(સૈયદ શકીલ દ્વારા): મુસ્લિમ સમાજમાં શિક્ષણને લઈને એક ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને 10મી અને 12મી ધોરણ પછી યુવકોમાં અભ્યાસ પ્રત્યેની રસ અને સતતતા ઘટતી જઈ રહી છે. તેના વિપરીત, યુવતીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ જાગૃતિ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માત્ર સંખ્યામાં જ નહીં પરંતુ પરિણામોમાં પણ યુવતીઓ યુવકો કરતા આગળ નીકળતી જોવા મળી રહી છે, જે આ બદલાવને વધુ સ્પષ્ટ બનાવે છે.
માહિતી મુજબ, મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવકો 10મી પછી અભ્યાસ છોડે છે અથવા 12મી બાદ આગળ વધવા માટે ગંભીરતા દાખવતા નથી. કેટલાક યુવકો રોજગાર અથવા અન્ય કારણોસર શિક્ષણમાંથી દૂર થઈ જાય છે, જ્યારે ઘણા કેસોમાં માર્ગદર્શનના અભાવ અને જાગૃતિની કમી પણ મુખ્ય કારણ બને છે. બીજી તરફ, યુવતીઓ વધુ મહેનત સાથે ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધી રહી છે, કોલેજ અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં પોતાની હાજરી મજબૂત બનાવી રહી છે.
આ પરિસ્થિતિને કારણે યુવક અને યુવતીઓ વચ્ચે શિક્ષણની ખાઈ વધતી જઈ રહી છે. પરિણામે લગ્ન પ્રણાલીમાં પણ નવા પ્રકારના પડકારો ઉભા થઈ રહ્યા છે. વધુ અભ્યાસ કરેલી યુવતીઓને સમકક્ષ અથવા વધુ શિક્ષિત જીવનસાથી શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર યુવતીઓની ઊંચી ડિગ્રી જ તેમના લગ્નમાં અડચણરૂપ બની જાય છે, જેના કારણે લગ્ન મોડા થવા અથવા યોગ્ય જોડાણ ન મળવાની સમસ્યાઓ ઉભી થાય છે.
સામાજિક વિશ્લેષકોના મતે, આ સ્થિતિ લાંબા ગાળે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. શિક્ષણમાં આવતું અસંતુલન માત્ર વ્યક્તિગત જીવનને જ નહીં પરંતુ સમગ્ર સમાજના સંતુલનને અસર કરે છે. યુવકોમાં શિક્ષણ પ્રત્યે વધતી ઉદાસીનતા અને યુવતીઓમાં વધતી પ્રગતિ…આ બન્ને વચ્ચેનું અંતર ભવિષ્યમાં સામાજિક તણાવનું કારણ બની શકે છે.
યુવાનોનાં વધુ અભ્યાસની આડે કાં તો આર્થિક સ્થિતિ આવી રહી છે કાં તો વાલીઓની ઉદાસીનતા આવી રહી છે. નબળા અને લોઅર મિડલ ક્લાસ વાલીઓ પોતાના બાળકોને 12 સુધી ભણાવામાં જ ખુશ રહે છે. જ્યારે પૈસાદાર વર્ગ પોતાના બાળકોને 12 સુધી ભણાવ્યા બાદ ધંધા-ધાપામાં લગાવી દેતા હોવાના અનેક દાખલા સામે આવ્યા છે.
વિશેષજ્ઞો સૂચવે છે કે મુસ્લિમ વાલીઓએ ખાસ કરીને પોતાના છોકરાઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા પર ભાર મૂકવો જોઈએ. યોગ્ય માર્ગદર્શન, કારકિર્દી અંગે જાગૃતિ અને શૈક્ષણિક સહાય દ્વારા યુવકોને ફરીથી અભ્યાસ તરફ વાળવાની જરૂર છે. સાથે સાથે યુવતીઓની પ્રગતિને પણ સમર્થન આપવું એટલું જ મહત્વપૂર્ણ છે, જેથી સમાજમાં સંતુલન જળવાઈ રહે.
જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં લગ્ન, રોજગાર અને સામાજિક બંધારણને લઈને વધુ ગંભીર સમસ્યાઓ ઊભી થવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
ખાઈને રોકવા માટેના ઉપાયો
આ વધતી શૈક્ષણિક ખાઈને ઘટાડવા માટે કેટલીક અસરકારક કાર્યવાહી જરૂરી બની છે. સૌથી પહેલા, માતા-પિતાએ પોતાના છોકરાઓને અભ્યાસ માટે પ્રેરિત કરવા અને તેમની પ્રગતિ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. સ્કૂલ અને કોલેજ સ્તરે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમોનું આયોજન કરીને યુવકોને યોગ્ય દિશા બતાવવી જરૂરી છે.
સમાજના આગેવાનો અને સંસ્થાઓએ પણ શિક્ષણ અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ, ખાસ કરીને 10મી અને 12મી પછી અભ્યાસ ન છોડવા માટે અભિયાન ચલાવવું જરૂરી છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે સ્કોલરશિપ અને સહાય યોજનાઓ વધુ સુલભ બનાવવી જોઈએ જેથી પૈસાની તંગીને કારણે કોઈ વિદ્યાર્થી અભ્યાસ છોડે નહીં.
યુવકો માટે ટેક્નિકલ અને સ્કિલ આધારિત કોર્સીસ પણ પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી તેઓ શિક્ષણ સાથે રોજગારની તકો પણ મેળવી શકે. સાથે સાથે, યુવતીઓના શિક્ષણને પણ સમાન પ્રોત્સાહન આપવું જરૂરી છે, પરંતુ સમાજમાં લગ્ન સંબંધિત માનસિકતા બદલવા માટે પણ પ્રયત્નો કરવા પડશે, જેથી ઊંચું શિક્ષણ અડચણ નહીં પરંતુ ગુણ તરીકે જોવામાં આવે.
જો આ પ્રકારના સંયુક્ત પ્રયાસો કરવામાં આવશે તો યુવક અને યુવતીઓ વચ્ચેની વધતી શૈક્ષણિક ખાઈને ઘટાડવામાં મદદ મળશે અને સમાજમાં સંતુલન જાળવી શકાય તેવી શક્યતા વધશે.
