સુરત જિલ્લા ન્યાયાલય સંકુલમાં કાર્યરત ધી સુરત ડિસ્ટ્રિક્ટ લો લાઇબ્રેરીમાં નવા હોદ્દેદારોની નિમણૂક અંગે ફરીથી વકીલોમાં અસંતોષની લાગણી ઊભી થઈ છે. લાઇબ્રેરીમાં ચેરમેન તરીકે સુરતના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કાયમી હોદ્દો ધરાવે છે, જ્યારે સેક્રેટરી, ટ્રેઝરર, મેનેજિંગ કમિટી અને ઓડિટર્સ જેવા હોદ્દાઓ માટે પસંદગી અથવા ચૂંટણી પ્રક્રિયા દ્વારા નિમણૂક થવાની હોય છે.
આ મુદ્દે એડ્વોકેટ જાવેદ મુલતાનીએ લાઇબ્રેરીના ચેરમેન અને સેક્રેટરીને લેખિત રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષથી લાઇબ્રેરીની ચૂંટણી યોજાઈ નથી, જ્યારે બંધારણ મુજબ દર એક, બે અથવા ત્રણ વર્ષે ચૂંટણી થવી આવશ્યક છે. હાલની કામગીરી બંધારણના વિરુદ્ધ ચાલી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સાથે જ તેમણે લાઇબ્રેરીમાં મૂળભૂત સુવિધાઓની પણ ઉણપ દર્શાવી હતી. ઉનાળાની તીવ્ર ગરમી હોવા છતાં એસી અને પંખાઓ બંધ હાલતમાં હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. લાઇબ્રેરી પાસે અંદાજે 60થી 70 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો.
એડવોકેટ જાવેદ મુલતાનીની રજૂઆત બાદ લાઇબ્રેરીમાં લાંબા સમયથી બંધ પડેલા એસી અને પંખાઓને તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વકીલો અને વાચકોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો હતો, જેના કારણે અનેક વખત ફરિયાદો પણ ઉઠી હતી. રજૂઆતને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાતા વાતાવરણમાં થોડો રાહતનો અનુભવ થયો છે, પરંતુ મૂળભૂત સુવિધાઓને લગતા પ્રશ્નો હજી સંપૂર્ણ રીતે ઉકેલાયા નથી.
