ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતા દટાયેલી કારમાં ચાર ગુજરાતીઓ સહિત પાંચના કમકમાટીભર્યા મોત

ઉત્તરાખંડમાં હરિદ્વારથી કેદારનાથ જવાના રસ્તા પર ભૂસ્ખલન થતાં સ્વીફ્ટ ડિઝાયર કાર દબાઈ જવાની ઘટના સામે આવી છે, જેમાં પાંચ લોકોના મોત થયા છે અને તેમાં ૪ ગુજરાતી હોવાનું જાણવા મળ્યું છે. તમામના મૃતદેહ મળી આવ્યા છે. હરિદ્વારથી કેદારનાથ વચ્ચે રસ્તા વચ્ચે રૃદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલન થતાં કાર દટાયાનું જાણવા મળ્યું છે. કારમાં સવાર જે ૪ શ્રદ્ધાળુ ગુજરાતી હતાં, જેમાં ૩ અમદાવાદ અને એક મહેમદાવાદના રહેવાસી હતાં.

પ્રાપ્ત થતી વિગતો મુજબ દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા બચાવ કામગીરી શરૃ કરવામાં આવી હતી, પરંતુ ધોધમાર વરસાદના કારણે કામમાં અવરોધ ઊભો થયો હતો, જ્યારે હવામાન ચોખ્ખું થઈ ગયું ત્યારે પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતાં. આ ઉપરાંત અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે, મૃતકોની યાદીમાં ગુજરાતના જીગર આર. મોદી, મહેશ દેસાઈ, દિવ્યેશ પારેખ, મનિષકુમાર નામ સામેલ છે. આ સાથે હરિદ્વારના મિન્ટુ કુમારનું પણ મોત થયું છે.

ઈસનપુર વોર્ડના કોર્પોરેટર અને રોડ એન્ડ બિલ્ડિંગ ડેપ્યુટી કમિટીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થવાથી ઈસનપુર વોર્ડમાં ઘોડાસર વિસ્તારમાં આવેલી ન્યુ આરતી સોસાયટીના ૩ રહેવાસી અને એક મહેમદાવાદના યુવકનું મૃત્યુ થયું છે. ધારાસભ્ય અમુલ ભટ્ટ દ્વારા સરકાર સાથે સંકલનમાં રહી અને પોસ્ટમોર્ટમ પછી તમામના મૃતદેહ ઝડપથી અમદાવાદ લાવવા માટેની તજવીજ કરવામાં આવી હતી.

આ ઘટનાને કારણે કેદારનાથ ધામ તરફ જતા ગુપ્તકાશી-ગૌરીકુંડ હાઈ-વે પરનો વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયાનું જાણવા મળ્યું છે. લગભગ ૬૦ મીટર રોડ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે અને ધોવાઈ ગયો છે.

ઉલ્લેખનિય છે કે, રૃદ્રપ્રયાગ સહિત રાજ્યના ઘણાં જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના મોટાભાગના જિલ્લાઓમાં ૧૧ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ સુધી રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.