પાંચ રાજ્યોમાંથી ચૂંટણી પંચે 1281 કરોડનો સામાન કર્યો જપ્ત, ગેરકાયદે હેરાફેરી વધી

ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીઓ થઈ રહી છે, તે પાંચ રાજ્યોમાંથી અત્યાર સુધીમાં 1281 કરોડનો શંકાસ્પદ માલસામાન જપ્ત કર્યો છે. તે ઉપરાંત મમતાની ભવાનીપુર સહિત બંગાળની 55 બેઠકોને ખર્ચના સંદર્ભે સંવેદનશીલ ગણવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની ભવાનીપુર સહિત 55 બેઠકોને ચૂંટણીપંચે ખર્ચના સંદર્ભમાં સંવેદનશીલ જાહેર કરી છે. તેનું કારણ એ છે કે ચૂંટણીપંચને લાગે છે કે આ બેઠકો પર ખર્ચ ઉમેદવારોની ખર્ચમર્યાદાથી વધુ હોઈ શકે છે.

આ ખર્ચ પર દેખરેખ રાખવા ચૂંટણીપંચે 100 નિરીક્ષકોની પણ નિમણૂક કરી છે. આ સિવાય પાંચ રાજ્યોમાં સૌથી વધુ નિરીક્ષકો બંગાળમાં જ નિમાયા છે. કોઈ એક જ રાજ્યમાં આટલા મોટાપાયા પર ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હોય તેવું પ્રથમ વખત બન્યું છે.

સૂત્રોનું કહેવું છે કે, ગેરકાયદે રોકડ, દારૂ, મફતમાં વહેંચવામાં આવતી વસ્તુઓ અને માદક પદાર્થોની હેરાફેરી પશ્ચિમ બંગાળમાં વધી છે. તમિલનાડુ પછી બંગાળ પર મામલામાં બીજા નંબર આવે છે.

ચૂંટણીવાળા પાંચેય રાજ્યોમાં અત્યાર સુધી બધું મળીને 1,281 કરોડ રૂપિયાના માલસામાનની ખેપ પકડવામાં આવી ચૂકી છે. અત્યાર સુધી જપ્ત કરાયેલા 1,281 કરોડની ખેપમાં 105 કરોડના કિંમતી ઝવેરાત છે, જ્યારે 178 કરોડ રૂપિયાનો એવો સામાન જપ્ત કરવામાં આવ્યો છે જે ચૂંટણીમાં મફતમાં વહેચવામાં આવનાર હતો. એકલા બંગાળમાં જ 17 એપ્રિલ સુધીમાં આવો 430 કરોડ રૂપિયાનો સામાન જપ્ત કરવાાં આવ્યો છે. આ જ કારણે ચૂંટણીપંચે 55 બેઠકોને ખર્ચના હિસાબે સંવેદનશીલ જાહેર કરી છે.

પંચને લાગે છે કે જો તેના પર નજર ન રાખવામાં આવે તો મતદારોને લોભાવવા માટે ગેરકાયદેસરની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી શકે છે. હવે પંચે જે બેઠકોને સંવેદનશીલ જાહેર કરી છે તેમાં સીમાંત ક્ષેત્ર 24 ઉત્તર પરગણા, માલદા, મુર્શિદાબાદ અને ઉત્તર દિનાજપુરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રોકડ સહિત ગેરકાયદે સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

આ સિવાય આઠ બેઠકો એવી છે જે બંગાળની સરહદ સાથે લાગે છે. તેમાં વિધાનનગર, રાજરહાટ-ન્યુટાઉન, બારાસાત, મધ્યમગ્રામ, ભારપારા, ગંધાતા, ઉત્તર બશીરહાટ સામેલ છે. આ જ રીતે કોલકાતાની સાત બેઠકોને સંવેદનશીલ કેટેગરીમાં મૂકી દેવાઈ છે. તેમાં ત્રણ બેઠકો ઉત્તર કોલકાતાની છે અને ચાર દક્ષિણ કોલકાતાની છે. તેમાં ભવાનીપુરનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. આ સીટ બંગાળની હાઈપ્રોફાઈલ બેઠક છે. સીએમ મમતા બેનર્જીનો મુકાબલો વિપક્ષી નેતા શુભેન્દ્ર અધિકારી સામે થવાનો છે.