દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા મરકઝમાંથી ભીડને બહાર કાઢવાનું કામ ખુબ જ મુશ્કેલ અને કપરું રહ્યું હતું. આ સ્થળ ખાલી કરવા સરકારે આદેશ કર્યા પછી પોલીસ દ્વારા પણ ચેતવણી આપવામાં આવી હોવા છતા પણ જમાત પોતાની જીદ પર અડેલું રહ્યું હતુ અને તેમના દ્વારા સ્થળ ખાલ કરવાની કોઇ તૈયારી બતાવાઇ નહોતી તે પછી તેમને મનાવવા માટે રાત્રે 2.00 વાગ્યે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોવલને મોકલાયા હતા. મસ્જિદના મૌલાના સાદ દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓનો આગ્રહ ઠુકરાવી ચૂક્યા હતા. એવામાં ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલને આગ્રહ કર્યો કે તેઓ મસ્જિદને ખાલી કરવા જમાતને રાજી કરે.
ગૃહમંત્રીના આગ્રહ પર ડોવલ 28-29 દરમિયાન રાત્રે 2 વાગ્યે મરકઝ પહોંચ્યા હતા. ગૃહ મંત્રાલયના ટોચના સૂત્રોએ જણાવ્યું કે, ડોવલે મૌલાનાને સમજાવ્યા અને ત્યાં ઉપસ્થિત લોકોને કોવિડ-19 ટેસ્ટ કરાવવા કહ્યું સાથે લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવાની વાત પણ કહી. શાહ અને ડોવલને સ્થિતિની ગંભીરતાની જાણ હતી કારણે કે સુરક્ષા એજન્સીઓએ કરીમનગરમાં ઈન્ડોનેશિયાના 9 કોરોના પીડિત લોકોની ઓળખ કરી હતી.
આ વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, મરકઝ નિઝામુદ્દીનમાંથી અત્યાર સુધી 2361 લોકોને બહાર કાઢી ચૂકાયા છે અને તેમાંથી 617 લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાના લક્ષણો જોવા મળ્યા છે. આ લોકોને હોસ્પિટલમાં એડમિટ કરાવાયા છે. બાકીના લોકોને ક્વોરન્ટાઈનમાં રખાયા છે.
સિસોદિયાએ કહ્યું, વિસ્તારને ખાલી કરવવા માટે 36 કલાક સુધી ઓપરેશનમાં ભાગ લેનારા લોકોનો હું આભાર વ્યક્ત કરું છું. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમણના અત્યાર સુધીમાં 120 કેસ સામે આવી ચૂક્યા છે. કુલ 750 લોકો દિલ્હીની અલગ-અલગ હોસ્પિટલોમાં એડમિટ કરાવાય છે. તેમાંથી એક વ્યક્તિ વેન્ટીલેટર પર છે.