ગુજરાતમાં ભાજપે આ 7 ઉમેદવારના નામ કર્યા જાહેર, જાણો કોનું પત્તુ કપાયું અને કોણ થયું રિપીટ?

ભાજપે કુલ 72 ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં ગુજરાતમાં પણ 7 ઉમેદવારોને ટિકિટ મળી છે. આ સાત ઉમેદવારોમાં સુરતથી મુકેશ દલાલ,ભાવનગરમાં નિમુબેન બાભણીયા, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વમાં હસમુખભાઈ પટેલ, વડોદરામાં રંજનબેન ભટ્ટ, છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા, વલસાડમાં ધવલ પટેલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે, ભાજપે સાબરકાંઠા, ભાવનગર, છોટાઉદેપુરમાં અને સુરત, વલસાડના સાંસદની ટિકિટ કાપીને નવા ચહેરાને તક આપી છે.

ભાજપે બીજી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતમાં સુરતના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ટિકિટ કાપી મુકેશ દલાલને ટિકિટ આપી છે. તે જ રીતે ભાવનગરના વર્તમાન સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને ટિકિટ નથી મળી. તેમના સ્થાને ભાવનગરના પૂર્વ મેયર નિમુબેન બાંભણીયાને ટિકિટ અપાઇ છે.

વલસાડમાં વર્તમાન સાંસદ કે.સી.પટેલના બદલે ધવલ પટેલને અપાઇ ટિકિટ, છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાનું પત્તુ કપાયું છે તેમના સ્થાને જશુભાઈ રાઠવાની પસંદગી થઈ છે. સાબરકાંઠા બેઠક પર હાલમાં દીપસિંહ રાઠોડના બદલે ભીખાજી ઠાકોરને ટિકિટ મળી છે.

ગુજરાત ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારોના નામનો જાહેરાત કરી દીધી છે. ભાજપે 22માંથી પૈકી 10 બેઠકો પર સાંસદના પત્તા કાપ્યા છે. અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગર બેઠક પર હજુ ઉમેદવારના નામ પર સસ્પેંસ યથાવત છે.

 

ગુજરાતમાં આ 4 લોકસભાની સીટ માટે સસ્પેન્સ: જાણો ભાજપની શું છે રાજકીય મુશ્કેલી?

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ તેના ઉમેદવારોની જાહેર કરી રહ્યું છે. ભાજપે આજે લોકસભાના નવા 7 નામો જાહેર કરતાં કુલ 22 ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. જો કે હજુ પણ 4 સીટો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે, આ બેઠકોમાં અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં 26માંથી 26 બેઠકો જીતવા માગે છે તેથી ખુબ જ સાવધાનીપૂર્વક ઉમેદવારો જાહેર કરી રહ્યું છે. હવે આ 4 સીટો પર ક્યાં કોકડું ગુચવાયું છે તે જાણવું રસપ્રદ બની રહેશે.

ભાજપ માટે અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગર સીટ માટે ઉમેદવારો જાહેર કરવામાં સૌથી મોટી મુશ્કેલી જાતિ સમીકરણો ઉપરાંત પાર્ટીનું આંતરિક રાજકારણની છે. જેમ કે મહેસાણામાં અનિલભાઈના પત્ની અને વર્તમાન સાંસદ શારદાબેન પટેલે આ બેઠક પર ચૂંટણી લડવાની પહેલાંથી ના પાડી છે. તે જ રીતે નીતિન પટેલે આ બેઠક પર દાવેદારી કરી હતી પણ હાઈકમાન્ડના દબાણથી તેમને આ દાવેદારી છોડી દીધી છે. મહેસાણામાં પાટીદાર અને ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે. હાલ મહેસાણા સીટ માટે ડો. એ.કે પટેલના પુત્ર એવા ડૉક્ટર ધનેશ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલનું નામ પણ ટિકિટ માટે ચર્ચામાં છે, તો બીજું એક મોટું નામ કડી વિદ્યાલયના સરદારભાઈનું છે તે પણ આ બેઠકના પ્રબળ દાવેદાર ઉમેદવાર ગણી શકાય છે.

સુરેન્દ્રનગરમાં પણ કોને ટિકિટ આપવી એ મુદ્દે પાર્ટીમાં અવઢવની સ્થિતી છે. સુરેન્દ્રનગરમાં હાલમાં ભાજપના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા છે. ભાજપ એમને રીપિટ કરે તેવી સંભાવના ઓછી છે. હાલના સાંસદ ડો. મહેન્દ્ર મુજપરા સામે સૌથી મોટો વિરોધ ફરિયાદ સ્થાનિક કાર્યકરોનો છે, તેઓ ક્યારેય પ્રજાનું કામ હોય ત્યારે જનતાની વચ્ચે રહ્યા નથી. આ બેઠક માટે પહેલાં આ સીટ પર કુવરજી બાવળિયાનું નામ ચાલ્યું હતું પણ તેઓએ જાહેરમાં ચોખ્ખી ના પાડી દીધી હતી, હવે પાર્ટી જસદણના ડો. ભરત બોઘરા કે શંકરભાઈ વેગડના નામ અંગે ચર્ચા કરી રહી છે.

અમરેલી બેઠક પર વિવાદ વધ્યો છે. અમરીશ ડેરને ભાજપે કેસરિયો પહેરાવતાં આ સીટ પર કોને ઉમેદવાર જાહેર કરવો એ સમસ્યા બની ગઈ છે. અમરેલીમાં ત્રણ ટર્મથી ચુંટાતા નારણ કાછડીયાને પડતા મૂકવામાં આવશે તે હવે સ્પષ્ટ થઈ ગયું પણ તેમના સ્થાને તો પાટીદાર સમુદાયના કયા ઉમેદવારને પસંદ કરવા તેને લઈને પાર્ટીમાં અશમંજસની સ્થિતી જણાણી રહી છે. જેમ કે સાંસદ બનવા માટે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા જુના અને જાણીતા બાવકુ ઉધાડ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના ભાઈ મુકેશ સંઘાણી દાવેદાર છે ત્યારે નવું નામ જિલ્લા પંચાયત હાલના પ્રમુખ ભરત સુતરીયાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.

 

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને ટિકિટ મળી પણ “પઠાણ” વડોદરામાં નથી, તો ક્યાં છે?

વડોદરાના માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન ઓલરાઉન્ડર યુસુફ પઠાણને પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની પાર્ટી TMCએ બહેરામપુરાની ટિકિટ આપવાની જાહેરાત કરી છે. એક તરફ વડોદરામાં યુસુફ પઠાણની રાજકારણની એન્ટ્રીની વધાવવામાં આવી રહી છે તો બીજી તરફ રાજકારણમાં ઝંપલાનાર યુસુફ પઠાણ વડોદરા તો શું ભારત દેશમાં જ નથી.

યુસુફ પઠાણ હાલ શ્રીલંકામાં લિજેન્ડ કપ રમી રહ્યો છે. તેની સાથે તેનો કિક્રેટર ભાઈ ઈરફાન પણ શ્રીલંકામાં છે. બન્ને ભાઈઓ શ્રીલંકામાં લિજેન્ડ કપ રમ્યા બાદ જ ભારત આવવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે બપોરથી મીડિયા દ્વારા યુસફ પઠાણનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો જાણવા મળ્યું કે જ્યારે ટિકિટની જાહેરાત કરવામાં આવી ત્યારે યુસુફ પઠાણ વડોદરામાં પોતાના ઘરે હાજર ન હતો.

ભારતીય ક્રિકેટ ટીમમાં રહીને યુસુફ પઠાણે વન ડે અને ટી-20 સિરિઝમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ા ઉપરાંત સમાજ સેવામાં પણ તેમનું નામ છે. કોરોના કાળ દરમિયાન મફતમાં માસ્કનું વિતરણ કર્યું હતું.

ક્યા મહિલા સાંસદનો ભાજપ કાપશે પત્તું, કોણ છે મહિલા ઉમેદવારોની લિસ્ટમાં હોટફેવરિટ?

ગુજરાત લોકસભાની ચૂંટણી માટે ભાજપે 15 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા બાદ બાકીની 11 સીટ માટે તરેહ-તરેહની ચર્ચા ચાલી રહી છે. વિવિધ નામોની અટકળો પણ જોરમાં છે ત્યારે મહિલા પ્રતિનિધિત્વને લઈ પણ ભારે વિમાસણની સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, ભાજપ દ્વારા બાકીના નામોની પણ ગમે ત્યારે જાહેરાત થવાની શક્યતા જોવા મળી રહી છે.

ભાજપના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ 11 સીટો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, તેમાં ખાસ કરીને મહિલા ઉમેદવારોને લઈ અટકળો ચાલી રહી છે. સૂત્રો કહી રહ્યા છે કે હાલમાં જે મહિલા સાંસદો છે તેમની ટિકિટ માટે ભારે ગરમાટો છે. કેટલાક સૂત્રો દાવો કરી રહ્યા છે કે હાલના તમામ મહિલા સાંસદોની ટિકિટ કાપી નાંખવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે તો કેટલાક કહી રહ્યા છે કે રિપોર્ટ કાર્ડના આધારે એક બે મહિલા સાંસદોને જીવંતદાન મળી શકે છે.

સૂત્રો મજબ વડોદરાના રંજનબેન ભટ્ટ, સુરતના દર્શનાબેન જરદોશ, મહેસાણાના શારદાબેન પટેલ, ભાવનગરના ભારતીબેન શિયાળ, છોટાઉદેપુરના ગીતાબેન રાઠવાના નામો કપાય તેવા સંકેત મળી રહ્યા છે. તેમની જગ્યાએ કોઈ નવા જ નામો આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. જો કે, બાકી રહેતી 11 બેઠકોમાં પ્રથમ વખત ચૂંટણી લડી હોય એવી ચાર બેઠકો છે. મહેસાણા, અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર અને છોટાઉદેપુર તેના ઉમેદવારોએ પ્રથમ વખત જ ચૂંટણી લડી છે. જ્યારે બીજી વખત ચૂંટણી લડી હોય તેવી બેઠકોમાં સાબરકાંઠા, જૂનાગઢ, ભાવનગર, વડોદરા અને સુરતનો સમાવેશ થાય છે. ત્રણ ટર્મ સુધી ચૂંટાયેલા સભ્યોની યાદીમાં વલસાડ અને અમરેલીની બેઠક આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી મહિલાનું નેતૃત્વ ન હોય તેવી બેઠકોની યાદીમાં અમદાવાદ પૂર્વ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને વલસાડની બેઠકનો સમાવેશ થાય છે. આથી આ બેઠક પર મહિલાઓના નામોની જાહેરાત થઈ શકે છે. છેલ્લી બે કે ત્રણ ટર્મમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ખાસ રહ્યું નથી. 18મી લોકસભા બાદ દેશમાં જનપ્રતિનિધિત્વ માટે 33 ટકા મહિલા અનામત અમલ આવી શકે છે. 26 બેઠકમાંથી છ મહિલાઓને ટિકિટ આપવી પડશે ગત વખતે આ ટકાવારી 23 ટકાની આસપાસ રહી હતી.

આ ત્રણ ઉમેદવારોની ટિકિટ કોંગ્રેસે કન્ફર્મ કરી દીધી છે? બનાસકાંઠા, વલસાડ અને અમદાવાદ સીટના આ ઉમેવાદર છે?

ગુજરાતમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે. એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં ફરી રહી છે ત્યારે આધારપાત્ર સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે કોંગ્રેસે ત્રણ ઉમેદવારોને લોકસભા ચૂંટણીની તૈયારી કરવાનું કહી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.

લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં ત્રણ લોકોને ફોન કરીને જાણ કરી હોવાની માહિતી સામે આવી છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને જાણ કરી દેવાઇ છે,તો વલસાડ બેઠક પરથી ધારાસભ્ય અનંત પટેલને પણ જાણ કરી દેવાઈ છે. આ સાથે અમદાવાદ બેઠક પરથી ભરત મકવાણા કોંગ્રેસની પહેલી પસંદ છે. કોંગ્રેસ દ્વારા પહેલી યાદીમાં ગુજરાતની સીટોની જાહેરાત સંભાવના લગભગ નહિંવત જેવી છે. ત્યારે કોંગ્રેસ સૂત્રો આ ત્રણ બેઠકો પર ઉમેદવારોને લઈ ચર્ચા કરી રહ્યા છે.

બનાસકાંઠામાં તો ગેનીબેન ઠાકોરે પ્રચારના શ્રીગણેશ પણ કરી દીધા છે. જો કે ઔપચારિક જાહેરાત હજુ બાકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બનાસકાંઠા અને પાટણ બેઠક પરથી કોંગ્રેસ ઠાકોર ઉમેદવાર ઉતારી શકે છે. 2022ની વિધાનસભામાં કોંગ્રેસે સાબરકાંઠા અને પાટણમાં ઠાકોર ઉમેદવાર ઉતાર્યા હતા. આ વખતે પાટણ બેઠક પર ચંદનજી ઠાકોરની પસંદગીની શક્યતા છે. તો બારડોલી માટે કોંગ્રેસ તુષાર ચૌધરીને પણ મેદાનમાં ઉતારી શકે છે. પરંતુ અહીંય પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીનું નામ ખાસ્સું એવું ચર્ચામાં છે.

બનાસકાંઠા લોકસભા સીટપરથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ નક્કી મનાય છે. આ સીટ પર ભાજપે અગાઉથી જ ડો. રેખાબેન ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે. જો ગેનીબેન પણ આ ચૂંટણી જંગમાં ઝંપલાવે છે તો ભાજપ અને કોગ્રેસની મહિલા નેતાઓ વચ્ચે જંગ જામશે.

વાવના ધારાસભ્ય ઠાકોર સમાજ અને અન્ય પછાત જાતિઓમાં સારી લોકપ્રિયતા ધરાવે છે. કોંગ્રેસ તરફથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સતત બે ટર્મથી વિધાનસભાની ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા ગેનીબેન ઠાકોરે શિવ મંદિરમાં દર્શન બાદ ચૂંટણી લડવા મુદ્દે નિવેદન આપ્યું છે. ગેનીબેને કહ્યું કે જો કોંગ્રેસ હાઈકમાન્ડ ટિકિટ આપશે તો બનાસકાંઠા બેઠક પર લોકસભા લડવા અને જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 195 નામોની પ્રથમ યાદી જાહેર કરી છે. હવે કોંગ્રેસ પણ લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરવા જઈ રહી છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરુવારે (7 માર્ચ 2024) મોડી રાત સુધી ચાલી હતી, જેમાં ઘણા નામોને મંજૂરી આપવામાં આવી છે અને આજે (8 માર્ચ 2024) કોંગ્રેસની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી શકે છે

ચકચાર: સુરતના લિંબાયતમાં એક જ પરિવારના ત્રણ સભ્યનો સામૂહિક આપઘાત

સુરતમાં એક જ પરિવારના ૩ સભ્યોએ એકસાથે આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગઈ છે. મૃતકોમાં એક બાળક છે.

લિંબાયત વિસ્તારમાં રૃસ્તમ પાર્કમાં એક પરિવારના ત્રણ સભ્યોએ એકસાથે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં આજે એક યુવકે પોતાની પત્ની અને બાળકને ઝેરી દવા પીવડાવીને પોતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ લિંબાયત પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરતમાં ફરી એકવાર સામૂહિક આપઘાતનો બનાવ બન્યો છે. લિંબાયતમાં આવેલા રૃસ્તમ પાર્ક વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષિય સુમેશ ભિક્ષાપતિ જિલા એ પોતાની પત્ની નિર્મલ અને સાત વર્ષના દીકરા દેવઋષિને ઝેર આપીને મારી નાખ્યા પછી પોતે પણ ગળેફાંસો ખાઈ લીધાનો દાવો કરાઈ રહ્યો છે. પોલીસને તપાસ દરમિયાન એક ચિઠ્ઠી અને મોબાઈલ મળી આવ્યો છે. પોલીસ તેને સ્યુસાઈડ નોટ ગણાવી રહી છે, જો કે અત્યાર સુધી પરિવારના સભ્યોએ કેમ આપઘાત કર્યો તે જાણી શકાયું નથી.

પોલીસે કહ્યું હતું કે, આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસે મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અગાઉ સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલનપુર જકાતનાકા નજીક આવેલા સિદ્ધેશ્વર કોમ્પલેક્સ પણ આપઘાતની ઘટના બની હતી. આ ઘટનાએ આખા સુરતને હચમચાવી નાખ્યું હતું. અહીં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા હતાં. મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ હતાં.

ગાંધીનગર સેક્ટર 24માં લગ્નના ભોજન બાદ 100 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર

ગાંધીનગર સેક્ટર 24માં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. જેમાં લગ્નના જમણવાર બાદ 100 લોકોને અસર થઈ હતી. 100 લોકો ઝાડા-ઉલ્ટીથી પીડાઈ રહ્યા છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તમામની સારવાર ચાલી રહી છે. પગમાં ઝેરની અસર થતાં ત્યાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.અગાઉ કલોલના સજરીનગરમાં મોટી સંખ્યામાં લોકોને પગમાં ઝેરની અસર થઈ હતી. લગભગ 130 લોકોની તબિયત લથડી હતી. ત્યારબાદ તમામ લોકોને સારવાર માટે કલોલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કલોલના સજરીનગરમાં ફૂડ પોઇઝનિંગની અસરથી અરાજકતાનો માહોલ સર્જાયો હતો. 130 જેટલા લોકો અચાનક બીમાર પડ્યા દૂધની ખીર ખાધા બાદ 130 જેટલા લોકો અચાનક બીમાર પડ્યા હતા. જેમાંથી 46 લોકોને તાત્કાલિક સારવાર માટે કલોલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 21 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. વધુ અસરગ્રસ્ત હોવાના કારણે 25 લોકોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.

સુરતઃ AAP કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં લાગી આગ, 17 વર્ષના પુત્રનું મોત

સુરતમાં બંગલામાં લાગેલી આગમાં એક બાળકનું મોત થયું છે. જેમાં આગની ઘટનામાં 17 વર્ષના બાળકનું મોત થયું છે. મોટા વરાછા આનંદ ધારાના બંગલામાં આગ લાગી હતી. મીટર બોક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. જેમાં 4 ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લીધી છે.

ફાયરની ટીમે આગને કાબુમાં લીધી

17 વર્ષીય પ્રિંસ AAP કાઉન્સિલર જીતુભાઈ કાછડિયાનો પુત્ર હતો. પુત્રના મૃત્યુ અંગે પરિવારને હજુ સુધી જાણ કરવામાં આવી નથી. ઘરમાં ચાર બાળકો પણ હતા. એક બાળક પલંગની નીચે છુપાયેલું હતું. આગની ઘટનાથી વરાછાના મોટા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ વહેલી સવારે લાગી હતી. આગ લાગતાની સાથે જ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. કુલ ચાર ફાયર ટેન્ડરો આવી પહોંચ્યા હતા અને ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી હતી.

જાણો સમગ્ર ઘટના

પ્રિન્સ હાલમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં પહેલા માળે કોઈ નહોતું અને આખો પરિવાર બીજા માળે સૂતો હતો. દરમિયાન રાત્રિના બે વાગ્યાના સુમારે પ્રથમ માળે અચાનક આગ ફાટી નીકળી હતી. ચોથામાં જ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આખા ઘરમાં ધુમાડો પણ ફેલાઈ ગયો હતો. જીતેન્દ્ર કાછીયાના પરિવારના સાત સભ્યો બીજા માળે સુતા હતા. આગના સમાચાર બાદ સમગ્ર પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રિન્સ અને તેનો ભાઈ એક બેડરૂમમાં સુતા હતા. જે ધુમાડામાં ચાલતા તેના કાકાને જાગી ગયો હતો. પછી બધાએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. જો કે, આ એક અલગ કરી શકાય તેવી સ્થિતિ નહોતી.

પરિવારમાં માતમ, ચારેતરફ અફરાતફરી

પરિવારના છ સભ્યોએ બાજુના મકાનની છત પર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. દરમિયાન ધુમાડાના કારણે પ્રિન્સ બહાર ન આવી શક્યો અને ત્યાં જ ફસાઈ ગયો. આગમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. દરમિયાન આગ ફાટી નીકળી હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડની મોટી ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. દરમિયાન પ્રિન્સ બીજા માળેથી ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.

રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા ફરી શરૂ કરી,પંચમહાલ તરફ પ્રયાણ કર્યું

ભારત જોડો ન્યાય યાત્રાના ગુજરાત લેગના બીજા દિવસે શુક્રવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાહોદ શહેરમાંથી ફરી યાત્રા શરૂ કરી અને બાજુના પંચમહાલ જિલ્લાના ગોધરા તરફ પ્રયાણ કર્યું.

રાહુલ ગાંધીની યાત્રા ગુરુવારે રાજસ્થાનથી રાજ્યમાં પ્રવેશી હતી. દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં લોકોને સંબોધન કર્યા બાદ તેમણે આ વિસ્તારના એક ગામમાં રાત્રી રોકાણ કર્યું હતું. શુક્રવારે સવારે ગાંધીએ આદિવાસી પ્રતિષ્ઠિત ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપવા ઝાલોદ નજીક કંબોઇ ધામની મુલાકાત લીધી હતી.

બાદમાં શુક્રવારે સવારે દાહોદ શહેરમાંથી યાત્રા ફરી શરૂ થઈ ત્યારે રસ્તામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. આદિવાસીઓ પણ ટ્રાફિક ઈન્ટરસેક્શન પર એકઠા થયા હતા અને વિરોધ પક્ષના નેતાને આવકારવા માટે તેમનો પરંપરાગત નૃત્ય કર્યો હતો, જેમણે ઓપન-ટોપ એસયુવીમાં બેસીને તેમને હલાવતા જવાબ આપ્યો હતો.

તેણીએ એક મોટી કેક પણ કાપી હતી જે દર વર્ષે 8 માર્ચે ઉજવાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે મહિલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમને ભેટમાં આપવામાં આવી હતી. હાલોલ શહેરની મુલાકાત પહેલા ગાંધી ગોધરામાં લોકોને સંબોધિત કરવાના છે. તેઓ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ગામે રાત્રિ આરામ કરશે.

ગુજરાતની બાકીની 11 બેઠકો પર ભાજપમાંથી કોને મળી શકે છે ટિકિટ? જાણો કયા કયા નેતાઓના નામની છે ચર્ચા

ભાજપે લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હવે પછીની યાદીમાં બાકીની 11 બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપે પ્રથમ યાદીમાં માત્ર પાંચ સાંસદોની ટીકીટ કાપી છે, પરંતુ આગામી યાદીમાં વધુ કાતરનો ઉપયોગ થવાની અટકળોએ ભાજપની અંદરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વડોદરા, મહેસાણા, સુરત અને અમદાવાદની બાકીની બેઠકોમાં સૌથી વધુ રસ છે. હવે જોવાનું એ રહે છે કે કેટલીક લોટરી લાગે છે અને કેટલીક ટિકિટ કપાય છે. ભાજપની આગામી યાદી માટે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવાની બાકી છે.

11 બેઠકો માટે કયા નામો ચર્ચામાં છે?

અમરેલી સીટ માટે બાવકુ ઉધાડ, ભરત કાનબારા, કૌશિક વેકરીયા (નાયબ દંડક ગુજરાત વિધાનસભા), મુકેશ સંઘાણી અને ભરત સુતરીયાના નામો ચર્ચામાં છે. વડોદરા માટે વિદેશ મંત્રી એસ.જયશંકર, પૂર્વ પોલીસ અધિકારી રાકેશ અસ્થાના, રામાયણમાં સીતાની ભૂમિકા કરનારા દીપિકા ચિખલિયા, રાજેન્દ્ર ત્રિવેદી અને ભાર્ગવ ભટ્ટ મુખ્ય દાવેદારો છે.

મહત્વના ઘટનાક્રમમાં તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમા આવેલા પિતા પુત્ર એટલે કે નારણ રાઠવા અથવા સંગ્રામસિંહ રાઠવાનું ચર્ચામાં છે. ભાજપમાં આ નામોને લઈ ભારે અટકળો ચાલી રહી છે.

જૂનાગઢ માટે કિરીટ પટેલ, ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ અને ગીતાબેન માલમના નામો ચર્ચામાં છે.

જ્યારે ભાવનગર બેઠક માટે એક માત્ર હીરા સોલંકીનું નામ ઉભરી રહ્યું છે. જોકે અહીંયા ભાજપ હાઈકમાન્ડ સરપ્રાઈઝ પણ આપી શકે છે.

સુરેન્દ્ર નગર માટે ડો.મહેન્દ્ર મુંજપરા (વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી), કુંવરજી બાવળિયા(ધારાસભ્ય), શંકર વેગડ અને પ્રકાશ વરમોરાના નામ ચર્ચામાં છે.

સુરત બેઠક માટે ડૉ. જગદીશ પટેલ, રણજીત ગિલિટવાલા, નીતિન ભજીવાલા, મુકેશ દલાલ, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું નામ ચર્ચામાં છે. જો વર્તમાન સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોષને રિપીટ નહીં કરવામાં આવે તો આ નામોમાંથી કોઈ એકના નામ પર પસંદગીનો કળશ ઢોળી શકાય છે.

વલસાડ પર નવા ચહેરાની પસંદગીની શક્યતા વધી ગઈ છે.હાલનાં સાંસદ કે.સી. પટેલનું રિપીટ થવું મુશ્કેલ લાગી રહ્યું છે. નવા ચહેરમાં હેમંત પટેલ, અરવિંદ પટેલ, ઉષાબેન, ડો.લોચન શાસ્ત્રી અને અન્ય નામો પણ છે.

અમદાવાદ પૂર્વની સીટ પર રાજ્યનાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, વલ્લભ કાકડિયા અને જગદીશ પટેલના નામો ચર્ચામાં છે.

સાબરકાંઠા સીટ પર દીપસિંહ રાઠોડ, પ્રફુલ્લભાઈ પટેલ, ગજેન્દ્રસિંહ પરમાર, મહેન્દ્રસિંહ બૈર્ય અને કૌશલ કુંભારબા પરમારના નામની અટકળો ચાલી રહી છે.

મહેસાણાની સીટ પર દાવેદારોનો રાફડો ફાટ્યો છે. ચર્ચાતા નામોમાં જુગલ ઠાકોર, પ્રકાશ પટેલ, આનંદ પટેલ, સીટીંગ સાંસદ શારદાબેનના પુત્ર ધનેશ પટેલ અને એ.કે.પટેલના પુત્રનું ચર્ચામાં છે.

વડોદરા બેઠક પર ઉત્કંઠા

ભાજપની પ્રથમ યાદી બાદ ગુજરાતની બાકીની તમામ 11 લોકસભા બેઠકો પર ભાજપે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વડોદરા, સુરત અને મહેસાણાની બેઠકો ભાજપ માટે એકદમ સુરક્ષિત માનવામાં આવે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાથી પોતાની દાવેદારી પાછી ખેંચી લીધા બાદ હવે એવી ચર્ચા ચાલી રહી છે કે વડાપ્રધાનના ગૃહ મતવિસ્તારની બેઠક પરથી કોણ ચૂંટણી લડશે? રાજકોટમાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટિકિટ ન અપાતા પટેલે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 12 માર્ચે ગુજરાતની સૂચિત મુલાકાત પહેલા બાકીના 11 નામોની જાહેરાત થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે અમદાવાદમાં સાબરમતી આશ્રમના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ચર્ચા છે કે આ પ્રસંગે તેઓ ગુજરાતના તમામ 26 ઉમેદવારોને એકસાથે મળી શકે છે.