સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ફિલ્મમેકર સુરજીત સિંહે નવો ખુલાસો કર્યો છે. તેના મતે 15 જૂનના રોજ તે રિયા ચક્રવર્તીને કૂપર હોસ્પિટલ લઈ ગયો હતો. અહીંયા પોસ્ટમોર્ટમ બાદ સુશાંતનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હતો. તેના મતે, રિયાએ આ દરમિયાન સુશાંતની છાતી પર હાથ મૂકીને ‘સોરી બાબુ’ કહ્યું હતું અને તે રડવા લાગી હતી.
રિપબ્લિક ભારત સાથેની વાતચીતમાં સુરજીતે કહ્યું હતું, ‘હું અંદાજે 11 વાગે હોસ્પિટલ ગયો હતો. અંદાજે 11.30 વાગે મારો મિત્ર સૂરજ સિંહ ત્યાં આવ્યો હતો અને મને કહેવા લાગ્યો હતો કે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સુશાંતના અંતિમ દર્શન કરવા ઈચ્છે છે. પોલીસ સાથે વાત કરીને તેને સુશાંતનો ચહેરો બતાવી દે. મેં પોલીસ સાથે વાત કરી હતી. પછી હું રિયાને લઈ શબઘરની અંદર ગયો હતો. મેં સુશાંતના ચહેરા પરથી ચાદર હટાવી ત્યારે રિયાએ તેની છાતી પર હાથ મૂક્યો અને કહ્યું, ‘સોરી બાબુ.’ અમે પાંચથી સાત મિનિટ ત્યાં રહ્યાં હતાં.’
સુરજીતના મતે, શબ પરથી ચાદર હટાવતા જ રિયાએ સોરી કહ્યું તે વાત તેને પસંદ આવી નહોતી. તેના મનમાં એ સવાલ થયો હતો કે અંતે રિયાએ કઈ વાતની માફી માગી હતી. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે ત્યાં હાજર રહેલા રિયાના ભાઈ શોવિક તથા માતા સંધ્યાએ પણ સુશાંતનો ચહેરો જોવાની ઈચ્છા પ્રગટ કરી હતી પરંતુ પોલીસે તેમને પરવાનગી આપી નહોતી. સુરજીત સિંહ રાઠોળના મતે રિયા કૂપર હોસ્પિટલમાં બે કલાક સુધી રહી હતી. હોસ્પિટલની બહાર મોટા પ્રમાણમાં મીડિયા પર્સન હોવાથી તે પાછળના દરવાજેથી અંદર ગઈ હતી.
સુરજીતના મતે, તે અખિલ ભારતીય રાજપૂત કરણી સેનાનો સભ્ય છે અને સુશાંતના કાકાના દીકરા તથા MLA નીરજ સિંહ બબલુનો નિકટનો સંબંધી છે. નીરજે જ તેને હોસ્પિટલમાં રહેવાનું કહ્યું હતું. તેણે મુંબઈ પોલીસને કહ્યું હતું કે રિયાએ સુશાંતની છાતી પર હાથ મૂકીને માફી માગી હતી પરંતુ તેની વાતને ધ્યાનમાં લેવામાં આવી નહોતી.
સુરજીતે આ વાતચીતમાં ચોંકાવનારો ખુલાસો પણ કર્યો હતો. તેના મતે, સૂરજ સિંહે તેને કહ્યું હતું કે સુશાંત છેલ્લાં એક વર્ષથી ડિપ્રેશનમાં હતો અને તેને કારણે તે એક વર્ષ પહેલા પણ સુસાઈડ કરવાનો હતો પરંતુ રિયા તેને સંભાળી રહી હતી. જોકે, સુશાંતની આત્મહત્યાવાળી વાત સુરજીત સિંહને હજી સુધી સમજમાં આવી નથી. તે હજી પણ એમ માનીને જ ચાલે છે કે સુશાંત કોઈ કાવતરાનો ભોગ બન્યો હતો.
સુરજીતે આ વાતચીતમાં સુશાંતના ખાસ મિત્ર તથા પ્રોડ્યૂસર સંદીપ સિંહ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. સુરજીતના મતે, સંદીપ સિંહ આ પૂરી રમતનો માસ્ટર માઈન્ડ છે. સુરજીતે કહ્યું હતું, ‘હું તો એમ કહીશ કે તે હત્યારો છે. આ કેસને તે હેન્ડલ કરી રહ્યો છે. સંદીપે જ મુંબઈ પોલીસને કહીને મને કૂપર હોસ્પિટલમાંથી બહાર કાઢાવ્યો હતો. તે એમ્બ્યુલન્સમાં સુશાંતનું શબ લઈને હોસ્પિટલ આવ્યો હતો અને પોલીસ અધિકારી સામે જોઈને ઈશારો પણ કર્યો હતો.’