ગુજરાતમાં ઇંધણ બચત માટે સરકારની નવી માર્ગદર્શિકા, મેટ્રોનો સમય લંબાવાયો

દેશના પીએમ મોદીની ઇંધણ બચાવવાની અપીલ બાદ રાજય સરકાર પણ એક્શનમાં આવી છે. રાજ્ય સરકારે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને ઇંધણ બચાવવા માટે અનેક પગલાંઓની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદ શહેરમાં લોકોની સુવિધા માટે મેટ્રોનો સમય રાત્રે 11.00 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી હતી.

રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા 

– સરકારી કામકાજ માટે પ્રવાસનું આયોજન માત્ર જરૂરિયાત મુજબ જ કરવાનું રહેશે.
– અધિકારીઓએ પ્રત્યક્ષ પ્રવાસ ટાળીને વીડિયો કોન્ફરન્સિંગ, ટેલિફોન અને ઈ-મેઈલ જેવા આધુનિક માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે.
– અત્યંત જરૂરી હોય તે સિવાય ક્ષેત્રીય અધિકારીઓને મીટિંગ માટે બોલાવવાના બદલે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા બેઠક યોજવાની રહેશે.
– અન્ય રાજ્યો કે કેન્દ્ર સરકારની બેઠકોમાં પણ શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી જોડાવા તાકીદ કરવામાં આવી છે.
– અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસ કે વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો અને પરિષદોમાં ભાગ લેવાનું ટાળવાનું રહેશે.
– જો રાજ્ય બહારનો પ્રવાસ અનિવાર્ય હોય, તો ઉચ્ચ અધિકારીઓએ જરૂરી ન હોય તેવા સ્ટાફને સાથે ન રાખવા સૂચના અપાઈ છે.
– શક્ય હોય ત્યાં સુધી સરકારી કામકાજ અર્થે જિલ્લા બહાર મુસાફરી ટાળવી અને આમ છતાં સરકારી કામકાજ અર્થે જિલ્લા બહાર મુસાફરી જરૂરી બને તો મુસાફરી કરતા પૂર્વે તેમના નિયંત્રણ અધિકારીને જાણ કરવી.
– સરકારી અધિકારી/કર્મચારીઓના પ્રવાસો ઉપર યોગ્ય નિયંત્રણો રાખવા ઉપરાંત, દરેક વહીવટી વિભાગ અને તેની હેઠળનાં તંત્રોમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાનાં વાહનો બિનવપરાશમાં મૂકવાના રહેશે.
– જો કોઈ અધિકારી એકથી વધુ હવાલો સંભાળતા હોય, તો તેમણે એક મુખ્ય વાહન સિવાયના તમામ વધારાના વાહનો ‘સરકારી વાહન પુલ’માં જમા કરાવવાના રહેશે.
– જે અધિકારીઓ પાસે સરકારી વાહનના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ઉપલબ્ધ હોય, તેમણે EV અથવા હાઈબ્રિડ વાહનનો જ ઉપયોગ કરવાનો રહેશે.
– અધિકારીઓ અને કર્મચારીઓને પર્યાવરણની જાળવણી માટે ખાનગી વાહનોને બદલે મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓ વાપરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
– તમામ સરકારી સંસ્થાઓમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો અને MSMEsને અગ્રતા આપવા માટે પ્રોક્યોરમેન્ટ પૉલિસિ મજબૂત કરાશે.
– સરકારના વિવિધ કાર્યક્રમો સાદગીપૂર્વક યોજવા અને લોકાર્પણના કાર્યક્રમોમાં ‘વર્ચુઅલ પદ્ધતિ’નો આગ્રહ રાખવા સૂચના અપાઈ છે.
– આગામી ૬ મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પાઈપ્ડ ગેસ કનેક્ટિવિટી (PNG) ફરજિયાત બનાવવામાં આવશે.
– બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને કરવામાં આવતી ખરીદી રોકવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

સંશાધનોની બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા અપીલ

રાજ્યના પ્રવક્તા મંત્રીએ નાગરિકોને કોઈપણ પ્રકારના ગભરાટમાં ન આવવા અને સંશાધનોની બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા ભાવભરી વિનંતી કરી હતી. સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને રાખીને લેવાયેલા આ નિર્ણયો દ્વારા રાજ્ય સરકાર પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્સચેન્જના વપરાશમાં મોટો ઘટાડો કરી પર્યાવરણ અને સરકારી તિજોરી બંનેની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

આતંકી પ્રવૃત્તિમાં દુરુપયોગની આશંકા: સુરત એસઓજી એક્શન મોડમાં, જૂના મોબાઇલ અને ગાડીઓનું લે-વેચ કરતા લોકોનો ડેટાબેઝ તૈયાર થશે

સુરતમાં વધતા ગુનાઓ અને આતંકી પ્રવૃત્તિઓમાં જૂના મોબાઇલ ફોન તેમજ સેકન્ડ હેન્ડ વાહનોના દુરુપયોગની શક્યતાઓને ધ્યાનમાં રાખીને સુરત એસઓજી હરકતમાં આવી છે. રાજ્યના એટીએસના નિર્દેશ બાદ શહેર સહિત જિલ્લાના વિસ્તારોમાં જૂના વાહનો, સ્ક્રેપ અને સેકન્ડ હેન્ડ મોબાઇલના વેપાર સાથે જોડાયેલા લોકોનો વિગતવાર ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એસઓજીનાં ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારા સહિતની ટીમ ડેટા તૈયાર કરવાની કામગીરી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ તંત્ર દ્વારા આવા વેપારીઓને વાહન અને મોબાઇલના દરેક ખરીદ-વેચાણનો રેકોર્ડ રાખવા સૂચના આપવામાં આવી રહી છે. જેમાં વેચનાર અને ખરીદનાર બંનેના ફોટો આઈડી, સરનામા અને અન્ય વિગતો સાથે રજીસ્ટર જાળવવું ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાહન વેચાણ બાદ તાત્કાલિક આરટીઓમાં માલિકીના નામમાં ફેરફાર થાય તેની તકેદારી રાખવા પણ વેપારીઓને સૂચના અપાઈ રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દેશભરમાં બનેલી કેટલીક ગંભીર ઘટનાઓમાં જૂના વાહનો અને પ્રિ-એક્ટિવ સીમકાર્ડવાળા મોબાઇલ ફોનનો ઉપયોગ થયાનો ખુલાસો થયો હતો. દિલ્હી ખાતે થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની તપાસ દરમિયાન પણ જૂની કારના રજિસ્ટ્રેશન રેકોર્ડ અપડેટ ન હોવાને કારણે તપાસમાં વિલંબ થયો હતો. આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને વધુ સતર્ક બનાવી છે.

એટીએસે આ મુદ્દાને ગંભીરતાથી લઈને રાજ્યભરના શહેરો અને જિલ્લાની એસઓજીને સેકન્ડ હેન્ડ વાહન અને મોબાઇલ વ્યવસાયકારોની માહિતી એકત્ર કરવાની સૂચના આપી છે. સુરત એસઓજી દ્વારા પોલીસ સ્ટેશનવાઈઝ સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને સંબંધિત દુકાનદારો તથા ડીલર્સનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.

પોલીસનું માનવું છે કે ધાડ, લૂંટ, અપહરણ, ખંડણી સહિતના ગુનાઓમાં વપરાતા જૂના વાહનો અને મોબાઇલનો ટ્રેક ઝડપથી મળી રહે તો ગુનાઓ ઉકેલવામાં સરળતા રહેશે અને આતંકી ગતિવિધિઓને પણ રોકી શકાશે.

સુરત: સતત બીજા વર્ષે 100% પરિણામ સાથે સિમ્ગા હાઈસ્કૂલે રચ્યો ગૌરવનો નવો ઈતિહાસ

સુરતની આશરે પચાસ વર્ષ જૂની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા S.Y.M.G.A. (સિમ્ગા) સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) એ શિક્ષણ ક્ષેત્રે ફરી એકવાર ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. સંસ્થાએ સતત બીજા વર્ષે SSC અને HSC બોર્ડ પરીક્ષામાં 100 ટકા પરિણામ પ્રાપ્ત કરી અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિ માત્ર સંસ્થાની જ નહીં, પરંતુ સમગ્ર મુસ્લિમ સમાજ માટે ગૌરવની બાબત બની છે. સાથે જ તે સમાજમાં શિક્ષણ પ્રત્યે વધી રહેલી જાગૃતિ અને પ્રગતિનું જીવંત પ્રતિબિંબ પણ છે.

સિમ્ગા સંસ્થાની અંગ્રેજી, ગુજરાતી અને ઉર્દૂ એમ ત્રણેય માધ્યમની ફૂલ ગ્રાન્ટેડ શાળાઓમાં હાલમાં આશરે 8,200 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. સંસ્થામાં કાર્યરત લગભગ 375 જેટલા ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફ સભ્યો સંપૂર્ણ નિષ્ઠા, શિસ્ત અને સમર્પણભાવથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

આજના સમયમાં ઘણી સંસ્થાઓ પ્રચાર, પ્રતિષ્ઠા અને આંતરિક રાજકારણમાં વ્યસ્ત જોવા મળે છે, ત્યારે સિમ્ગા સંસ્થા કોઈપણ પ્રકારના શોરબકોર વિના અનુશાસન, આયોજન અને ગુણવત્તાસભર શિક્ષણ દ્વારા સમાજસેવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે, જે ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે.

સંસ્થાના પ્રમુખ એડવોકેટ જનાબ બખ્તિયાર નાતાલવાલા, સેક્રેટરી જનાબ મઝહર નાતાલવાલા તથા ઇનચાર્જ આચાર્ય ઇમરાનભાઈના કુશળ માર્ગદર્શન હેઠળ સમગ્ર બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, શિક્ષકગણ અને સ્ટાફે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અવિરત મહેનત કરી છે. આ ભવ્ય સફળતા પાછળ શિક્ષકોની તનતોડ મહેનત, વાલીઓનો વિશ્વાસ અને વિદ્યાર્થીઓની લગનનો મહત્વનો ફાળો રહ્યો છે.

ખાસ કરીને ઇનચાર્જ આચાર્ય ઇમરાનભાઈની વહીવટી કુશળતા અને દૃઢ નેતૃત્વને સૌ કોઈ બિરદાવે છે. અનેક પડકારો વચ્ચે પણ તેમણે સંસ્થાને સફળતાની નવી ઊંચાઈએ પહોંચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ ત્રણેય માધ્યમોમાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત થયા છે, જેમાં ગુજરાતી અને ઉર્દૂ માધ્યમનું પરિણામ પણ અભિનંદનને પાત્ર રહ્યું છે.

સિમ્ગા સંસ્થા સતત શિક્ષણ ક્ષેત્રે નવી સિદ્ધિઓ સર કરી રહી છે અને સમાજ તેમજ કોમનું નામ ગૌરવપૂર્વક રોશન કરી રહી છે. આ અવસરે સંસ્થાના તમામ હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ, શિક્ષકગણ અને સમગ્ર સ્ટાફને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

PM મોદીની અપીલનો સુરતમાં પડઘો : મહાનગરપાલિકા કરશે કાર શેરિંગ, 600 ઈલેક્ટ્રિક બસો દોડાવવાની તૈયારી

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા પેટ્રોલ-ડીઝલની બચત અને પર્યાવરણ સંરક્ષણ અંગે કરવામાં આવેલી અપીલને ધ્યાનમાં રાખીને સુરત મનપાએ હવે વિવિધ વિભાગોમાં કાર શેરિંગની અમલવારી શરૂ કરવાની તૈયારી હાથ ધરી છે.

મનપા કમિશનર એમ.નાગરાજનના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ હવે અલગ-અલગ વાહનોમાં મુસાફરી કરવાની જગ્યાએ એક જ કારમાં ચાર અધિકારીઓ સાથે મુસાફરી કરશે. આ પગલાંથી ઇંધણનો ખર્ચ ઘટાડવામાં મદદ મળશે તેમજ ટ્રાફિક અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.

આ ઉપરાંત શહેરના જાહેર પરિવહનને સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત બનાવવા માટે આગામી સમયમાં આશરે 600 નવી ઈલેક્ટ્રિક બસો શરૂ કરવાની યોજના બનાવાઈ રહી છે. શહેરના તમામ BRTS રૂટ પર ઈલેક્ટ્રિક વાહનો આધારિત પરિવહન વ્યવસ્થાને વધુ વેગ આપવા માટે પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે.

મનપા દ્વારા ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતી ગાડીઓમાં પણ હવે ઈલેક્ટ્રિક વાહનોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ નિર્ણયોથી મનપાના ઇંધણ પાછળ થતા કરોડો રૂપિયાના ખર્ચમાં ઘટાડો થશે અને પર્યાવરણની જાળવણીમાં પણ મોટી મદદ મળશે.

મનપા કમિશનર એમ. નાગરાજને જણાવ્યું કે,“પ્રધાનમંત્રીની ઇંધણ બચત અને ગ્રીન એનર્જી અંગેની અપીલને અનુસરી સુરત મનપા દ્વારા વિવિધ સ્તરે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહનો અને કાર શેરિંગ દ્વારા ખર્ચમાં ઘટાડા સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ શક્ય બનશે.”

સુરત મનપાની આ પહેલને શહેરને “ગ્રીન સુરત” અને “સ્વચ્છ સુરત” બનાવવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.

અમુલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રુપિયાનો વધારો, નવી કિંમત 14 મેથી અમલી

દેશની અગ્રણી ડેરી બ્રાન્ડ અમૂલ (Amul )દ્વારા દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. કંપનીએ વિવિધ દૂધના પેકેટના દરોમાં પ્રતિ લીટર રૂ. 2નો વધારો કર્યો છે. નવી કિંમતો 14 મેથી અમલમાં આવશે.

કંપનીના જણાવ્યા મુજબ ઉત્પાદન ખર્ચ, પશુઆહાર, પરિવહન અને અન્ય ઓપરેશનલ ખર્ચમાં સતત વધારો થવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવવધારાનો સીધો અસર સામાન્ય ગ્રાહકોના ઘરખર્ચ પર પડશે.

નવી કિંમતો મુજબ અમુલ ગોલ્ડ, અમુલ તાઝા, અમુલ શક્તિ સહિતના દૂધના વિવિધ પેકેટો મોંઘા બનશે. પ્રતિ લીટર રૂ. 2ના વધારાને કારણે 500 મિલી અને 1 લીટર પેકેટના ભાવમાં પણ અનુક્રમે વધારો જોવા મળશે.

ડેરી ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારો નોંધાઈ રહ્યો હતો, જેના કારણે ભાવવધારો અનિવાર્ય બન્યો હતો. જોકે ગ્રાહકોમાં આ નિર્ણયને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

અમુલ દ્વારા જાહેર કરાયેલા નવા દરો 14 મેથી સમગ્ર દેશમાં લાગુ થશે.

આરોપીઓનાં જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી

ગુજરાતમાં આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢવાની ઘટનાઓને લઈને રાજ્યના પોલીસ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા તમામ પોલીસ અધિકારીઓને મહત્વપૂર્ણ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આરોપીઓને જાહેરમાં ફરવાં, તેમની જાહેર પરેડ કરવી અથવા મીડિયા સમક્ષ અપમાનજનક રીતે રજૂ કરવું કાયદાકીય રીતે યોગ્ય નથી અને તે માનવ અધિકારોના ભંગ સમાન ગણાઈ શકે છે. આ ઉપરાંત પોલીસની સારી કામગીરી ઢંકાઈ જાય છે અને પોલીસની છબિ ખરડાતી હોવાનાં કારણે ડીજીપી રાવે પરિપત્ર ઈશ્યુ કર્યો છે.

ગુજરાતમાં આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવાના પોલીસના વલણ સામે ઈન્ચાર્જ DGP કે.એલ.એન. રાવે ચેતવણી ઉચ્ચારી છે. DGPએ સ્પષ્ટ શબ્દોમાં આદેશ કર્યો છે કે, ‘આરોપીના વરઘોડા કાઢવાનું બંધ કરો….’

ગુજરાત પોલીસ દ્વારા આરોપીઓએ ગુનાહિત સ્થળે અથવા જાહેર સ્થળે લઈ જઈને વરઘોડા કાઢવાની પદ્ધતિ સામે DGPએ કડક વલણ અપનાવ્યું છે. આ મામલે DGPએ લેખિતમાં આદેશ જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી નહીં શકાય અને તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવું નહીં. આમ, આરોપીને જાહેરમાં લાત કે લાકડી મારવી નહીં. તેમજ તેમની પાસે જાહેરમાં માફી મંગાવી નહીં.’

પોલીસ વડા ડો.રાવે ગુજરાત હાઈકોર્ટના તાજેતરના આદેશનો ઉલ્લેખ કરીને તમામ જિલ્લા પોલીસ વડાઓ, કમિશનરો તથા તપાસ અધિકારીઓને ચેતવણી આપી છે કે આવી કાર્યવાહીથી કોર્ટની ગંભીર નોંધ લેવાઈ શકે છે. પરિપત્રમાં જણાવાયું છે કે આરોપી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેને કાયદા હેઠળ નિર્દોષ માનવામાં આવે છે અને તેની માનમર્યાદાનું રક્ષણ કરવું પોલીસની ફરજ છે.

હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢવાની પ્રથાને લઈને કડક ટિપ્પણી કરી હતી. કોર્ટએ કહ્યું હતું કે કાયદો હાથમાં લઈને જાહેર શરમજનક પરિસ્થિતિ ઊભી કરવી બંધારણીય હક્કોના વિરુદ્ધ છે. આ ટિપ્પણી બાદ રાજ્ય પોલીસ તંત્ર સક્રિય બન્યું છે.

પરિપત્રમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે આરોપીને કસ્ટડીમાં લેતી વખતે અથવા કોર્ટમાં રજુ કરતી વખતે સુરક્ષા અને કાયદાકીય પ્રક્રિયાનો સંપૂર્ણ પાલન કરવો. સાથે જ મીડિયામાં આરોપીની અતિશય રજૂઆત કે જાહેર પ્રદર્શન ટાળવા પણ જણાવાયું છે.

પોલીસ વિભાગના સૂત્રો મુજબ, જો કોઈ અધિકારી આ સૂચનાઓનું ઉલ્લંઘન કરશે તો તેની સામે વિભાગીય કાર્યવાહી પણ થઈ શકે છે. રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી આરોપીઓના જાહેર સરઘસના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચા ઉભી થઈ હતી, જેના પગલે આ પરિપત્રને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

કાનૂની નિષ્ણાતોના મતે, આ પગલું પોલીસિંગમાં માનવ અધિકારો અને કાયદાકીય મર્યાદાના પાલન તરફનો મહત્વપૂર્ણ સંદેશ માનવામાં આવે છે.

ઈંધણની બચત માટે DGP ડો. કે. એલ. એન. રાવ દ્વારા મહત્વના આદેશ: બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા સૂચના

ગુજરાત રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા રાજ્યના તમામ ફિલ્ડ યુનિટ, શહેર અને જિલ્લાના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પોલીસ વિભાગની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાની સાથે સાથે ઈંધણ અને અન્ય સરકારી સંસાધનોનો કરકસરયુક્ત ઉપયોગ કરવા મહત્વની સૂચના આપવામાં આવી છે.
આ સંદર્ભે ડો. રાવે જણાવ્યું હતું કે એસ્કોર્ટ અને પાયલોટીંગની સુવિધા માત્ર નિયત કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા મહાનુભાવોને જ ફાળવવામાં આવશે. સામાન્ય સંજોગોમાં પાયલોટીંગ કે ગાઈડ-કારની ફાળવણી ટાળવા અને અનિવાર્ય સંજોગોમાં શહેરી વિસ્તારમાં મોટરબાઈક તથા હાઈવે પર ફોર-વ્હીલરનો ઉપયોગ કરવા જણાવાયું છે.
કોર્ટની કામગીરી બાબતે પણ મહત્વનો ફેરફાર સૂચવતા તેમણે જણાવ્યું હતું કે, સરકારી વકીલ સાથેના બ્રિફિંગ માટે અધિકારીઓએ રૂબરૂ જવાને બદલે ટેલિફોનિક અથવા અન્ય કોમ્યુનિકેશન માધ્યમનો ઉપયોગ કરવો. તેમજ ‘ન્યાયશ્રુતિ’ પ્રોજેક્ટ હેઠળ ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ મારફતે સાક્ષી કે જુબાની આપવાની પ્રક્રિયાને પ્રાધાન્ય આપવું, જેથી મુસાફરીનો સમય અને ખર્ચ બચી શકે.
વહીવટી સ્તરે પણ પરિવર્તન લાવતા માટે હવે વિભાગની તમામ પ્રકારની મીટિંગો અને ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન ફરજિયાતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ કરવાનું રહેશે. તપાસ અને સુપરવિઝન હેઠળની ચર્ચાઓ માટે પણ તપાસ અધિકારી અને સુપરવિઝન અધિકારી વચ્ચેની બેઠકો ટેલિફોનિક માધ્યમથી જ પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.
બંદોબસ્ત માટે ફોર્સની ફાળવણીમાં પણ વ્યવહારુ અભિગમ અપનાવતા નજીકના પોલીસ સ્ટેશનોમાંથી જ સ્ટાફની ફાળવણી કરવા અને સ્ટાફ માટે ચોક્કસ પીક-અપ પોઈન્ટ નક્કી કરી એક જ વાહનમાં મુસાફરી કરવા અથવા જરૂર જણાયે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા બેઠકમાં જણાવવામાં આવ્યું છે.

મધ્ય પૂર્વના સંકટ વચ્ચે ઇંધણ બચત પર ભાર, PM મોદીની અપીલ બાદ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ કર્યો મોટો નિર્ણય

મધ્ય પૂર્વમાં વધતા જતા સંકટને પગલે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં ઘટાડો કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પર ભાર મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી મોદીએ પોતે પહેલ કરીને પોતાના કાફલામાં વાહનોની સંખ્યા અડધી કરી દીધી છે. સાથે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહેપણ પોતાના કાફલામાં વાહનોની સંખ્યા અડધાથી વધુ ઘટાડવાનો નિર્ણય લીધો છે।

માહિતી મુજબ, પ્રધાનમંત્રીએ નવા વાહનો ખરીદવાનું ટાળવા અને કાફલામાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા માટે સૂચના આપી છે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોએ પણ ઇંધણ બચત અભિયાન શરૂ કર્યું છે અને અનાવશ્યક મુસાફરી તથા ખર્ચ ઘટાડવા માટે આંતરિક માર્ગદર્શિકા અમલમાં મૂકી છે।

આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તેમણે પોતાના ઉપયોગ માટે નવું એસ્કોર્ટ વાહન ખરીદવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો નથી. સરકારી ખર્ચમાં મિતવ્યયિતા અને ઇંધણ બચતના સંદેશ સાથે તેમના આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે।

બીજી તરફ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીની અપીલને માન આપીને પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ્દ કર્યો છે. રાજ્યમાં ચાલી રહેલા વહીવટી અને વિકાસકાર્યોને ધ્યાનમાં રાખીને તેમણે ગુજરાતમાં જ રહી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે।

 

દેશમાં પાંચ સાયકલોનિક સર્કયુલેશન સક્રિયઃ હવામાન વિભાગે આપ્યા જુદા જુદા એલર્ટ

હવામાન વિભાગે દેશના અનેક ભાગો માટે એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ વર્તમાનમાં ભારત પર એક સાથે ૫ ‘સાયક્લોનિક સર્ક્યુલેશન’ સક્રિય છે, જેના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં પ્રી-મોન્સૂન વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે. જ્યાં એક તરફ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન ખુશનુમા બનેલું છે, ત્યાં બીજી તરફ રાજસ્થાનમાં ૯ મેથી ભીષણ લૂ (હીટવેવ)ની વાપસીની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ભારતના કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ છે.

હવામાન વિભાગ (આઈએમડી) મુજબ ભારતમાં આ સમયે એક-બે નહીં પરંતુ ૫ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ પાંચેય ઘેરા અલગ-અલગ દિશાઓમાંથી ભેજ ખેંચી રહૃાા છે, જેનાથી હવામાનનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

હવામાન વિભાગે અણસાર આપ્યા છે કે બિહારથી લઈને દિલ્હી-એનસીઆર સુધી આગામી થોડા દિવસો સુધી હવામાન બદલાયેલું રહેશે. બિહારમાં ૬ મેથી શરૂ થયેલો વરસાદ અને ગાજવીજનો સિલસિલો ૧૦ મે સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં ૭ મેના રોજ અનેક વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજની શક્યતા છે. ઉત્તરાખંડમાં ૬ થી ૮ મે સુધી વરસાદ અને તેજ પવનનો દોર રહેશે. અસમ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરમાં ૭ થી ૮ મે સુધી મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ૯ મે સુધી ધોધમાર વરસાદનું અનુમાન છે. ૯ મેના રોજ ગાંગેય પશ્ચિમ બંગાળમાં ૫૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ‘થંડરસ્ક્વોલ’ (ગાજવીજ સાથે વાવાઝોડું) આવવાનો ખતરો છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ૯ મેથી પશ્ચિમ રાજસ્થાનમાં ફરી એકવાર હીટવેવની સ્થિતિ સર્જાશે. તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાઈ શકે છે. જોકે, બુધવારે (૭ મે) કોટા, જયપુર અને ભરતપુર ડિવિઝનમાં હળવા ઝાપટાં પડી શકે છે, પરંતુ આ રાહત માત્ર ૮ મે સુધી જ ટકશે.

જે આગામી બે દિવસમાં દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના પહાડી વિસ્તારોમાં ક્યાંક-ક્યાંક ગાજવીજ અને હળવો વરસાદ કરાવી શકે છે. જો કે પંજાબ અને હરિયાણાના મોટાભાગના મેદાની ભાગોમાં હવામાન એકદમ સાફ રહેશે.

હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે અરબ સાગરમાં એક નવી સિસ્ટમ વિકસિત થઈ શકે છે. સ્કાઈમેટ વેધર અનુસાર, શક્યતા છે કે ૧૦ મેની આસપાસ દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં એક ચક્રવાત બની શકે છે. જો કે, તેની પુષ્ટિ માટે હજુ ૪૮ થી ૭૨ કલાકનો સમય લાગશે. સામાન્ય રીતે આ પ્રકારના તોફાન આફ્રિકાના હોર્ન (સોમાલિયા તટ) તરફ આગળ વધે છે, જે આ વખતે પણ સંભવિત દિશા હોઈ શકે છે.

આગામી સાત દિવસ સુધી કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો બીજી તરફ કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ૩૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ગાજવીજની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને ૭ અને ૮ મેના દક્ષિણ આંતરિક કર્ણાટકમાં મુશળધાર વરસાદનું એલર્ટ છે.

હવામાન વિભાગ અનુસાર, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આગામી સાત દિવસ સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. બિહારમાં ૧૦ મે સુધી વરસાદ ચાલુ રહેવાનું અનુમાન છે. સિક્કિમ અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું એલર્ટ છે. સાથે જ, ગાંગેય પશ્ચિમ બંગાળમાં ૯ મેના રોજ ૫૦-૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. ૧૦ મે સુધી ધોધમાર વરસાદ થશે.

સાદગી અને જન સંવેદના: પ્રોટોકોલને બાજુ પર રાખી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે એસ.ટી. બસમાં મુસાફરી કરી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાની સાદગી અને જન સંવેદના માટે જાણીતા છે. આ જ સિલસિલામાં ફરી એકવાર તેઓ લોકભવનની સુખ સુવિધાઓ છોડીને સીધા જનતાની વચ્ચે પહોંચ્યા હતા. રાજ્યપાલે સુરતના અડાજણ બસ સ્ટેન્ડથી ઓલપાડ તાલુકાના જીણોદ ગામ સુધીની યાત્રા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ની સાધારણ બસમાં બેસીને કરી હતી.

આ યાત્રાની સૌથી વિશેષ વાત એ રહી કે રાજ્યપાલે પ્રોટોકોલ અને વિશિષ્ટ સુવિધાઓને બાજુ પર રાખીને, એક સામાન્ય નાગરિકની મુસાફરી કરી જાતે પોતાની ટિકિટ લઈ ડિજિટલ પેમેન્ટ દ્વારા ચુકવણી કરીને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપ્યું હતું. મે મહિનાની કાળઝાળ ગરમીમાં, જ્યાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે રાજ્યપાલ દ્વારા આ સાદગીપૂર્ણ પ્રવાસ શાસન પ્રત્યે જનતાના વિશ્વાસને વધુ મજબૂત કરે છે.

સફર દરમિયાન રાજ્યપાલે બસમાં સવાર અન્ય મુસાફરો સાથે અત્યંત આત્મીય અને આદરપૂર્ણ સંવાદ કર્યો હતો. તેમણે મુસાફરોને તેમના ખબર અંતર પૂછ્યા, તેમની સમસ્યાઓને સમજી અને સરકારી પરિવહન સેવાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. મુસાફરો માટે પણ આ એક સુખદ અને આશ્ચર્યજનક ક્ષણ હતી કે તેમની વચ્ચે રાજ્યના પ્રથમ નાગરિક એક સામાન્ય મુસાફરની જેમ બેઠા છે.

આ અગાઉ પણ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત ઘણી વખત એસ.ટી. બસમાં મુસાફરી કરી ચૂક્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યપાલની આ યાત્રા તેમના જીવન મૂલ્યો, પ્રભાવી જનસંપર્ક અને જાહેર સેવાઓ પ્રત્યે તેમની નિષ્ઠાને પ્રતિબિંબિત કરે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દર અઠવાડિયે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત કોઈ એક તાલુકામાં જઈને ગામની એક એકર જમીન પર ગ્રામજનો સાથે વડાપ્રધાન મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરે છે. ત્યારબાદ ગામમાં ગ્રામજનો સાથે પોતે હાથમાં ઝાડું લઈને સફાઈ કરે છે. પછી ગામના કોઈ અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારના ઘરે રાત્રિ ભોજન ગ્રહણ કરે છે. રાત્રિ સભામાં ગ્રામજનો સાથે શિક્ષણ, સંસ્કાર, વ્યસનમુક્તિ, આરોગ્ય, પશુપાલન, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા, પ્રાકૃતિક ખેતી વગેરે વિષયો પર ગોષ્ઠિ થાય છે.

આ પ્રવાસ દરમિયાન રાજ્યપાલ કોઈ સુવિધાયુક્ત ભવનને બદલે ગામની સરકારી શાળાના સામાન્ય કક્ષમાં રાત્રિ વિશ્રામ કરે છે. વહેલી સવારે શાળાના બાળકો સાથે યોગ-પ્રાણાયામ કરે છે. ત્યારબાદ પ્રાકૃતિક ખેતી કરતા કોઈ ખેડૂતના ખેતરની મુલાકાત લે છે અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન આપે છે. ખેડૂતના ખેતરમાં ગાયનું દૂધ દોહન પણ કરે છે. આ કાર્યક્રમના અંતિમ તબક્કામાં સમગ્ર તાલુકામાંથી આવેલા ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીના વિષય પર સંવાદ કરે છે.

(ઈનપૂટ: સુરત માહિતી ખાતું)