સુરત અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટદાર શાસન, ચૂંટાયેલી પાંખની મુદ્દત પૂર્ણ, સુરતમાં મિલિંદ તોરવણે અને વડોદરામાં શાલિની અગ્રવાલની વહીવટદાર તરીકે નિમણૂંક

ગુજરાત સરકારે મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો કરતા મિલંદ તોરવણેને સુરત મહાનગરાપાલિકા(SMC) ના વહીવટદાર તરીકે નિમણૂક કરી છે. સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર તરીકે કામ કરી ચૂકેલા તોરવણેને ફરી સુરત મહાનગર પાલિકાની વહીવટની જવાબદારી સોંપવામાં આવી છે. સુરત મહાનગરાપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખની મુદ્દત 10મી માર્ચે પૂર્ણ થતાં રાજ્ય સરકારે નવી ચૂંટણીઓ સુધી વહીવટદાર શાસન લાગુ કર્યું છે.

સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય હેઠળ સુરતના પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલને વડોદરા મહાનગરપાલિકા (VMC) ના વહીવટદાર તરીકે મુકવામાં આવ્યા છે.

મિલિંદ તોરવણે અગાઉ સુરતમાં કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને વિકાસ પ્રોજેક્ટોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે વહીવટદાર તરીકે તેઓ શહેરના વિકાસકાર્યોને વધુ ઝડપ આપશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બીજી તરફ, શાલિની અગ્રવાલે સુરત મહાનગર પાલિકામાં કમિશનર તરીકે કાર્યકાળ દરમિયાન અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટોને આગળ ધપાવ્યા હતા. હવે તેમને વડોદરા મહાનગર પાલિકાના વહીવટની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યાં તેઓ શહેરના શહેરી વિકાસ અને નાગરિક સુવિધાઓમાં સુધારો લાવવા પર ધ્યાન આપશે.

રાજ્ય સરકારના આ વહીવટી ફેરફારોને કારણે બંને શહેરોના વહીવટમાં નવી દિશા અને ગતિ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે પણ આ નિર્ણય અંગે ચર્ચા ચાલી રહી છે અને બંને અધિકારીઓ પાસેથી વિકાસકાર્યોને વધુ અસરકારક રીતે આગળ વધારવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.