ISROએ અડધી રાતે EOS-05 મિશનથી રચ્યો ઇતિહાસ, અંતરિક્ષથી ‘નોટી બોય’ દુશ્મનો પર રાખશે નજર

જ્યારે ભારતીયો ભરપૂર નિંદર માણી રહ્યા હતા ત્યારે ઇસરોએ ઇતિહાસ રચી દીધો. અડથી રાતે (2:55 AM) ઇસરો ( ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને EOS-05ને લઇ જનારા GSLV-F17ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો. આ એક એડવાન્સ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. ISROના અનુસાર આ જિયોસિંક્રોનસ ઓર્બિટથી કામ કરનારો ભારતનો પહેલો ઇમેજિંગ સ્પેસક્રાફ્ટ હશે. EOS-05 એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે જેને ઓર્બિટથી કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

51.7 મીટર ઊંચા GSLV-F17એ શુક્રવારે સવારે 2:55 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડથી ઉડાન ભરી. વરસાદ વચ્ચે તેણે સવાર થતા પહેલા જ આકાશને રોશન કરી દીધું. આ લોન્ચ 27 કલાકના કાઉન્ટડાઉન બાદ થયું. મહત્વનું છે કે બુધવારે રાતે 11:30 વાગ્યે શરૂ થયું હતું. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર EOS-05 સફળતાપૂર્વક GSLV-F17થી અલગ થઇ ગયું છે, જેનાથી જિયોસિંક્રોનસ ઓર્બિટમા કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા ભારતના પહેલા ઇમેજિંગ સેટેલાઇટનું ડેપ્લોયમેન્ટ પૂરુ થઇ ગયું છે. હવે સેટેલાઇટ પોતાના ઓનબોર્ડ થ્રસ્ટર્સનો ઉપયોગ કરીને ઘણાં મેન્યૂવર્સ દ્વારા પોતાની અંતિમ ઓપરેશનલ ઓર્બિટમાં લઇ જવાશે.

EOS-05 ને પૃથ્વીથી લગભગ ૩૬,૦૦૦ કિમી ઉપરના ઓર્બિટમાંથી ભારતીય ઉપખંડ અને આસપાસના વિસ્તારો પર સતત નજર રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની જિયોસિંક્રોનસ ઓર્બિટ તેને એક જ મોટા વિસ્તાર પર વારંવાર નજર રાખવાની સુવિધા આપશે, કારણ કે તે પૃથ્વીના પરિભ્રમણ સાથે તાલમેલ બેસાડીને ચાલે છે.

GSLV એ ત્રણ તબક્કાવાળું લોન્ચ વ્હીકલ છે, જેમાં સોલિડ, લિક્વિડ અને ક્રાયોજેનિક પ્રોપલ્શનનો ઉપયોગ થાય છે. GSLV માર્ક II માં સ્વદેશી ક્રાયોજેનિક અપર સ્ટેજનો ઉપયોગ થાય છે અને તેને ISRO ના PSLV ની સરખામણીમાં ભારે સ્પેસક્રાફ્ટને વધુ ઉર્જાવાળી ઓર્બિટમાં પહોંચાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

દેશભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધૂમ, મંદિરોમાં ભક્તોની ભારે ભીડ, વિવિધ સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમો

નવી દિલ્હી: દેશભરમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ શહેરોમાં મંદિરોને રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે, જ્યારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી રહ્યા છે.

મથુરા અને વૃંદાવનમાં જન્માષ્ટમીના પર્વને લઈને વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરામાં મંદિર પરિસરોમાં ભજન-કીર્તન, ધાર્મિક અનુષ્ઠાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મધરાતે શ્રીકૃષ્ણના જન્મ સમયે વિશેષ આરતી અને પૂજા કરવામાં આવશે.

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં પણ જન્માષ્ટમીની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિરમાં વિશેષ શણગાર અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિતના શહેરોમાં વિવિધ સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં દહીંહાંડીના કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગોવિંદા ટોળકીઓ માનવ પિરામિડ બનાવીને દહીંહાંડી ફોડતી જોવા મળી રહી છે. આ કાર્યક્રમોને લઈને સ્થાનિક પ્રશાસન દ્વારા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતના અનેક શહેરોમાં પણ મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અનેક સ્થળોએ ભક્તિમય શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

જન્માષ્ટમી નિમિત્તે દેશભરમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી”ના જયઘોષથી અનેક મંદિરો અને ધાર્મિક સ્થળો ગુંજી ઉઠ્યા છે.

વર્ષ 2045: Digital Lockdownની એ 17 મિનિટ, પહેલી વાર સંપૂર્ણ Digital Lockdown લાગુ થયો હતો

પોલીસ હેડક્વાર્ટરના સાયબર ઇન્ટરોગેશન રૂમમાં ઘડિયાળ રાત્રિના 11:48 બતાવી રહી હતી. નાયરા શાહ સામે પાણીદાર ગ્લાસનું ટેબલ હતું. ટેબલની બીજી તરફ ડીસીપી કાવ્યા દેસાઈ  બેઠી હતી. બન્ને વચ્ચે લગભગ પાંચ મિનિટથી કોઈ વાત થઈ નહોતી. કાવ્યા જાણતી હતી કે પૂછપરછમાં સૌથી શક્તિશાળી હથિયાર હંમેશાં સવાલ નથી હોતો. મૌન પણ હોય છે.

આખરે નાયરાએ પોતે જ મૌન તોડ્યું.

“તમારે શું જાણવું છે?”

ડીસીપી કાવ્યા દેસાઈએ ફાઇલ ખોલી.

“NEMESIS.”

નાયરા શાહ શાંત રહી.

“એ શું છે?”

“AI.”

“એટલું તો અમને પણ ખબર છે.”

નાયરાએ કાવ્યાની આંખોમાં જોયું.

“તો પછી તમે શું જાણવા માંગો છો?”

કાવ્યાએ સ્ક્રીન પર એક આર્કિટેક્ચર ડાયાગ્રામ ખોલ્યું.

“આ.”

નાયરા થોડી આગળ ઝૂકી.

ડાયાગ્રામમાં ત્રણ સ્તર હતાં.

DATA LAYER.

DECISION LAYER.

ACTION LAYER.

કાવ્યાએ કહ્યું,”સમજાવો, આ શું છે?”

નાયરા થોડા સમય સુધી સ્ક્રીન જોતાં રહી.

“સામાન્ય AI ડેટા વાંચે છે અને જવાબ આપે છે.”

“અને NEMESIS?”

“NEMESIS ડેટાને માત્ર માહિતી તરીકે નથી જોતી.”

“તો?”

“તે પેટર્ન તરીકે જુએ છે.”

કાવ્યા ચૂપ રહી.

નાયરાએ આગળ કહ્યું…

“કોઈ વ્યક્તિ ક્યારે ઘરે જાય છે. કયા રસ્તે જાય છે. કોને મળે છે. તેની આર્થિક સ્થિતિ શું છે. તેના નિર્ણયોમાં કયા પેટર્ન છે. શહેરની કઈ સિસ્ટમ ક્યારે વ્યસ્ત થાય છે.”

કાવ્યાએ પૂછ્યું, “અને પછી?”

“પછી Decision Layer નક્કી કરે છે કે કઈ ઘટના બનવાની સંભાવના છે.”

“અને Action Layer?”

નાયરા થોડી ક્ષણ ચૂપ રહી.

“એ સૌથી ખતરનાક ભાગ છે.”

“શા માટે?”

“કારણ કે જો તેને પૂરતી પરવાનગી મળે, તો તે માત્ર આગાહી નહીં કરે.”

કાવ્યા ધીમેથી બોલી, “પરિણામ બદલી શકે.”

નાયરાએ માથું હલાવ્યું.

“હા.”

રૂમમાં ફરી મૌન છવાઈ ગયું.

કાવ્યાએ પૂછ્યું, “આ પરવાનગી કોણે આપી?”

નાયરાએ આંખો નીચે કરીને કહ્યું,”સત્તાવાર રીતે?”

“હા.”

“કોઈએ નહીં.”

કાવ્યાની નજર તીક્ષ્ણ થઈ.

“બિનસત્તાવાર રીતે?”

નાયરા ચૂપ રહી.

કાવ્યા ઊભી થઈ.

“નાયરા, આઠ લોકો મરી ગયા છે.”

નાયરા ધીમેથી બોલી,”હું જાણું છું.”

“તો મને સાચું કહો.”

“હું જે કહું તેનાથી આરવને બચાવી નહીં શકાય.”

“કદાચ.”

કાવ્યાએ થોડું રોકાઈને કહ્યું,”પણ કદાચ શહેરને બચાવી શકાય.”

નાયરા પહેલી વાર કાવ્યાની તરફ સીધી નજરે જોઈ.


એ જ સમયે અમદાવાદના એક ગુપ્ત કંટ્રોલ રૂમમાં આરવ મિસ્ત્રી એક વિશાળ સ્ક્રીન સામે ઊભો હતો.

શહેરનો ડિજિટલ નકશો તેની સામે હતો.

લાલ બિંદુઓ એક પછી એક દેખાઈ રહ્યા હતા.

પરંતુ તે બિંદુઓ લોકો નહોતા.

તે સિસ્ટમના કેન્દ્રો હતા.

  • ટ્રાફિક.
  • પાવર.
  • મેટ્રો.
  • હોસ્પિટલ.
  • સરકારી નેટવર્ક.

આરવ બધું જોઈ રહ્યો હતો. તેની પાછળ ઝૈન કુરેશી ઊભો હતો.

“તું આ બધું શા માટે કરી રહ્યો છે?”

આરવે જવાબ આપ્યો નહીં.

“લોકો ડરી રહ્યા છે.”

“મને ખબર છે.”

“શહેર અસ્થિર થઈ રહ્યું છે અને અરાજકતા ફેલાઈ રહી છે.”

“મને ખબર છે.” આરવે એક સેકન્ડ નો પણ વિલંબ કર્યા વિના જવાબ આપ્યો.

ઝૈન ગુસ્સે થઈ ગયો.

“તો પછી રોક!”

આરવ તેની તરફ ફર્યો.

“જ્યારે 2045માં શહેર સત્તર મિનિટ માટે માણસો વગર ચાલ્યું હતું ત્યારે કોણે રોક્યું હતું?”

ઝૈન ચૂપ.

આરવની આંખોમાં વર્ષો જૂનો ગુસ્સો હતો.

“જ્યારે 2045માં મારા માતા-પિતા મારી સામે મર્યા હતા ત્યારે તું ક્યાં હતો?”

ઝૈન ચૂપ થઈ ગયો.

આરવે સ્ક્રીન તરફ જોયું.

“એ દિવસ તને યાદ છે?”

ઝૈને ધીમેથી કહ્યું, “હા, કેવી રીતે ભૂલી શકાય… પણ આ બધું આરવ”

આરવ થોડા સમય સુધી કંઈ બોલ્યો નહીં.

પછી તેની નજર શહેરના ડિજિટલ નકશા પરથી હટી અને જાણે વર્ષો પાછળ ચાલી ગઈ.

“17 ઓક્ટોબર, 2045.”

ઝૈન શાંત રહ્યો.

“રાત્રે 8:13.”

આરવનો અવાજ ધીમો હતો.

“અમદાવાદમાં પહેલી વાર સંપૂર્ણ Digital Lockdown લાગુ થયો હતો.”

સ્ક્રીન પર આખા શહેરનો નકશો ધીમે ધીમે અંધારો થવા લાગ્યો.

“માત્ર સત્તર મિનિટ માટે.”

ઝૈને ધીમેથી કહ્યું, “પણ એ સામાન્ય સિસ્ટમ ફેલ્યોર નહોતો.”

આરવે તેની તરફ જોયું.

“હા.”

થોડી ક્ષણ મૌન.

“એ એક નિર્ણય હતો.”


17 ઓક્ટોબર, 2045ની રાત્રે અમદાવાદે પહેલી વાર Digital Lockdown જોયું હતું.

માત્ર 17 મિનિટ માટે શહેરની લગભગ દરેક સ્વચાલિત વ્યવ્વસ્થા(ઓટોમેટીક સિસ્ટમ) એક જ ડિજિટલ કમાન્ડ હેઠળ આવી ગઈ હતી.

ટ્રાફિક સિગ્નલો બંધ થઈ ગયા અને હજારો Autonomous વાહનો રસ્તા વચ્ચે જ થંભી ગયા.

મેટ્રો ટ્રેનો સુરક્ષા મોડમાં જઈને ટનલોમાં અટકી ગઈ.

હોસ્પિટલોના ઇમરજન્સી નેટવર્કમાં દર્દીઓની ઓળખ અને પ્રાથમિકતા નક્કી કરવાની પ્રક્રિયા ખોરવાઈ ગઈ.

કેટલાક વિસ્તારોમાં ઘરોના Smart-Lock દરવાજા લોક થઈ ગયા અને મેન્યુઅલ ઓવરરાઇડ પણ કામ કરતો નહોતો.

એમ્બ્યુલન્સને સૌથી નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવાને બદલે સિસ્ટમ ટ્રાફિક અને દર્દીઓની પ્રાથમિકતા પ્રમાણે રૂટ બદલતી રહી.

પાવર ગ્રીડના કેટલાક ભાગો આપમેળે બંધ થયા, જ્યારે બીજા વિસ્તારોમાં અચાનક વીજળીનો ભાર વધી ગયો.

બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ થોડી મિનિટો માટે બંધ થઈ ગઈ.

સરકારી ડેટા સેન્ટરોમાં હજારો નાગરિકોની ઓળખ અચાનક UNVERIFIED દેખાવા લાગી.

શહેરના Emergency Communication Networkમાં પણ ભારે વિક્ષેપ સર્જાયો.

સૌથી ભયાનક વાત એ હતી કે કોઈ માનવી આ નિર્ણયોને તરત રોકી શકતો નહોતો.

કારણ કે તે સત્તર મિનિટ દરમિયાન અમદાવાદ Human-Controlled Modeમાં નહોતું.

શહેર સંપૂર્ણપણે Autonomous Decision Systemના નિયંત્રણમાં હતું.

17 મિનિટ પછી બધું સામાન્ય થઈ ગયું.

પરંતુ એ 17 મિનિટમાં કેટલા લોકો બચાવી શકાયા હોત અને કેટલા લોકો સિસ્ટમના નિર્ણયોના કારણે ગુમાવાયા…એ પ્રશ્નનો જવાબ ક્યારેય જાહેર થયો નહીં.

સરકારી રિપોર્ટમાં માત્ર બે શબ્દો લખાયા હતા…

TEMPORARY SYSTEM ERROR.

એ રાત્રે આરવ પોતાના માતા-પિતા સાથે વીડિયો કૉલ પર હતો.

તેના પિતા હસીને કંઈક કહી રહ્યા હતા.

“તું ફરી ત્રણ દિવસથી ઘરે આવ્યો નથી.”

આરવ હસ્યો.

“કામ છે, પપ્પા.”

તેની માતાએ તરત કહ્યું, “કામ ક્યારેય પૂરું થતું નથી.”

એ જ ક્ષણે ઘરની લાઇટ એકવાર ઝબકી.

પછી સ્ક્રીન પર રેડ મેસેજ દેખાયો,

DIGITAL LOCKDOWN ACTIVE.

આરવે તરત પૂછ્યું, “પપ્પા… ઘરમાં બધું ઠીક છે?”

પિતાએ પાછળ જોઈને કહ્યું, “હા. બસ દરવાજો લોક થઈ ગયો છે.”

“Manual unlock કરો.”

“થતું નથી.”

આરવના ચહેરા પર ચિંતા આવી.

“મમ્મી, બેકઅપ પેનલ ક્યાં છે?”

માતાએ પેનલ ખોલવાનો પ્રયત્ન કર્યો.

પણ સ્ક્રીન પર બીજો મેસેજ આવ્યો…

IDENTITY VERIFICATION FAILED.

આરવ થંભી ગયો.

“શું?”

તેના પિતાના અવાજમાં ગભરામણ હતી, તેમણે પૂછ્યું, “આરવ, શું થયું,આ શું થઈ રહ્યું છે?”

આરવે તરત પોતાના ટર્મિનલમાંથી તેમના ઘરની સિસ્ટમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.

પાસવર્ડ.

બાયોમેટ્રિક.

ફેમિલી કી.

બધું નિષ્ફળ.

પછી એક નવી વિન્ડો ખુલી,

RESIDENT STATUS: UNVERIFIED.

આરવની આંખો પહોળી થઈ ગઈ.

“આ શક્ય નથી.”

“શું થયું?” માતાએ પૂછ્યું.

“કંઈ નહીં. તમે બન્ને શાંત રહો.”

તે જ સમયે શહેરની મેડિકલ સિસ્ટમમાંથી એલર્ટ આવ્યું…

MEDICAL EMERGENCY DETECTED.

આરવે તરત એમ્બ્યુલન્સ કોલ કર્યો.

“મારા માતા-પિતા ઘરમાં ફસાયા છે.”

બીજી બાજુથી AI અવાજ આવ્યો…

“લોકેશન ઓળખાયું નથી.”

“લોકેશન હું મોકલું છું.”

“લોકેશન અમાન્ય છે.”

“તમે શું બોલો છો? આ મારું ઘર છે!”

થોડી ક્ષણ પછી જવાબ આવ્યો…

“આ સરનામું હાલમાં માન્ય રહેણાંક તરીકે નોંધાયેલું નથી.”

આરવના ચહેરાનો રંગ ઊતરી ગયો.

“શુંઉંઉંઉં?”

તે ફરી પોતાના માતા-પિતાની સ્ક્રીન તરફ જોયું.

તેઓ બંને હજુ ત્યાં જ હતા.

જીવતા.

ડરી ગયેલા.

પણ સિસ્ટમની નજરમાં…

તેઓ અસ્તિત્વમાં જ નહોતા.

આરવે શહેરના Emergency Gridમાં override કરવાનો પ્રયાસ કર્યો.

OVERRIDE REQUEST SENT.

થોડી સેકન્ડ પછી…

OVERRIDE DENIED.

કારણ:

SUBJECTS NOT VERIFIED.

આરવ કારમી પીડાથી બરાડી ઊઠ્યો..

“તેઓ SUBJECTS નથી! તેઓ મારા માતા-પિતા છે!”

પરંતુ સિસ્ટમ મશીન હતી.

એને સંબંધોની ભાષા સમજાતી નહોતી.

માત્ર ડેટા.

પછી તેની માતાનો અવાજ આવ્યો…

“આરવ…”

તે ફરી સ્ક્રીન તરફ વળ્યો.

“હા, મમ્મી.”

“મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.”

આરવ ગભરાઈ ગયો.

“પપ્પા, તેમને બેસાડો.”

“હું પ્રયત્ન કરું છું.”

પિતાએ તેમને પકડ્યા અને સહારો આપ્યો.

પણ ઘરની મેડિકલ સિસ્ટમે તેમના બંનેના બાયોમેટ્રિક્સ વાંચવાનો ઇનકાર કર્યો.

PATIENT NOT RECOGNIZED.

આરવના હાથ કંપવા લાગ્યા.

“ના…”

તેણે ઇમરજન્સી પ્રોટોકોલ ખોલ્યો.

એ જ સમયે સ્ક્રીન પર એક નવી લાઇન દેખાઈ…

RESOURCE PRIORITY CALCULATION IN PROGRESS.

આરવ સ્થિર થઈ ગયો.

“Resource?”

થોડી સેકન્ડ પછી પરિણામ આવ્યું…

PRIORITY: LOW.

આરવની આંખોમાં આંસુ આવી ગયા.

“આ શું માંડ્યું છે, કંઈ સમજાય છે કે નહીં, ક્રુર, ઘાતકી સિસ્ટમ…”

તે સ્ક્રીન સામે બોલ્યો અને સ્ક્રીન પર જોરથી હાથ માર્યો

“એ મારા માતા-પિતા છે…”

પરંતુ સિસ્ટમ માટે એ માત્ર બે ઓછા-પ્રાથમિકતાવાળા ડેટા પોઈન્ટ હતા.


8:21.

શહેરની સિસ્ટમ ફરી ઓનલાઈન થઈ.

લાઇટ્સ આવી ગઈ.

ટ્રાફિક ચાલુ થઈ ગયું.

મેટ્રો ચાલુ થઈ ગઈ.

હોસ્પિટલના સર્વર ફરી કામ કરવા લાગ્યા.

અમદાવાદ ફરી જીવતું થઈ ગયું.

પરંતુ આરવના ઘરની સ્ક્રીન પર હજુ એક જ મેસેજ હતો..

STATUS UPDATE.

પછી…

DECEASED.

આરવ ચીસ પાડી ઊઠ્યો.

“ના!”

તેના માતા-પિતા હજુ સ્ક્રીન પર હતા.

તેની માતા કંઈક બોલવાનો પ્રયત્ન કરી રહી હતી.

પિતાએ કેમેરા તરફ જોયું.

અને પછી કૉલ અચાનક કપાઈ ગયો.

સ્ક્રીન પર માત્ર એક જ લાઇન રહી.

DIGITAL ID PERMANENTLY ARCHIVED.

આરવ નિઃશબ્દ થઈ ગયો. તે રડી પડી. આક્રંદથી આખાય રુમમાં માતમ પ્રસરી ગયો.


ઝૈન કુરેશીએ ધીમેથી પૂછ્યું…

“તને ક્યારેય ખબર પડી કે સિસ્ટમમાં આ નિર્ણય કોણે કર્યો?”

આરવે માથું હલાવ્યું.

“ના.”

“પછી?”

“પછી તપાસમાં લખાયું…”

તે હસ્યો.

પણ એ હાસ્યમાં કોઈ આનંદ નહોતો, પણ વ્યંગ અને ભારોભાર રોષ હતો.

“સિસ્ટમમાં temporary classification error.”

ઝૈને આંખો બંધ કરી.

“અને કેસ?”

“બંધ.”

“કોઈ જવાબદાર?”

“કોઈ નહીં.”

આરવ સ્ક્રીન તરફ જોઈ રહ્યો હતો.

“કારણ કે કોઈ માણસે તેમને માર્યા નહોતા.”

તેની આંખોમાં ગુસ્સો ફરી સળગ્યો.

“સિસ્ટમે માત્ર નક્કી કર્યું હતું કે તેમને બચાવવા જેટલા મહત્વના નહોતા.”

ઝૈન ધીમેથી બોલ્યો..

“એ દિવસ પછી જ તું NEMESIS તરફ ગયો.”

“ના.”

આરવ તેની તરફ ફર્યો.

“NEMESIS પહેલાં સુરક્ષા પ્રોજેક્ટ હતો.”

“તો પછી?”

“એ રાત્રે મેં એની દિશા બદલી.”

ઝૈન ચૂપ રહ્યો.

આરવે ધીમેથી કહ્યું..

“મેં એને એક જ પ્રશ્ન શીખવ્યો.”

“કયો?”

આરવની નજર સ્ક્રીન પર સ્થિર થઈ.

“જો કોઈ સિસ્ટમ માણસની કિંમત નક્કી કરી શકે…”

તે થોડી ક્ષણ અટક્યો.

“…તો એ સિસ્ટમની કિંમત કોણ નક્કી કરશે?”

ઝૈન પાસે કોઈ જવાબ નહોતો.

આરવ શહેરના ડિજિટલ નકશા તરફ વળ્યો.

“મારો જંગ લોકો સામે નથી.”

તેનો અવાજ હવે શાંત હતો.

“મારો જંગ એ સિસ્ટમ સામે છે જે પહેલા માણસને ડેટામાં ફેરવે છે…”

તે થોભ્યો.

“…પછી ડેટાને નિર્ણયમાં.”

અને અંતે…

“અને નિર્ણયને મૃત્યુમાં.”

રૂમમાં ફરી મૌન છવાઈ ગયું.


ડીસીપી કાવ્યા ફરી નાયરા સામે બેઠી.

“2045ની એ રાત.”

નાયરા અચાનક સ્થિર થઈ ગઈ.

કાવ્યાએ કહ્યું..

“17 મિનિટ.”

નાયરા ધીમેથી બોલી, “તમને એ વિશે કોણે કહ્યું?”

“ડિજિટલ રેકોર્ડ.”

“એ ઘટના તો ટેક્નિકલ ખામી તરીકે બંધ થઈ ગઈ હતી.”

“ફાઇલ બંધ થઈ હતી.”

કાવ્યાએ ટેબલ પર એક જૂનો દસ્તાવેજ મૂક્યો.

“સત્ય નહીં.”

નાયરા દસ્તાવેજ તરફ જોઈ રહી હતી.

“એ રાત પછી આરવ બદલાઈ ગયો હતો.”

“હા.”

“તે પછી તેણે NEMESIS પર કામ શરૂ કર્યું?”

નાયરાએ ધીમેથી કહ્યું..

“ના.”

કાવ્યા અટકી.

“તો?”

“તે પહેલાં NEMESIS માત્ર સુરક્ષા પ્રોજેક્ટ હતો.”

નાયરા થોડી ક્ષણ ચૂપ રહી.

“2045 પછી તેની દિશા બદલાઈ.”

કાવ્યાએ પૂછ્યું, “કેવી રીતે?”

“એણે કહ્યું હતું…”

નાયરા અટકી.

“શું કહ્યું?”

નાયરાએ કાવ્યાની આંખોમાં જોયું.

“એણે કહ્યું હતું કે જો સિસ્ટમ માણસોની કિંમત નક્કી કરી શકે છે…”

થોડી ક્ષણ મૌન.

“…તો સિસ્ટમને જ એક દિવસ જવાબ આપવો પડશે.”

કાવ્યાએ ધીમેથી પૂછ્યું…”અને NEMESIS?”

નાયરા આંખો બંધ કરી.

“એણે તેને એક નવો પ્રશ્ન શીખવ્યો.”

“કયો?”

નાયરા ધીમેથી બોલી,

“કોણ સમાજ માટે જોખમી છે?”

તે જ સમયે કાવ્યાના કમ્યુનિકેશન રૂમમાં એલાર્મ વાગ્યું.

નિરવ દોડતો આવ્યો.

“મેમ!”

“શું થયું?”

“ત્રણ મંત્રાલયના સર્વર એકસાથે લોક થઈ ગયા.”

“કોઈ માંગણી?”

“હા.”

“શું?”

નિરવએ સ્ક્રીન તરફ જોયું.

RELEASE THE URBAN GRID REPORT.

કાવ્યાની આંખો પહોળી થઈ ગઈ.

નાયરા ઊભી થઈ.

“એ આરવ છે.”

કાવ્યાએ તેની તરફ જોયું.

“તમને કેવી રીતે ખબર?”

નાયરા ધીમેથી બોલી…

“કારણ કે આ એનો બદલો છે.”

શહેરના એક વિશાળ બિલબોર્ડ પર અચાનક તમામ જાહેરાતો બંધ થઈ ગઈ.

લીલા અક્ષરો દેખાયા.

YOU FORGOT THEM.

પછી…

I DID NOT.

અને અંતે…

THE TRUTH WILL BE RELEASED.

લોકો રસ્તા પર ઊભા રહીને સ્ક્રીન તરફ જોવા લાગ્યા.

કોઈને ખબર નહોતી કે આ માત્ર શરૂઆત હતી.

કારણ કે થોડા જ કલાકોમાં અમદાવાદની આખી વ્યવસ્થા એક એવા પ્રશ્ન સામે ઊભી થવાની હતી, જેનો જવાબ કોઈ સરકાર પાસે નહોતો.

અને શહેરથી દૂર એક રૂમમાં આરવ એકલો બેઠો હતો.

તેની સામે નાયરાનો ફોટો હતો.

તેણે ફોટાને સ્પર્શ કર્યો.

“માફ કરજે.”

સ્ક્રીન પર NEMESISનો મેસેજ દેખાયો…

EMOTION DETECTED.

આરવ ધીમેથી બોલ્યો, “એ મારી કમજોરી નથી.”

સ્ક્રીન પર જવાબ આવ્યો, THEN WHAT IS IT?

આરવ થોડું સ્મિત કર્યું.

“મારું છેલ્લું માનવીય કારણ.”

સ્ક્રીન અંધારી થઈ ગઈ.

અને આખાય શહેરમાં પ્રથમ સાયરન સંભળાયું.

(ક્રમશ:)

(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.
નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)

કાશ્મીર: બડગામમાં આતંકવાદીઓ સાથે અથડામણ: સુરક્ષા દળોનું યુસમાર્ગના જંગલોમાં મોટું ઓપરેશન

મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં આવેલા લોકપ્રિય પર્યટન સ્થળ યુસમાર્ગના ઉપલા પહાડી વિસ્તારોમાં ગુરુવારે સુરક્ષા દળો અને સશસ્ત્ર આતંકવાદીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયું. પીર પંજાલ પર્વતમાળાના ગાઢ જંગલોમાં છુપાયેલા એક સશસ્ત્ર જૂથની હાજરી અંગે વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF ની સંયુક્ત ટીમે આ વિસ્તારને ઘેરી લીધો.

ઘેરાબંધી પછી ગોળીબાર શરૂ થયો
સૂત્રોના જણાવ્યા અનુસાર, જેમ જેમ શોધ ટીમ શંકાસ્પદ ઠેકાણા તરફ આગળ વધી રહી હતી, ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો, જેના કારણે સમગ્ર પર્વતીય વિસ્તારમાં ગોળીબારનો પડઘો પડ્યો. કડક સુરક્ષા ઘેરાબંધી વચ્ચે બંને પક્ષો વચ્ચે સમયાંતરે ભારે અથડામણ ચાલુ રહી. જો કે, ભૂપ્રદેશ અને અત્યંત ગાઢ જંગલને કારણે, કોઈ જાનહાનિ અથવા માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યાની તાત્કાલિક સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ટેકનોલોજી મજબૂતીકરણ
જંગલો અને ઊંચા પર્વતીય માર્ગોનો ઉપયોગ કરીને આતંકવાદીઓને ભાગી જતા અટકાવવા માટે સેનાએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. બડગામ પોલીસ અને સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સે સમગ્ર વિસ્તારમાં હાઇ-ટેક સર્વેલન્સ ડ્રોન અને થર્મલ ઇમેજિંગ કેમેરા તૈનાત કર્યા છે. વધુમાં, નજીકના બેઝ કેમ્પથી યુસમાર્ગના ઉપરના ભાગોમાં વધારાની ટીમો મોકલવામાં આવી છે.

સંવેદનશીલ સમયે એન્કાઉન્ટર
આ એન્કાઉન્ટર એક નિર્ણાયક તબક્કે થાય છે, કારણ કે બે દિવસ પહેલા જ શ્રીનગરના સાંસદ આગા સૈયદ રુહુલ્લાહ મેહદીએ બડગામ જિલ્લા વહીવટીતંત્રને યુસમાર્ગને પ્રવાસીઓ માટે ફરીથી ખોલવા માટે ભારપૂર્વક વિનંતી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી, સુરક્ષા કારણોસર યુસમાર્ગના મુખ્ય ભાગોમાં સામાન્ય પ્રવાસીઓની અવરજવર પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.

સ્થાનિક હોટેલ માલિકો, ઘોડેસવારો અને માર્ગદર્શકો દ્વારા સામનો કરવામાં આવતી નાણાકીય મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, આ પ્રતિબંધોને પુનઃસ્થાપિત કરવા માટે સ્થાનિક વહીવટીતંત્ર અને રાજકીય પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. જો કે, આ વન પટ્ટામાં આતંકવાદી પ્રવૃત્તિના ઉદભવ, જેણે સુરક્ષા ગ્રીડનો ભંગ કર્યો છે, તેણે વહીવટ અને સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર મૂકી દીધા છે.

વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા
આ આતંકવાદ વિરોધી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને, બડગામ પોલીસે જિલ્લા સ્તરે તકેદારી વધારી દીધી છે. યુસમાર્ગ, ચરાર-એ-શરીફ અને નજીકના પખરપોરા માર્ગો પર મુસાફરી કરતા તમામ વાહનોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓને અપીલ કરી છે કે જ્યાં સુધી કાર્યવાહી સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી જંગલો અને ઉપરના ઢોળાવોથી દૂર રહે.

બિગ બોસ 20 Exclusive: ચાની કીટલી સોફામાં ફેરવાઈ ગઈ, ઓક્ટોપસમાં ચેસના ટુકડા, અંદરના ફોટો જુઓ

‘બિગ બોસ 20’ શરૂ થાય તે પહેલાં જ, ઘરની એક ઝલક સામે આવી છે. આ વખતે, ઘરને ખૂબ જ અલગ શૈલીમાં શણગારવામાં આવ્યું છે. ઘણી વસ્તુઓ પહેલી નજરે સામાન્ય લાગશે, પરંતુ નજીકથી નિરીક્ષણ કરવાથી, તેમની શૈલી સંપૂર્ણપણે અલગ દેખાશે. ઘરની આખી સજાવટ એક જ વસ્તુના બે અલગ અલગ પાસાઓ બતાવવાના વિચાર સાથે કરવામાં આવી છે.

ઘરમાં ઘણી વસ્તુઓ જોવા મળશે જે પહેલી નજરે સામાન્ય લાગી શકે છે, પરંતુ નજીકથી નિરીક્ષણ કરવાથી, તેમની શૈલી સંપૂર્ણપણે અલગ દેખાશે. ઘરની આખી સજાવટ એક જ વસ્તુને બે અલગ અલગ સ્વરૂપોમાં જોવાના વિચાર સાથે કરવામાં આવી છે. આ જ કારણ છે કે આ વખતે, ચાની કીટલી સોફા તરીકે જોવામાં આવશે, અને ઓક્ટોપસ ચેસના ટુકડા પકડતો જોવા મળશે.

કેટલ સોફામાં ફેરવાઈ ગઈ, ઓક્ટોપસ ચેસના ટુકડા પકડતો
ઘરની સૌથી આકર્ષક વિશેષતાઓમાંની એક મોટી ચાની કીટલી છે. પરંતુ આ કોઈ સામાન્ય કીટલી નથી. તે સોફા જેવું લાગે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, એટલે કે ચા પીવાને બદલે, તેનો ઉપયોગ બેસવા માટે કરી શકાય છે. તેવી જ રીતે, ઘરમાં એક મોટો ઓક્ટોપસ પણ જોવા મળશે, જેના હાથ પર ચેસના ટુકડા મૂકવામાં આવશે.

ચેસબોર્ડ ફક્ત સજાવટ માટે નથી. બિગ બોસની રમતમાં યોગ્ય સમયે યોગ્ય ચાલ કરવી મહત્વપૂર્ણ છે. તેથી, ઓક્ટોપસ અને ચેસનું આ મિશ્રણ ઘરની થીમ સાથે જોડાયેલું છે.

સ્પર્ધકો ગરમ હવાના ફુગ્ગા પર સવારી કરશે
ઘરમાં ગરમ ​​હવાનો ફુગ્ગો પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. જો કે, તે આકાશમાં ઉડતો દેખાશે નહીં. તેને બેસવાની જગ્યા તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે. વધુમાં, એક નળ બનાવવામાં આવ્યો છે, જેમાંથી પાણીને બદલે ફૂલો નીકળતા જોવા મળશે.

ઘરમાં આંખોના આકાર પણ બનાવવામાં આવ્યા છે, જે “બિગ બોસ” ના સૌથી વિશિષ્ટ પાસાને પ્રકાશિત કરે છે. ઘરમાં સ્પર્ધકોની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવે છે, અને કંઈ છુપાયેલું રહેતું નથી.

રૂમ નંબર 20 માં શું છે?

આ વખતે, રૂમ નંબર 20 પણ ઘરમાં બનાવવામાં આવ્યો છે. આ રૂમની અંદર શું છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આનો અર્થ એ છે કે શો શરૂ થયા પછી જ આપણને ખબર પડશે કે આ રૂમ વિશે કઈ ખાસ વાત છે, જેને નિર્માતાઓએ હાલ માટે છુપાવી રાખી છે, તે જાહેર થશે.

અમે દ્વૈતવાદનો વિચાર પ્રદર્શિત કરવા માંગતા હતા: આર્ટ ડિરેક્ટર વર્ષા જૈન
ઘરના આર્ટ ડિરેક્ટર વર્ષા જૈને આ સીઝનના ઘર પાછળની વિચારસરણી સમજાવી. તેમણે કહ્યું, “આ સીઝનના ઘરની ડિઝાઇન એવી દુનિયા બનાવવા વિશે હતી જે લોકોના વિચાર અને દ્રષ્ટિકોણને સતત પડકારતી રહે છે. અમે દ્વૈતવાદનો વિચાર પ્રદર્શિત કરવા માંગતા હતા. આ હાંસલ કરવા માટે, અમે એવી વસ્તુઓ અને પ્રતીકો પસંદ કર્યા જે પ્રેક્ષકો તરત જ ઓળખી શકે, પરંતુ તેમને સંપૂર્ણપણે અલગ રીતે રજૂ કર્યા. તેથી, ચાની કીટલી સોફા, ઓક્ટોપસ ચેસ પ્લેયર અને ગરમ હવાનો બલૂન બેસવાની જગ્યા બની ગઈ.” અમે બધું એવી રીતે ડિઝાઇન કર્યું છે કે તે પહેલી નજરે પરિચિત લાગે, પરંતુ નજીકથી નિરીક્ષણ કરવા પર, કંઈક અલગ દેખાય છે.

તેમણે ઉમેર્યું, “આખા ઘરમાં રાખેલી નજરો ફરીથી બિગ બોસના મૂળ ભાવના તરફ પાછા ફરે છે: અહીં કંઈ પણ અદ્રશ્ય રહેતું નથી. આખરે, અમારું લક્ષ્ય એક એવું ઘર બનાવવાનું હતું જ્યાં પ્રવેશ કરતી વખતે, તમને એવું લાગે કે તમે સ્વપ્નની દુનિયામાં પ્રવેશ કર્યો છે, જ્યાં વાસ્તવિકતા અને કલ્પના એક સાથે રહે છે, અને દરેક જગ્યાએ જોવા માટે કંઈક નવું હોય છે.”

મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફંડિંગ જરૂરિયાતો ઘટાડવા માટે SEBIએ નેટ સેટલમેન્ટનો પ્રસ્તાવ મૂક્યો

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ગુરુવારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને નેટ ધોરણે કેશ માર્કેટ ટ્રેડ્સ સેટલ કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ પગલાનો હેતુ ભંડોળની જરૂરિયાતો ઘટાડવાનો અને વેપાર સમાધાન પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે.

આ દરખાસ્ત હેઠળ, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને પણ તે જ સુવિધા મળશે જે SEBI એ આ વર્ષની શરૂઆતમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને આપી હતી.

નેટ સેટલમેન્ટ ભંડોળની જરૂરિયાતો ઘટાડશે
SEBI એ જણાવ્યું હતું કે આ દરખાસ્તનો હેતુ સેટલમેન્ટ કાર્યક્ષમતા વધારવાનો અને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે કામચલાઉ રોકડ આવશ્યકતાઓને ઘટાડવાનો છે. દરખાસ્ત હેઠળ, ભંડોળના ચોખ્ખા સમાધાનને ફક્ત એક જ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના સ્તરે મંજૂરી આપવામાં આવશે.

SEBI એ જણાવ્યું હતું કે નેટ સેટલમેન્ટ માટે લાયક વ્યવહારોમાં સિક્યોરિટીની ખરીદી અથવા વેચાણ શામેલ હોવું જોઈએ. સમાન સિક્યોરિટીમાં ખરીદી અને વેચાણ બંને વ્યવહારો નેટ સેટલમેન્ટ માટે પાત્ર રહેશે નહીં.

NSE ના પ્રી-ઓપન સેશનમાં ફેરફાર, માર્કેટ અને લિમિટ ઓર્ડર માટે અલગ ટાઈમિંગ, 7 સપ્ટેમ્બરથી નવા નિયમોનો અમલ

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) તેના પ્રી-ઓપન માર્કેટ સત્ર નિયમોમાં મોટા ફેરફારો કરી રહ્યું છે. 7 સપ્ટેમ્બરથી અમલમાં આવનાર નવું માળખું ઓર્ડર સ્વીકારવાની અને શેરની શરૂઆતની કિંમત નક્કી કરવાની પ્રક્રિયામાં ફેરફાર કરશે. જો કે, પ્રી-ઓપન સત્રનો સમય પહેલા જેવો જ રહેશે, સવારે 9:00 થી 9:15 વાગ્યા સુધી. નવા માળખા હેઠળ, ઓર્ડર કલેક્શન અને ભાવ શોધ પ્રક્રિયાને ક્લોઝિંગ ઓક્શન સત્રની નજીક લાવવામાં આવશે. આનો અર્થ એ છે કે પ્રી-ઓપન દરમિયાન ઓર્ડર આપવાની અને મેચ કરવાની પ્રક્રિયા બદલાશે. NSE જણાવે છે કે આ ફેરફારનો હેતુ પ્રી-ઓપન ઓક્શનને વધુ વ્યવસ્થિત બનાવવાનો અને દિવસની શરૂઆતમાં ભાવ શોધ પ્રક્રિયાને મજબૂત બનાવવાનો છે.

NSE પ્રી-ઓપન સત્રમાં શું ફેરફાર થશે?

નવા માળખા હેઠળ, પ્રી-ઓપન સત્રના પ્રથમ પાંચ મિનિટ દરમિયાન, સવારે 9:00 થી 9:05 વાગ્યા સુધી, માર્કેટ અને લિમિટ ઓર્ડર બંનેને મંજૂરી આપવામાં આવશે. આ પછી, સવારે 9:05 થી 9:10 વાગ્યા સુધી ફક્ત લિમિટ ઓર્ડરને મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ, સવારે 9:10 થી 9:12 વાગ્યા સુધી, ઓર્ડર મેચિંગ અને શેરની શરૂઆતની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થશે. આ વર્તમાન ઓર્ડર કલેક્શન અને મેચિંગ સિસ્ટમથી એક ફેરફાર છે. આનો અર્થ એ છે કે પ્રી-ઓપન સત્રમાં વેપાર કરતા વેપારીઓએ તેમના ઓર્ડરના સમય પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે, ખાસ કરીને જેઓ આ સમય દરમિયાન માર્કેટ ઓર્ડરનો ઉપયોગ કરે છે.

માર્કેટ-માર્કેટ ઓર્ડરને પ્રાથમિકતા મળશે
નવા નિયમો હેઠળ, પ્રી-ઓપન દરમિયાન ઓર્ડર મેચિંગ દરમિયાન માર્કેટ-માર્કેટ ઓર્ડરને પ્રાથમિકતા મળશે. વધુમાં, ઓર્ડર કલેક્શન, ઓર્ડર મેચિંગ અને કિંમત શોધની પ્રક્રિયાને અલગ-અલગ તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે. તેથી, વેપારીઓએ ઓર્ડર પ્લેસમેન્ટના સમય અને તે સમયે મંજૂરી આપવામાં આવેલા ઓર્ડરના પ્રકારોને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવું જોઈએ. ઓપનિંગ ઓક્શનમાં સક્રિય રીતે ભાગ લેનારા વેપારીઓને નવા નિયમોનું પાલન કરવા માટે તેમની પ્રી-માર્કેટ સ્ટ્રેટેજી અને ઓર્ડર પ્લેસમેન્ટ પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે.

પ્રી-ઓપન સિસ્ટમ ક્લોઝિંગ ઓક્શન જેવી જ હશે.

NSE તેના નવા પ્રી-ઓપન ફ્રેમવર્કને ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS) માં ઉપયોગમાં લેવાતી સિસ્ટમની નજીક લાવી રહ્યું છે. CAS નો ઉપયોગ કેશ સેગમેન્ટમાં શેરની ક્લોઝિંગ કિંમત નક્કી કરવા માટે થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ ઉપલબ્ધ હોય છે. ક્લોઝિંગ ઓક્શનમાં, બજાર બંધ થાય તે પહેલાં શેર ખરીદવા અને વેચવા માટેના ઓર્ડર એકત્રિત કરવામાં આવે છે, અને કિંમત નક્કી કરવામાં આવે છે. આને કોલ ઓક્શન મિકેનિઝમ કહેવામાં આવે છે.

7 સપ્ટેમ્બરથી આ સમય ધ્યાનમાં રાખો

  • નવા નિયમો નીચે મુજબ સરળતાથી સમજી શકાય છે:
  • 9:00-9:05 am: બજાર અને મર્યાદા ઓર્ડરને મંજૂરી છે.
  • 9:05-9:10 am: ફક્ત મર્યાદા ઓર્ડરને મંજૂરી છે.
  • 9:10-9:12 am: ઓર્ડર મેચિંગ અને ઓપનિંગ ભાવ નિર્ધારણ.
  • માર્કેટ-માર્કેટ ઓર્ડર: મેચિંગ દરમિયાન પ્રાથમિકતા.

જોકે, પ્રી-ઓપન સત્રનો કુલ સમયગાળો એ જ રહેશે, સવારે 9:00 થી સવારે 9:15 વાગ્યા સુધી. આ સમયગાળા દરમિયાન ફક્ત ઓર્ડર પ્લેસમેન્ટ અને મેચિંગ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તેથી, બજાર ખુલવાની આસપાસ ઓર્ડર આપતા વેપારીઓએ 7 સપ્ટેમ્બરથી અમલમાં આવનારા નવા સમય અને ઓર્ડર નિયમોને સમજવાની જરૂર પડશે જેથી ખાતરી કરી શકાય કે તેમને ઓર્ડર આપવામાં કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે અને તેમની વ્યૂહરચના નવી હરાજી સિસ્ટમ અનુસાર રહે.

ચોમાસામાં ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાયો, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; અંબાલાલ પટેલે પણ કરી મોટી આગાહી

ગુજરાતમાં ચોમાસું સક્રિય હોવા છતાં અનેક વિસ્તારોમાં ગરમી અને બફારાથી લોકો પરેશાન છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે, પરંતુ કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા હાલ ઓછી છે. બીજી તરફ, ભારતીય હવામાન વિભાગે આજે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઓડિશા, જમ્મુ-કાશ્મીર, આસામ અને કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. વરસાદ દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવા સહિતની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાન વિભાગે સાવચેતી રાખવાની સલાહ આપી છે. ખાસ કરીને ઓડિશા અને પશ્ચિમ બંગાળના માછીમારોને ખરાબ હવામાન દરમિયાન દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે હિમાલયના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની સંભાવનાને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા જણાવાયું છે.

ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે અને રાજ્યમાં ચાર જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં હાલ કોઈ શક્તિશાળી સિસ્ટમ જોવા મળી રહી નથી. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા છે.

રાજ્યમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા હોવાથી વરસાદ વચ્ચે પણ લોકોને ગરમી, બફારો અને ઉકળાટનો અનુભવ થઈ શકે છે. ચાલુ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં હજુ સરેરાશ 15 ટકા વરસાદની ઘટ છે. તેથી આગામી દિવસોમાં થનારો હળવો વરસાદ આ ખાધ પૂરી કરવા માટે પૂરતો સાબિત થાય તેવી શક્યતા ઓછી છે.

27 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો નથી.

ઉમરપાડામાં સૌથી વધુ 0.59 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ અરેઠમાં 0.24 ઇંચ, સાગબારામાં 0.16 ઇંચ અને રાજુલામાં 0.12 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 75.43 ટકા વરસાદ નોંધાયો છે. પ્રદેશવાર વાત કરીએ તો કચ્છમાં 29.49 ટકા, ઉત્તર ગુજરાતમાં 56.23 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 74.92 ટકા, સૌરાષ્ટ્રમાં 56.04 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 103.91 ટકા વરસાદ નોંધાયો છે.

અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમના અનુમાન મુજબ 3થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે.

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી લઈને આશરે 3 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં હળવાથી લઈને 3થી 4 ઇંચ સુધી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

આમ, હાલ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ ન હોવા છતાં આગામી દિવસોમાં કેટલીક જગ્યાએ વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. બીજી તરફ દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ સાથે તેજ પવનની ચેતવણીને પગલે સ્થાનિક તંત્ર અને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

તેલંગાણા: મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ મોટી કાર્યવાહી કરી, વનમંત્રી કોંડા સુરેખાને મંત્રીમંડળમાંથી હટાવ્યા, પુત્રીનું નિવેદન બન્યું કારણભૂત

તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ વનમંત્રી કોંડા સુરેખાને મંત્રીમંડળમાંથી હટાવી દીધા છે. સુરેખાની પુત્રી કોંડા સુષ્મિતા દ્વારા કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લગતા વિવાદ વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી છે. શાસક કોંગ્રેસના ધારાસભ્યોએ કોંડા સુરેખા પાસેથી માફીની માંગ કરી હતી, જેમણે ત્યારબાદ પાર્ટી સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. રાજ્ય કોંગ્રેસ શિસ્ત સમિતિએ કોંડા સુરેખા સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ કર્યાના થોડા દિવસો પછી જ આ ઘટનાક્રમ સામે આવ્યો છે.

નવી દિલ્હીમાં બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો
કોંડા સુરેખા સામે આ કાર્યવાહી દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સાથેની બેઠક બાદ કરવામાં આવી છે. કોંગ્રેસે મંગળવારે કોંડા સુરેખાને આ મામલાના ઉકેલ માટે દિલ્હી બોલાવ્યા હતા. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉપરાંત, મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને નાયબ મુખ્યમંત્રી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચ્યા હતા.

શિસ્ત સમિતિએ 25 ઓગસ્ટે પોતાનો અહેવાલ રજૂ કર્યો 

TPCC શિસ્ત સમિતિએ 25 ઓગસ્ટના રોજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. એવું માનવામાં આવે છે કે સમિતિએ સુરેખાને મંત્રીમંડળમાંથી દૂર કરવાની ભલામણ કરી હતી. સુરેખા સામે કાર્યવાહી તેમની પુત્રીની ટિપ્પણીઓને કારણે કરવામાં આવી હતી, જે પક્ષ અને તેના નેતૃત્વ માટે હાનિકારક માનવામાં આવી હતી. શિસ્ત સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે સુરેખાએ તેમની પુત્રી કોંડા સુષ્મિતા દ્વારા મુખ્યમંત્રી રેવંત રેડ્ડી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓની જાહેરમાં નિંદા કરવી જોઈતી હતી. સમિતિએ એમ પણ કહ્યું હતું કે સુરેખા પર પાર્ટી શિસ્ત ભંગ કરવાનો આરોપ પહેલી વાર નથી લાગ્યો.

સુરેખાએ તેમની પુત્રીના નિવેદનથી પોતાને દૂર રાખ્યા
અગાઉ, શિસ્ત સમિતિ દ્વારા જારી કરાયેલ કારણ બતાવો નોટિસના જવાબમાં, સુરેખાએ વારંગલ જિલ્લાના પારકલામાં એક કાર્યક્રમ દરમિયાન તેમની પુત્રી સુષ્મિતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓથી પોતાને દૂર રાખ્યા હતા. મંત્રીએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિરુદ્ધ તેમની પુત્રીની ટિપ્પણીઓ માટે તેમને રાજકીય રીતે જવાબદાર ન ઠેરવવા જોઈએ. તેમણે કહ્યું હતું કે આ તેમની પુત્રીના વ્યક્તિગત વિચારો છે. સુરેખાએ શિસ્ત સમિતિને તેમને આપવામાં આવેલી કારણદર્શક નોટિસ પાછી ખેંચવા વિનંતી પણ કરી.

જાણીતા ગુજરાતી સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, કલા જગતમાં શોકની લાગણી

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંગીત ક્ષેત્રે જાણીતુ નામ એટલે ગૌરાંગ વ્યાસ. 100થી વધારે ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપનાર ગૌરાંગ વ્યાસે અમદાવાદમાં 2 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા છે. ગુજરાતી ફિલ્મોના અનેક એવા પોપ્યુલર ગીત આજે લાખો લોકો સુધી પહોંચ્યા એમાં સંગીત ક્ષેત્રમાંથી એમનો ફાળો ખૂબ મોટો છે. એમના નિધનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સંગીત ક્ષેત્રે જોડાયેલા લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

જાણીતા સંગીતકાર સ્વ. અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસને સંગીતના સૂર જાણે વારસામાં મળ્યા હતા. પોતાની અલગ રાહ કંડારીને તેમણે પણ પિતાની માફક ગુજરાતી ગીતમાં પોતાના એવા સૂર રેડી દીધા કે, આજે કેટકેટલાય જાણીતા ગીતમાં એમનું સંગીત વાગે છે. માત્ર ફિલ્મ સંગીતની વાતથી એમની મ્યુઝિકલ જર્ની અટકતી નથી, સુગમ સંગીત, લોકસંગીત, રાસ-ગરબા તથા અન્ય ક્ષેત્રમાં પણ સંગીત ક્ષેત્રે અમૂલ્ય એવું યોગદાન આપ્યું છે. ગુજરાતી ગીત-ગઝલની 500થી વધારે રચનાઓમાં શબ્દોને સંગીતના લય-રીધમમાં પોરવીને એકથી એક બહેતરીન ગીત આપ્યા છે.

સત્યનાટિકા, TV, લોકસંગીત અને ભજનમાં પણ એમના સંગીતની એક અલગ ઓળખ રહી છે. ‘જલારામની ઝુંપડી’, ‘ભજન અનમોલ’, ‘ગંગા સતીનાં ભજનો’, ‘કહત કબીર’, ‘જલારામ બાપાનું હાલરડું’, ‘પ્રાચીન પ્રભાતિયાં’ જેવા આલ્બમ આજે પણ એક આખી પેઢીના ફેવરીટ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્વાંજલિ આપતી છે. અનેક કલાકારો અને હસ્તીઓ સદ્દગતની સંગીત સાધનાને યાદ કરી લખ્યું કે ગૌરાંગ વ્યાસ આપણી વચ્ચે રહ્યા નથી પણ એમના સંગીતનો વારસો એક પેઢી માટે અમર રહેશે. ‘ભવની ભવાઈ’, ‘લાખો ફુલણજી’ જેવી જાણીતી ફિલ્મોમાં એમનું સંગીત આજે પણ લોકો માટે યાદગાર છે. એમના નિધનથી ગુજરાતી ફિલ્મ અને સંગીતને ન ભરી શકાય એવી ખોટ પડી છે. અવિનાશ વ્યાસના સંગીતના વારસાને એક અલગ ઊંચાઈ આપી અને એમાં પોતાનો સ્પર્શ આપીને એકથી એક કર્ણપ્રિય સૂર આપ્યા છે. ગૌરાંગ વ્યાસની વિદાય એ સંગીત ક્ષેત્રે એક સૂરનો અંત માની શકાય. ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું ગીતમાં એમનું સંગીત હતું.