ભારતીય રેલ્વેએ નવા વર્ષે ભાડામાં વધારો કરીને મુસાફરોને આંચકો આપ્યો છે. રેલવેએ વિવિધ કેટેગરીના ભાડામાં એક પૈસાથી ચાર ચાર પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો કર્યો છે, પરંતુ આ વધારાથી રેલવેને વાર્ષિક આશરે 2,300 કરોડ રૂપિયાની આવક થશે. આ વધારો બુધવાર એટલે કે પહેલી જાન્યુઆરીથી અમલમાં આવ્યો છે.
રેલવેએ મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિમીમાં બે પૈસા અને એસી ટ્રેનના ભાડામાં ચાર પૈસા પ્રતિ કિમી વધારો કર્યો છે. નવા વર્ષના આગલા દિવસે વિપક્ષે રેલવે મુસાફરોનું ભાડુ વધારવા બદલ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને તેને સરકારના લોકોને નવા વર્ષની ભેટ ગણાવી હતી. જોકે, ઉપનગરીય ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
રેલ્વે મંત્રાલયની આ જાહેરાત બાદ બુધવારે ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ના શેર વધ્યા હતા. બજાર બંધ થવાન અંતે IRCTCનો શેરનો ભાવ લગભગ 10 રૂપિયાના વધારા સાથે 944 પર પહોંચી ગયો છે. IRCTC દ્વારા રેલ્વે ટિકિટ ઓનલાઇન વેચાય છે.
રેલવેએ કહ્યું છે કે ટ્રેનો અને સ્ટેશનો પર મુસાફરોની સુવિધા વધારવા માટે મુસાફરોના ભાડામાં વધારો કરવો જરૂરી હતો. પરંતુ કોઈ પણ વર્ગ ઉપર ભાર વધાર્યા વિના થોડો વધારો કરવામાં આવ્યો છે. આનાથી રેલ્વેના આધુનિકીકરણના કામમાં પણ ઝડપ આવશે.
વધેલા ભાડાને આ રીતે સમજી શકાય છે. જો તમે અમદાવાદથી મુંબઈ વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરો છો તો જાણી લો કે અમદાવાદ-મુંબઈ વચ્ચે 441 કિમીનું અંતર છે. એક્સપ્રેસમાં મુસાફરી કરો છો તો 441 કિમીના બે પૈસા પ્રમાણે તમારે 4.41 રૂપિયા ચૂકવવાના થાય છે અને જો તમે એસી ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારે વધારાના 8.82 રૂપિયા ચૂકવવાના રહે છે.
નવેમ્બર સુધીના નાણાકીય વર્ષમાં રેલ્વેને લગભગ 20000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. રેલ્વેનું ઓપરેટિંગ રેશિયો વધીને 121 ટકા થઈ ગયું છે. ઓ ઓપરેટિંગ રેશિયોનો અર્થ એ છે કે રેલવેએ 100 રૂપિયાની આવક માટે 121 રૂપિયા ખર્ચ કરવા પડે છે.
ભારતીય રેલ્વેને છેલ્લા ત્રણ વર્ષમાં 78 હજાર કરોડથી વધુનું નુકસાન સહન કર્યું છે. કારણ એ છે કે મુસાફરોને વેચાયેલી ટિકિટમાંથી રેલવે મેનેજમેન્ટ કરવાના ખર્ચને પહોંચી વળાતું નથી.
રેલવે અને વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે લોકસભામાં આપેલા જવાબમાં આ વાત બહાર આવી છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ઓપરેટિંગ ખર્ચ કરતા મુસાફરોના ઓછા ભાડાને કારણે રેલ્વેને હાલાકી વેઠવી પડી છે.
તેમણે કહ્યું કે 2015-16માં 22.262 કરોડ, 2016-17માં 25.561 કરોડ અને 2017-18માં 31.128 કરોડનું નુકસાન થયું છે.