ઉત્તરપ્રદેશમાં ભરઉનાળે આંધી-તોફાન અને ભારે વરસાદના કારણે 96 જેટલા લોકોના જીવ ગયા છે. વૃક્ષો-થાંભલાઓ પડી જતા અંધારઘટ છવાયો છે અને ટ્રાફિક ખોરવાયો છે. હવામાન વિભાગે હજુ પણ 38 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. રાજ્યમાં આવેલા ભયંકર વાવાઝોડા , મુશળધાર વરસાદ અને કરા પડવાના કારણે ભારે જાનહાનિ થઈ છે. વિવિધ દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૯૬ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે.
હવામાન વિભાગ દ્વારા હજુ પણ 38 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગઈકાલે ઘણાં વિસ્તારોમાં ભારે વાવાઝોડા, ભારે વરસાદ અને કરા પડ્યા હતા. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં સ્પષ્ટ હતો, જ્યાં વિવિધ જિલ્લાઓમાં કુલ 96 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવામાનમાં અચાનક થયેલા ફેરફારથી ભદોહી જિલ્લામાં ભારે વિનાશ સર્જાયો હતો, જ્યાં ભારે વાવાઝોડા અને ભારે વરસાદને કારણે 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. ઘણી જગ્યાએ, વૃક્ષો ઉખડીને રસ્તાઓ પર પડી ગયા હતા, જેના કારણે ટ્રાફિકની સ્થિતિ ઉભી થઇ હતી.
ગ્રામીણ વિસ્તારોમાં, માટીના મકાનો અને ટીન શેડ ઉડી ગયા હતા, જ્યારે પાકને પણ ભારે નુકસાન થયું હતું. ભારે વરસાદ અને ધૂળના તોફાનને કારણે રસ્તાઓ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. વૃક્ષો પડવાથી ઘણી જગ્યાએ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. મૃતકોમાં ભદોહીમાં 18, મિર્ઝાપુરમાં 15, પ્રયાગરાજમાં 17, પ્રતાપગઢ અને બરેલીમાં 4-4, ફતેહપુરમાં 10, ઉન્નાવ અને બદાયૂંમાં 6-6, સીતાપુર, રાયબરેલી, ચંદૌલી, કાનપુર દેહાત, હરદોઈ અને સંભલમાં બે-બે અને કૌશાંબી, શાહજહાંપુર, સોનભદ્ર અને લખીમપુર ખેરીમાં એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ અને દક્ષિણ રાજસ્થાનથી આવતા પૂર્વીય પવનોને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યના અનેક ભાગોમાં 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવને ભારે વિનાશ વેર્યો હતો. બપોર પછી શરૂ થયેલું આ તોફાન સાંજ સુધીમાં જીવલેણ બની ગયું હતું.
