તમિલનાડુમાં TVK-AIADMK કે DMK-AIADMKની સરકાર? વધુ ઘેરું બન્યું સસ્પેન્સ

તમિલનાડુમાં ડીએમકે અને એડીએમકેને હરાવીને 108 બેઠકો મેળવનાર ટીવીકે પક્ષને કોંગ્રેસની 5 બેઠકોનો ટેકો મળ્યો. પણ બીજા નાના પક્ષો તૈયાર નહીં થતા હવે પડદા પાછળથી ભાજપ ટીવીકે અને અન્ના ડીએમકેની સરકાર રચાવા ગડમથલ કરી રહ્યુ છે, તો બીજી તરફ ઘોરવિરોધી પક્ષો ડીએમકે અને એડીએમકે સાથે મળી જાય,તેવી પણ અટકળો ચાલી રહી છે. આ બધું જોતાં સરકારની રચના કરવા અંગે ઘેરૂ સસ્પેન્સ સર્જાયું છે.

તમિલનાડુમાં ચૂંટણી પરિણામો બાદ સરકાર રચવાને લઈને ભારે ખેંચતાણ ચાલી રહી છે. માત્ર ૫ બેઠકો જીતનારી કોંગ્રેસે પરિણામોના બીજા જ દિવસે ઉતાવળમાં વિજયની પાર્ટી ટીવીકેને સમર્થન જાહેર કરી દીધું હતું. કોંગ્રેસને આશા હતી કે વિજય સત્તા પર આવશે તો તેને કેબિનેટમાં હિસ્સો મળશે. જોકે, બુધવારે સાંજે રાજ્યપાલે વિજયને બહુમતી સાબિત કરવા માટે જરૂરી આંકડા રજૂ કરવા જણાવતા કોંગ્રેસની ગણતરીઓ ઊંધી પડી છે. ટીવીકે પાસે પોતાની 108 બેઠકો છે અને કોંગ્રેસની ૫ બેઠકો ભળતા આ આંકડો 113 પર પહોંચે છે, જે બહુમતી માટે જરૂરી 118થી હજુ પણ ૫ બેઠકો ઓછી છે.

રાજ્યમાં અન્ય પક્ષો જેવા કે વીસીકે, મુસ્લિમ લીગ અને ડાબેરી પક્ષોએ વિજયને ટેકો આપવાનો ઇન્કાર કરી દીધો છે. આ દરમિયાન તમિલનાડુના રાજકારણના બે કટ્ટર હરીફ પક્ષો ડીએમકે અને એઆઈએડીએમકે સાથે મળીને સરકાર બનાવે તેવી અટકળો તેજ થઈ છે. જો આ બંને પક્ષો સાથે આવશે, તો તે યુપીમાં સપા-બસપા અથવા જમ્મુ-કાશ્મીરમાં ભાજપ-પીડીપીના ગઠબંધન જેવી ઐતિહાસિક ઘટના ગણાશે. જો આવું થશે, તો ઉતાવળમાં વિજયને ટેકો આપનારી કોંગ્રેસ એકલી પડી જશે અને તેની સ્થિતિ વધુ કફોડી થઈ શકે છે.

કોંગ્રેસે વિજયને આપેલા સમર્થનને વિચારધારા સાથેનું સમજૂતી માનવાનો ઈનકાર કર્યો છે. કોંગ્રેસ સાંસદ જોથીમણી સેન્નીમલાઈએ ડીએમકે પર વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, રાજકારણમાં ગઠબંધન બનવા અને તૂટવા એ સામાન્ય બાબત છે. તેમણે યાદ અપાવ્યું કે 2014ની ચૂંટણીના માત્ર એક અઠવાડિયા પહેલા જ ડીએમકે એ કોંગ્રેસને ગઠબંધનમાંથી બહાર કરી દીધી હતી. કોંગ્રેસનું કહેવું છે કે વિજયની વિચારધારા પણ બિનસાંપ્રદાયિક છે, તેથી તેમને સમર્થન આપવામાં કંઈ ખોટું નથી. અત્યારે તમિલનાડુમાં સત્તાનું પલ્લું કઈ તરફ ઝૂકશે તે જોવું રસપ્રદ રહેશે.

સુત્રોના જણાવ્યા મુજબ આ સ્થિતિનો લાભ ઉઠાવીને ભાજપ પડદા પાછળ સક્રિય થઈ ગયું છે, જેના કારણે કોંગ્રેસ છાવણીમાં ફફડાટ ફેલાયો છે તો બીજી તરફ એઆઈએડીએમકે ધર્મસંકટમાં મૂકાઈ ગયું છે. તમિલનાડુની 234 સભ્યોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. હાલમાં વિજયની ટીવીકે પાસે 108 બેઠકો છે, જે બહુમતીથી માત્ર 10 ડગલાં દૂર છે. આ 10 બેઠકોના ટેકા માટે જે ખેંચતાણ શરૂૂ થઈ છે તેણે રાજ્યમાં ભારે ઉથલપાથલ મચાવી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, ભાજપ તમિલનાડુમાં ટીવીકેના નેતૃત્વમાં સરકાર બને તેવું ઇચ્છી રહૃાું છે, પણ તેની શરત અલગ છે. ભાજપ નથી ઇચ્છતું કે વિજયની પાર્ટી કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવે. પડોશી રાજ્ય કેરળમાં કોંગ્રેસની મજબૂત વાપસીથી ચિંતિત ભાજપ કોઈપણ ભોગે તમિલનાડુમાં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માંગે છે. આ માટે ભાજપ તેના જૂના સાથી પક્ષ એઆઈએડીએમકે પર દબાણ લાવી રહૃાું છે કે તેઓ ટીવીકે સાથે ગઠબંધન કરે.

ભાજપના દબાણને કારણે એઆઈએડીએમકેમાં આંતરિક વિખવાદ શરૂૂ થયો છે. પાર્ટીમાં બે જૂથ પડી ગયા છે, જેમ કે, જેઓ સત્તામાં હિસ્સો મેળવવા વિજયની પાર્ટીને ટેકો આપવા માંગે છે અને જેઓ માને છે કે વિજયને ટેકો આપવો તે આત્મઘાતી સાબિત થઈ શકે છે.

પાર્ટીના વરિષ્ઠ નેતા લીમા રોઝ માર્ટિને પણ સ્વીકાર્યું છે કે ટીવીકે અને એઆઈએડીએમકે વચ્ચે વાતચીત ચાલી રહી છે. રાજકીય વિશ્લેષકો માની રહૃાા છે કે જો પાર્ટી કોઈ ચોક્કસ નિર્ણય પર નહીં આવે તો મહારાષ્ટ્રમાં શિવસેના જેવી સ્થિતિ (પાર્ટીના ભાગલા) તમિલનાડુમાં સર્જાઈ શકે છે.

દરમિયાન, કોંગ્રેસના પાંચ વિજેતા ઉમેદવારોએ વિજયને ટેકો જાહેર કર્યો હોવા છતાં આંકડો હજુ પણ અધૂરો છે. ગુરુવારે (સાતમી મે) વિજયે સરકાર રચનાના અંતિમ સમીકરણો પર ચર્ચા કરવા માટે વિજેતા નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક બાદ નક્કી થશે કે તમિલનાડુમાં નવી સરકારનો ચહેરો કેવો હશે અને તે કોના સમર્થનથી ચાલશે.

તમિલનાડુમાં અત્યાર સુધી દ્રવિડિયન પક્ષોનો દબદબો રહૃાો છે, પરંતુ આ વખતે ભાજપના ‘ચાણક્ય’ જેવી વ્યૂહનીતિ અને વિજયની નવી પાર્ટીએ રાજ્યના રાજકારણનું આખું ગણિત બદલી નાખ્યું છે.

મુખ્યમંત્રી કક્ષાની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ ? શા માટે ?

તમિલનાડુ પોલીસે બુધવારે રાત્રે તમિલગ વેટ્રી કઝગમના અધ્યક્ષ સી. જોસેફ વિજયને આપવામાં આવેલી ચુસ્ત સુરક્ષા અને તેમનો કાફલો પાછો ખેંચી લીધો છે. સૂત્રો મુજબ વિજયને તમિલનાડુના મુખ્યમંત્રીની સમકક્ષ આપવામાં આવી રહેલી ‘ઝેડ-પ્લસ’ સ્તરની સુરક્ષા પ્રોટોકોલને ઘટાડીને હવે ન્યૂનતમ કરી દેવામાં આવી છે. આવુ કરવા પાછળનું કારણ તેની પોતાની આ પ્રકારની માંગણી હતી કે તેમની કેન્દ્રીય સુરક્ષા યથાવત હોવાથી આવો નિર્ણય લેવાયો છે. તે અંગે વિવિધ અટકળો થઈ રહી છે.