક ચર્ચા શરૂ થઈ છે કે દાન માત્ર સહાય માટે હોવું જોઈએ કે પછી તેમાં નામના મેળવવાની લહાય વધુ છે, આ પ્રશ્ન હવે પૂછાઈ રહ્યો છે.

ગુજરાતમાં ફરી માવઠાની સંભાવના, દેશના અનેક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

દેશભરમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગે તીવ્ર ગરમી અને લૂની ચેતવણી આપી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને છોડીને મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તાપમાન અચાનક વધી જતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિદર્ભનું અકોલા શહેર 44 ડિગ્રી તાપમાન સાથે વિશ્વના સૌથી ગરમ શહેરોમાં સ્થાન પામ્યું છે.

ગુજરાત માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય. જોકે રવિવારથી મંગળવાર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદી છાંટાની શક્યતા છે. આ માવઠું સામાન્ય સ્તરનું રહેશે.

21 એપ્રિલે તાપી, ડાંગ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવા વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા છે. જ્યારે 22 એપ્રિલે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 19થી 21 એપ્રિલ વચ્ચે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 25થી 29 એપ્રિલ દરમિયાન ગરમીમાં વધારો થશે, જ્યારે મે મહિનાની શરૂઆતમાં ફરી હવામાનમાં ફેરફાર આવી શકે છે. 11થી 20 મે દરમિયાન કેટલાક વિસ્તારોમાં આંધી-વંટોળ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દેશના અન્ય ભાગોમાં પણ હવામાનમાં અસથિરતા જોવા મળી રહી છે. ઉત્તર-પૂર્વીય રાજ્યો જેમ કે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી પાંચ દિવસ દરમિયાન પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ અને કેટલીક જગ્યાએ કરા પડી શકે છે.

હરિયાણા, પંજાબ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ હળવા વરસાદની શક્યતા છે. બીજી તરફ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, તેલંગાણા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 17થી 21 એપ્રિલ દરમિયાન લૂનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં તાપમાન 40થી 44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

ઓડિશા, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ઉકળાટ લોકોને પરેશાન કરી શકે છે. પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને કેટલાક વિસ્તારોમાં આંધી સાથે પવન ફૂંકાવાની શક્યતા છે.

સુરત: એંગ્લો સામેની યતીમખાના હોસ્ટેલમાં ફારુક પટેલ( ફારુક કેપી)નાં વાયદાનું શું થયું? યુનુસ ચક્કીવાલા, રજજી મિર્ઝા, કાસમ ભામ જવાબ આપે

ધી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીના ગરીબ, મિસ્કીન લોકોના લાખોના ફંડમાંથી બનેલી એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ સામેની યતીમખાના હોસ્ટેલનો તાત્કાલિક કબજો લેવા,તથા અત્યાર સુધી કબજો લેવા શું કાર્યવાહી કરવામાં આવી એનો લેખિત ઉત્તર આપવા માટે એડવોકેટ જાવીદ હુસૈન મુલ્તાનીએ યતીમ ખાના સોસાયટીનાં હોદ્દેદારો એટલે કે પ્રમુખ યુનુસ ચક્કીવાલા, સેક્રેટરી રજ્જી મિર્ઝા, કાસમ ભામ, વાય.વાય ઠાકોર(યુનુસ ઠાકોર) સહિતને એક આકરો પત્ર લખ્યો છે.

એડવોકેટ જાવીદ મુલ્તાનીએ જણાવ્યું કે ધી સુરત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી (એંગ્લો ઉર્દૂ સ્કૂલ) ની સામે આવેલી અને યતીમખાના હોસ્ટેલ તરીકે જાણીતી હોસ્ટેલ યોગ્ય દેખરેખ અને સંચાલનના અભાવે ખખડી,જ્જરિત થઈ રહી છે.મરહુમ જન્નતનશીન ઝહીરુદ્દીન બુખારી સંસ્થાના પ્રમુખ હતાં,અને યતીમખાના સોસાયટીના સેક્રેટરી હતા ત્યારે તેમણે ધી સુરત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી (એંગ્લો ઉર્દૂ સ્કૂલ) ની સામાન્ય સભામાં સ્વીકાર્યું હતું કે,આ હોસ્ટેલ સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીના યતીમ, મિકીન લોકોના ર લાખથી વધુ રૂપિયાના ફંડમાંથી બનેલી છે., ધી સુરત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના હાલના પ્રમુખ નસીમ કાદરી ત્યારે કેપી-કાદરી પેનલ વિરુદ્ધ હતા ત્યારે તેમની પાસે યતીમખાના સોસાયટીના હોદ્દેદારોએ એંગ્લો ઉર્દૂ સ્કૂલની સામે આવેલી અને યતીમખાના હોસ્ટેલ તરીકે જાણીતી હોસ્ટેલનો કબજો સોંપવા જણાવ્યું હતું. પણ તેઓ સહિત અન્ય કેટલાક હદિદારો એ ખરાબ શબ્દોમાં યતીમખાનાના ટ્રસ્ટીઓને હોસ્ટેલનો કબજો આપવા ઇનકાર કર્યો હતો.

તેમણે જણાવ્યું કે અમારી જાણકારીમાં છે, શું એ સાચું છે કે, ફારુક જી.પટેલ ઉર્ફે ફારૂક કે.પી. જ્યારે સુરત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી એંગ્લો ઉર્ફે સ્કૂલ) માં પ્રમુખ પદ હેઠળની ચૂંટણી લડી રહ્યાં હતાં. ત્યારે ફારુક કેપી, મુસ્તાક ગોલંદાઝ, મુખત્યાર શેખ અને જનાબ હાજી ઉંમર ચાંદીવાલાએ એંગ્લો ઉર્દૂ સ્કૂલની સામે આવેલી યતીમખાના હોસ્ટેલનો કબજો અપાવવા યતીમખાના સોસાયટીના હોદ્દેદારો સાથે યતીમખાનામાં કોઇ બેઠક યોજી હતી? આ બેઠકમાં યતીમખાના વતી ક્યા હોદ્દેદારો હતા?
તેમણે પત્રમાં જણાવ્યું કે માહિતી મુજબ એંગ્લો સ્કૂલની સંસ્થાની તે સમયની ચૂંટણી વખતે કારુક કેપીએ યતીમખાના સોસાયટીને જો તેમની પેનલ જીતી તો આ હોસ્ટેલનો કબજો અપાવશે એનો વાયદો કર્યો હતો, કમિટમેન્ટ આપ્યું હતું.તો છેલ્લા કેટલાક સમયથી ફારૂક કેપી પ્રેરિત પેનલ જ એંગ્લોમાં વહીવટ સંભાળે છે તો યતીમખાના સોસાયટીએ આ હોસ્ટેલનો કબજો કેમ લીધો નથી? અત્યાર સુધી યતીમખાના હસ્તક આ હોસ્ટેલ લેવા શું કાર્યવાહી કરી એનો યતીમખાના સોસાયટીના પ્રમુખ સેક્રેટરી તથા અન્ય હોદ્દેદાર, જવાબદાર ટ્રસ્ટીઓ આ અંગે લેખિત ખુલાસો કરશે એવી અપેક્ષા છે.

એડવોકેટ જાવીદ મુલ્તાનીએ વધુમાં જણાવ્યું કે આ હોસ્ટેલમાં યતીમ, મિસ્કીન, અનાથ લોકોના હકના રૂપિયા લાગ્યા છે,ત્યારે અલ્લાહ પાકના દરબારમાં યતીમખાના સોસાયટી અને એંગ્લો ઉર્દુની મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો, કારોબારી સભ્યો જો યતીમોના હકમાં અવાજ બુલંદ નહીં કરે તો અલ્લાહના દરબારમાં એનો હિસાબ થશે. ઘણા હોદ્દેદારો આ ઇન્સાફ કર્યા વિના અલ્લાહ પાકની બારગાહમાં પહોંચી ગયા છે.

તેમણે જણાવ્યું કે યતીમખાનાની હોસ્ટેલનો એંગ્લોના હોદ્દેદારો યોગ્ય ઉપયોગ, દેખરેખ કે રખરખાવ પણ કરતા નથી. આ હોસ્ટેલ સુરતના સૌથી સુરક્ષિત વિસ્તારમાં આવેલી છે.અહીં એનો ઉપયોગ યતીમખાનાની ગર્લ્સ હોસ્ટેલ, વર્કિંગ વુમન હોસ્ટેલ, સુરતમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવતી વિધાર્થીનીઓ, સુરતની કોલેજ, યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થિનીઓ,મહિલા પ્રોફેસર્સને રાખવા માટે કરી શકાય એમ છે એ માટે રખરખાવ પૂરતી ફી પણ લઈ શકાય. કોમની જે દીકરીઓ પાસે સુરતમાં રહેવાના હોસ્ટેલ ખર્ચના રૂપિયા નથી તેઓને સ્પોન્સર કરીને પણ ખિદમત કરી શકાય એમ છે. હાલ આ હોસ્ટેલ સંચાલકોની બેદરકારીને લીધે ખસ્તા હાલ છે ત્યારે ઘી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીનાં ટ્રસ્ટીઓએ ગેરેન્ટર ફારુક કેપી એટલે કે કેપી-કાદરી પેનલના જવાબદાર હોદ્દેદારોને તેડાવી આ મામલે બેઠક યોજી, સુરત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી (એંગ્લો ઉર્દૂ સ્કૂલ)ની ત્રણ વર્ષ માટેની સામાન્ય ચૂંટણી પહેલા બેઠક યોજી, મશવરા, ચર્ચા, સંવાદથી ઉકેલ લાવવો જોઈએ.

તેમણે અંતે જણાવ્યું કે છે કે યતીમખાના સોસાયટીનાં હોદ્દેદારો, ટ્રસ્ટીઓ પણ મુસ્લિમ સમાજના મોભીઓ છે, ત્યારે યતીમખાનાના યતીમોના લાખો રૂપિયાના ફંડમાંથી બનેલી હોસ્ટેલનો કબજો સાચા હકદાર એવા ધી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીને નહીં સોંપે તો એવા હોદ્દેદારો, કારોબાર સભ્યોની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું દિદારો કારોબારી સભ્યોનો ચૂંટણીમાં બહિષ્કાર કરવાનું આહવાન (એલાન) આપવું જોઈએ.

સુરત: યતીમખાના હોસ્ટેલ મુદ્દે એડવોકેટ જાવીદ હુસૈન મુલ્તાનીનો કડક પત્ર, હોસ્ટેલનો તાત્કાલિક કબજો લેવા સાથે ખુલાસાની માંગ

સુરતમાં યતીમખાના હોસ્ટેલ મુદ્દે ફરી એકવાર વિવાદ ઉગ્ર બન્યો છે. એડવોકેટ જાવીદ હુસૈન મુલ્તાનીએ એક વિગતવાર પત્ર દ્વારા ધી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી તથા સંબંધિત સંસ્થાઓને હોસ્ટેલનો તાત્કાલિક કબજો લેવા અને અત્યાર સુધી થયેલી કાર્યવાહી અંગે લેખિત જવાબ આપવા માંગ કરી છે.

એડવોકેટ જાવીદ હુસૈન મુલ્તાનીના જણાવ્યા મુજબ, એંગ્લો ઉર્દૂ સ્કૂલ સામે આવેલી અને યતીમખાના હોસ્ટેલ તરીકે ઓળખાતી ઈમારત યોગ્ય દેખરેખના અભાવે હાલ ખરાબ હાલતમાં પહોંચી ગઈ છે. આ હોસ્ટેલ યતીમ અને મિસ્કીન લોકોના લાખો રૂપિયાના ફંડમાંથી બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

એડવોકેટ જાવીદ હુસૈન મુલ્તાની પત્રમાં ઉલ્લેખ કરે છે કે અગાઉ સંસ્થાના જવાબદારોએ પણ સ્વીકાર્યું હતું કે આ હોસ્ટેલ યતીમખાના સોસાયટીની સંપત્તિ છે. છતાં આજ સુધી તેનો કબજો સોંપવામાં આવ્યો નથી, જે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે.

આગળ તેઓ લખે છે કે સંસ્થાની ચૂંટણી દરમિયાન  ટ્રસ્ટીઓ દ્વારા યતીમખાના સોસાયટીને હોસ્ટેલનો કબજો અપાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો.

એડવોકેટ જાવીદ હુસૈન મુલ્તાની પૂછે છે કે હવે જ્યારે તે જ પેનલ સત્તામાં છે, ત્યારે આ વચનનું પાલન કેમ થયું નથી.

એડવોકેટ જાવીદ હુસૈન મુલ્તાનીના મતે, યતીમોના હકના પૈસાથી બનેલી આ મિલકતનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. તેઓ સૂચવે છે કે આ હોસ્ટેલને ગર્લ્સ હોસ્ટેલ, વર્કિંગ વુમન હોસ્ટેલ અથવા વિદ્યાર્થિનીઓ માટે રહેવાની સુવિધા તરીકે વિકસાવી શકાય છે, જેથી સમાજને ફાયદો થાય.

પત્રમાં એડવોકેટ જાવીદ હુસૈન મુલ્તાની તાકીદ કરે છે કે યતીમખાના સોસાયટીના ટ્રસ્ટીઓએ તાત્કાલિક બેઠક બોલાવી અને સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરીને સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

અંતમાં, એડવોકેટ જાવીદ હુસૈન મુલ્તાની ચેતવણી આપી છે કે જો આ મામલે ન્યાય નહીં થાય, તો જવાબદાર લોકો સામે સમાજમાં વિરોધ ઉભો થઈ શકે છે અને તેમની સામે ચૂંટણીમાં બહિષ્કાર જેવી કાર્યવાહી પણ વિચારવામાં આવશે.

સુરતના સામાજિક વર્તુળોમાં આ પત્ર પછી ચર્ચાઓ તેજ બની છે અને હવે સૌની નજર સંબંધિત સંસ્થાઓના પ્રતિસાદ પર છે.

સુરતની એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ, ગૌરવથી ગાબડાં સુધી: ફી માફીને લઈ યાદ આવે છે સૈયદ ઝહીરુદ્દીન બુખારી

સુરતની ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી (એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ) આજે ફરી ચર્ચામાં છે, પરંતુ આ વખતે ગૌરવ માટે નહીં, પરંતુ ચિંતાજનક પરિસ્થિતિઓને લઈને.

એક સમય હતો જ્યારે આ સંસ્થાના ઘડતરમાં સમાજસેવીઓએ “લોહીનું પાણી” કર્યું હતું. સુરતના વરિષ્ઠ પત્રકાર અને સમાજના માર્ગદર્શક મર્હુમ સૈયદ ઝહીરુદ્દીન બુખારીએ શાળાના વિકાસ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું. તેમની સાથે સૈયદ અહેમદ બગદાદીએ પણ સંસ્થાને ગૌરવ અપાવ્યું હતું. આજે, દુઃખની વાત એ છે કે આવા મહાન યોગદાન આપનારા લોકો વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ થતો જોવા મળે છે, જે અત્યંત નિંદનીય છે.

એ તો સારું થયું કે પ્રમુખ પદે આવેલા ફારુક ચાંદીવાલા-સૈયદ અહેમદ બગદાદીએ એંગ્લોના એક મેઈન ગેટને મર્હુમ સૈયદ ઝહીરુદ્દીન બુખારી ગેટ નામ આપ્યું, નહિંતર આ ધનવાનોમાંથી કોઈ એકનું નામ આ ગેટ પર લખી દેવામાં આવ્યું હોત. સૈયદ ઝહીરુદ્દીન બુખારી જેવા અજાત શત્રુ અને નિખાલસ વ્યક્તિની સામે ચૂંટણી લડીને નસીમ કાદરી પ્રમુખ બન્યા હતા.

આ સંસ્થાની એક ખાસ ઓળખ તેની માનવતાવાદી નીતિ રહી છે. આર્થિક સ્થિતિ નબળી હોય કે ન હોય, બાળકોને ધોરણ 10 સુધી શિક્ષણ મળે તે માટે 100 ટકા ફી માફી કરવાની વિચારધારા. ઉદ્દેશ સ્પષ્ટ હતો કે કોઈપણ મુસ્લિમ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય. બાળકો જ નહીં પણ વાલીઓમાં પણ શિક્ષણની ભૂખ વધે તેવા પ્રયાસો સૈયદ ઝહીરુદ્દીન બુખારીએ કર્યા હતા. 100 ટકા ફી માફીનું જોખમ ટાંચા આર્થિક સાધનો વચ્ચે પણ તેમણે ખેડ્યા હતા. આજે શું છે….જાણે આ ધનવાનો સમાજ ઉપર મોટો ઉપકાર કરતા હોય તે રીતે વર્તૂણંક કરે છે. પણ એ ક્યાંક ભાન ભૂલી જાય છે કે તેઓ શું કરી રહ્યા છે.

પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં સંસ્થાની દિશા અંગે અનેક સવાલો ઊભા થયા છે. સંચાલનમાં રહેલા ધનવાન વર્ગ દ્વારા શૈક્ષણિક વિકાસ કરતાં વધુ ભાર આનંદ મેળા, સ્પર્ધાઓ, હાર-તોરા, ફોટો સેશન અને દેખાવ પર મૂકાયો હોવાનો આક્ષેપ છે.

ત્રણ વર્ષમાં 1.29 કરોડ રૂપિયાની ફી માફીનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં પણ આશરે 40 ટકા ફી માફી શાળાના વિદ્યાર્થીઓના જ ફંડમાંથી કરવામાં આવી હોવાનું કહેવાય છે. બીજી તરફ, કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા દાતાઓએ સંસ્થાના મૂળભૂત વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું નથી તેવી ટીકા થાય છે.

મહેશ સવાણીના ટ્રસ્ટ દ્વારા 250 વિદ્યાર્થીઓને દત્તક લેવાની કામગીરી સરાહનીય છે, પરંતુ કુલ મળીને સંસ્થાના ઢાંચાગત અને શૈક્ષણિક વિકાસમાં ગાબડાં જોવા મળે છે.

શાળામાં નવા વર્ગખંડો અને વિવિધ માધ્યમો શરૂ કરવામાં આવ્યા હોવા છતાં, ધોરણ 8 પછી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે. ધોરણ 10માં વર્ગખંડોની સંખ્યા માત્ર 4 સુધી સીમિત રહી જાય છે અને ધોરણ 12માં તો માત્ર 2 વર્ગખંડ બાકી રહે છે. આ વધતો ડ્રોપઆઉટ રેટ ગંભીર ચિંતાનો વિષય છે. બાળકોની 30 ટકા ફી કરીને મોટી સેવા કરવાની ડંફાશ મારતા આ ધનવાનો કે અમીરે શહેરોએ શાળાના વિકાસનાં ડૂચા કાઢી નાંખ્યા છે. મોટી મોટી ડંફાશો માત્રને માત્ર ધુપ્પલ સાબિત થઈ છે.

એંગ્લોની નવી શાખા ખોલવા, કોલેજ બનાવવાની વાતો, શાળાને આર્થિક રીતે સદ્વર કરવાની વાત, શિક્ષકો અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા સહિતની વાતો દોદળી પુરવાર થઈ છે. સ્માર્ટ ક્લાસ હોવા છતાં બાળકોને મોબાઈલ પર  હોમવર્ક આપીને મોબાઈલ પર બિઝી કરી દેનારા શિક્ષકો શાળામાં શું અભ્યાસ કરાવે છે, એ સવાલ ઉભો થાય છે. ફીને લઈ હોદ્દેદારો, મેનેજિંગ ટ્રસ્ટીઓ દ્વારા ન સહન કરી શકાય તેવી રંજાડ અને ત્રાસનો ભોગ વાલીઓ અને વિદ્યાર્થીઓ બની રહ્યા છે. તોછડાઈ અને ઉદ્વતાઈ કોઠે પડી ગઈ છે કે શું? ફી માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ક્લાસ રુમની બહાર કે પછી પાટલા પર બબ્બે ક્લાક સુધી ઉભા રાખવાના કિસ્સા નોંધાયા છે. જાહેરમાં અન્ય વિદ્યાર્થીઓની સામે તેમનો ફજેતો કરવામાં આવે છે. કાં તો આ બધું જાણી જોઈને કરવામાં આવે છે અથવા તો ફરિયાદ તરફ આંખ મિચામણા કરવામાં આવે છે. સૈયદ ઝહીરુદ્દીન બુખારી અને સૈયદ અહેમદ બગદાદી આવા સમયે વાલીઓ અને વિદ્યાર્થીઓને યાદ આવે તે સ્વભાવિક છે.

આ પરિસ્થિતિમાં સવાલ ઊભો થાય છેકે સંસ્થાના વિકાસ માટે જવાબદાર ગણાતા ધનવાન વર્ગે વાસ્તવમાં શું યોગદાન આપ્યું? શું શૈક્ષણિક મૂલ્યો અને મૂળભૂત ઉદ્દેશોથી સંસ્થા દૂર જઈ રહી છે?

સમાજ અને સંચાલકો માટે આ એક ચેતવણીરૂપ પરિસ્થિતિ છે, જેમાં સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સંસ્થાનું ભવિષ્ય વધુ જોખમમાં મુકાઈ શકે છે.

‘બુલેટ ટ્રેન’માં માણો સ્વાદિષ્ટ ભોજનની મોજ, અનોખા થીમ રેસ્ટોરન્ટની લિજ્જતદાર વાતો

છેલ્લા થોડા વરસથી મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. એની શરૂઆત જ્યારે થાય ત્યારો પણ વડોદરાવાસીઓ તો બુલેટ ટ્રેનની મોજ અત્યારથી જ માણી રહ્યા છે. કારણ, વડોદરાના સેવન સીઝ મૉલમાં હવે માત્ર શોપિંગ નહીં, પણ ‘બુલેટ ટ્રેન’નો અનોખો અનુભવ પણ મુલાકાતીઓ માણી શકે છે! શહેરના રિયલ એસ્ટેટના અગ્રણી અગ્રવાલ ફૅમિલી દ્વારા શરૂ કરાયેલું આ થીમ રેસ્ટોરન્ટ આજકાલ ભારે ચર્ચામાં છે. ટેક્નોલૉજી અને કલ્પનાશક્તિના સંયોજનથી બનેલું આ રેસ્ટોરન્ટ લોકો માટે એક યાદગાર અનુભવ બની રહ્યું છે.

વડોદરાના રહેવાસી અગ્રવાલ પરિવારનો મુખ્ય વ્યવસાય કન્સ્ટ્રક્શનનો છે. બિલ્ડર અને આર્કિટેક્ટ તરીકે વિખ્યાત એવા અગ્રવાલ પરિવારની નવીનતા માટેની ઝંખનાએ તેમને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પગલું ભરવા પ્રેર્યા. પોતાના મૉલમાં ઉપલબ્ધ ખાલી જગ્યાનો ઉપયોગ કરીને કંઈક અલગ અને આકર્ષક સર્જવાનો વિચાર આ પ્રોજેક્ટનો આધાર બન્યો.

‘બુલેટ ટ્રેન રેસ્ટોરન્ટ’ અંગે જાણકારી આપતા વિરાજ અગ્રવાલે જણાવ્યું કે, થીમ આધારિત રેસ્ટોરન્ટ મૂળ વિચાર મારા પિતા અને જાણીતા આર્કિટેક્ટ વિજય અગ્રવાલનો હતો. ચીનમાં બુલેટ ટ્રેનના અનુભવથી એટલા પ્રભાવિત થયા કે વડોદરામાં પણ એવું કંઈક બનાવવાની ઈચ્છા જન્મી. પરિણામે, એક એવું રેસ્ટોરન્ટ તૈયાર થયું જ્યાં ગ્રાહકો સ્વાદિષ્ટ વાનગીઓની સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરીનો મજેદાર અનુભવ લઈ શકે.

ખાસ વાત એ છે કે રેસ્ટોરન્ટની અંદર બારીના સ્થાને મુકાયેલા વિડિયો સ્ક્રીન પર વડોદરા મુંબઈ દરમિયાન જોવા મળતા જીવંત દૃશ્યો બતાવવામાં આવે છે, જે અનુભવને વધુ રિયલ બનાવે છે. 15 માર્ચે શરૂ થયેલી આ રેસ્ટોરન્ટને શરૂઆતથી જ લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ‘બુલેટ ટ્રેન’ નામ સાંભળીને જ લોકો અહીં પહોંચે છે અને સ્વાદિષ્ટ પ્યોર વેજ મલ્ટિ-ક્યુઝિન ભોજનનો આનંદ લે છે.


રેસ્ટોરન્ટના ભાવ પણ ખૂબ જ વ્યાજબી રાખવામાં આવ્યા છે, જેથી દરેક વર્ગના લોકો આ અનુભવ માણી શકે. સાથે જ, નાની-મોટી પાર્ટી અને ઈવેન્ટ માટે પણ અહીં સુવિધા ઉપલબ્ધ છે.

મંચ કેટરર્સ અને નાગપુરના વૈદેહી કિચનના માર્ગદર્શનથી તૈયાર થયેલું આ રેસ્ટોરન્ટ હવે વડોદરાની ઓળખ બની રહ્યું છે… જ્યાં સ્વાદ અને સફરનો આહલાદક અનુભવ પણ મળે છેય

 

ગુજરાતમાં તાપમાનનો કહેર, અમદાવાદ અને રાજકોટ 40°C પાર, ગરમીનો પ્રકોપ વધ્યો

ગુજરાત રાજ્યમાં ઉનાળાની ગરમી હવે દિવસ પ્રતિદિન વધુ તીવ્ર બની રહી છે. ખાસ કરીને અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરોમાં તાપમાન 40°Cથી ઉપર નોંધાતા લોકોમાં તાપમાનનો ત્રાસ વધ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ ગરમીમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં તાપમાન લગભગ 40°Cથી વધુ નોંધાયું છે, જ્યારે રાજકોટમાં પણ સમાન પરિસ્થિતિ જોવા મળી રહી છે. બપોરના સમયે ગરમીનો પ્રભાવ સૌથી વધુ જોવા મળે છે, જેના કારણે રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી ગઈ છે. ગરમ પવનો (લૂ) ફૂંકાતા લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.

આકરા તાપમાનને કારણે સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે. ખાસ કરીને વયસ્કો, બાળકો અને બિમાર લોકો માટે આ ગરમી જોખમકારક બની શકે છે. ડોક્ટરોએ લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપી છે અને વધુમાં વધુ પાણી પીવું, ઠંડકવાળા પદાર્થો લેવું અને સીધી ધુપથી બચવાનું સૂચન કર્યું છે.

ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને શહેરોમાં મ્યુનિસિપલ તંત્ર પણ સજાગ બન્યું છે. પાણીની પૂરતી વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અને જાહેર સ્થળોએ છાંયો તથા પીવાના પાણીની સુવિધા વધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે ગરમીનો માહોલ સામાન્ય કરતાં વધુ તીવ્ર રહેવાની શક્યતા છે. જો આવી જ પરિસ્થિતિ ચાલુ રહે તો આવનારા દિવસોમાં હીટવેવ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખે, જરૂરી હોય ત્યારે જ બહાર નીકળે અને ગરમી સામે સાવચેતી રાખે.

ગુજરાત સ્થાનિક ચૂંટણી પહેલા મોટો રાજકીય ખેલ, 1,572 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા, 325 બિનહરીફ ચૂંટાયા

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય પરિસ્થિતિ વધુ રસપ્રદ બની રહી છે. ઉમેદવારી ફોર્મ પાછાં ખેંચવાના છેલ્લા દિવસે મોટાપાયે ઉમેદવારોએ પોતાનું નામ પાછું ખેંચતાં રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે.

રાજ્યભરમાં કુલ 1,572 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। આ નિર્ણય પાછળ વિવિધ કારણો જવાબદાર માનવામાં આવે છે. પાર્ટી આંતરિક સમજૂતીઓ, દબાણ, સ્થાનિક સ્તરે સમાધાન અથવા જીતની ઓછી શક્યતા જેવા મુદ્દાઓ મહત્વના રહ્યા છે. કેટલીક જગ્યાએ પક્ષોએ “એક ઉમેદવાર – એક પક્ષ”ની વ્યૂહરચના અપનાવીને બળવો અટકાવવાનો પ્રયત્ન કર્યો છે.

આ ઉપરાંત, 325 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જે ચૂંટણી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ આંકડો ગણાય છે। અનેક વોર્ડ અને તાલુકા-જિલ્લા પંચાયતોમાં વિરોધી ઉમેદવાર ન હોવાના કારણે સીધી જીત મળી છે. ખાસ કરીને નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રવૃત્તિ વધુ જોવા મળી છે.

વિશ્લેષકોનું માનવું છે કે બિનહરીફ જીત પાછળ રાજકીય સમજૂતીઓ, પ્રભાવશાળી સ્થાનિક નેતાઓનો દબદબો અને વિરોધ પક્ષોની નબળી હાજરી જેવા કારણો છે. કેટલીક જગ્યાએ આ પરિસ્થિતિને લઈને વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો છે કે દબાણ અથવા પ્રભાવના કારણે ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવું પડ્યું છે, જ્યારે સત્તાધારી પક્ષ આક્ષેપોને નકારી રહ્યો છે અને તેને લોકશાહી પ્રક્રિયાનો ભાગ ગણાવી રહ્યો છે.

આ સમગ્ર ઘટનાક્રમને કારણે રાજ્યમાં રાજકીય તણાવનું વાતાવરણ ઉભું થયું છે. આવનારા મતદાન પહેલા જ પરિણામોના સંકેતો મળતા હોય તેવી ચર્ચા પણ ચાલી રહી છે. રાજકીય પક્ષો હવે બાકીની બેઠકો પર વધુ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, જેથી વધુમાં વધુ જીત મેળવી શકાય.

આ ચૂંટણીના અંતિમ પરિણામો રાજ્યની રાજકીય દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને સ્થાનિક સ્તરે શક્તિનું સંતુલન કઈ તરફ વળે છે તે પણ સ્પષ્ટ થશે.

મુસ્તાકને સુપ્રીમ કોર્ટે છોડ્યો હતો નિર્દોષ, આજે જીવે છે પ્રમાણિક જીવન, અન્યો માટે પ્રેરણારુપ બન્યો

સુરતમાં થયેલા શસ્ત્રોના કેસમાં મુસ્તાકને અંતે સુપ્રીમ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. લાંબા સમય સુધી ચાલેલી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે મુસ્તાક સામે મૂકવામાં આવેલા આરોપો પુરાવાના અભાવે સાબિત થઈ શક્યા નહોતા. કોર્ટે સ્વીકાર્યું હતું આ કેસમાં મુસ્તાકની સંડોવણી પુરવાર થઈ શકી નથી.

આ કેસ દરમિયાન મુસ્તાકને અનેક પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેલની અસહ્ય વેદના પણ ઝીલી હતી. સમાજમાં તેની છબી પર પણ અસર પડી હતી, પરંતુ તેણે કાનૂની લડત ધીરજ અને વિશ્વાસ સાથે ચાલુ રાખ્યા. અંતે, સત્યની જીત થઈ અને સુપ્રીમ કોર્ટે તેને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો. મુસ્તાકને અલ્લાહમાં વિશ્વાસ હતો કે એક દિવસ જીત એની જ થશે. અલ્લાહે તેની દુઆ કબૂલ કરી.

નિર્દોષ જાહેર થયા બાદ મુસ્તાકે પોતાનું જીવન ફરીથી ગોઠવવાનું શરૂ કર્યું. આજે તે એક સામાન્ય નાગરિક તરીકે શાંતિપૂર્ણ અને પ્રમાણિક જીવન જીવી રહ્યો છે. તે સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાનું કામ પણ કરી રહ્યો છે કે સત્ય અને ન્યાયમાં વિશ્વાસ રાખવાથી અંતે સચ્ચાઈનો વિજય થાય છે અને ખોટા કામોથી દુર રહેવાની પણ લોકોને નસીહત કરે છે.

મુસ્તાકની આ કહાની માત્ર એક વ્યક્તિની નિર્દોષતા સાબિત થવાની નથી, પરંતુ તે ન્યાયપ્રણાલી પર વિશ્વાસ અને ધીરજનું પ્રતીક પણ છે. તેની જીવનયાત્રા સમાજ માટે પ્રેરણાદાયી છે અને બતાવે છે કે મુશ્કેલ સમયમાં પણ હિંમત અને સચ્ચાઈ સાથે આગળ વધવું કેટલું મહત્વપૂર્ણ છે.