ઈઝરાયલ-ઈરાન-અમેરિકા યુદ્ધની અસર: ઘરેલુ ગેસનો બાટલો 60 રૂપિયા મોંઘો, કોમર્શિયલમાં 115 નો વધારો ઝીંકાયો

ઈઝરાયલ-ઈરાન-અમેરિકા વચ્ચે ચાલતા યુદ્ધની અસર રસોડે પહોંચી છે, અને એલપીજીના ભાવ વધ્યા છે. આથી મોંઘવારીનો રાક્ષસ ધૂણ્યો છે. ઘરેલુ બાટલામાં તાત્કાલિક અસરથી 60 નો તો કોમર્શિયલમાં 115 નો ભાવવધારો થયો છે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતમાં લોકોના ગજવા પર ભાર વધવાની શરૂઆત થઈ છે, કારણ કે ભારતમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. નવા ભાવ 7 માર્ચ 2026 થી લાગુ ગણાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે અને 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારા પછી દિલ્હીમાં એલપીજી સિલિન્ડરના નવા ભાવ 913 રૂપિયા અને 1883 રૂપિયા થઈ છે.

દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનએ રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે, જેનાથી સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે.

આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 7 માર્ચ 2026 થી જ અમલી બની ગયા છે.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2025 ૫છી ઘરેલુ સિલિન્ડરના ભાવમાં આ પ્રથમ વધારો છે.

પ્રાપ્ત થતા અહેવાલલો મુજબ સરકારે સરકારી તેમજ પ્રાઈવેટ બન્ને એલપીજી રિફાઈનરીઓને પ્રોડક્શન વધારવા આદેશ આપ્યા હતાં. ઈરાન યુદ્ધના કારણે દુનિયાભરમાં એનર્જી સંકટ વધી શકે છે જે આશંકાને ધ્યાનમાં રાખી સરકારે ઉત્પાદન વધારવા આદેશ કર્યા હોવાનું સામે આવ્યું છે.

જો કે, કેન્દ્રિય મંરી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે, ભારતમાં એનર્જી ક્રાઈસિસ નહીં સર્જાય તો સૂત્રોના જણાવ્યાનુસાર ભારત સારી સ્થિતિમાં છે અને દેશમાં કાચા તેલ, પેટ્રોલ, ડીઝલ અને એલપીજી જેવા પેટ્રોલિયમ પ્રોડક્ટનો ઘણો સ્ટોક છે.

મેટ્રો શહેરોમાં 14.2 કિલોના સિલિન્ડર ભાવો જોઈએ તો દિલ્હી 853 થી વધીને 913, કોલકાતા 879 થી વધીને 930, ચેન્નાઈ 868.50 થી વધીને 928.50 થયા છે, જ્યારે કોમર્શિયલ સિલિન્ડરમાં દિલ્હીમાં હવે 1883 અને મુંબઈમાં 1835 થયો છે.

બીજી તરફ કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, દેશમાં ઊર્જા અને ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગ્રાહકોએ પુરવઠામાં અવરોધ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે સરકાર સસ્તુ અને ટકાઉ ઈંધણ પૂરૃં પાડવા માટે કટિદ્ધ છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા પણ દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાના અહેવાલોને અફવા ગણી ફગાવી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સપ્લાય ખોરવાવાની આશંકા હોવા છતાં ભારત અત્યારે ‘કમ્ફર્ટેબલ’ સ્થિતિમાં છે. ભારત પાસે વિવિધ સ્ત્રોતોમાંથી એટલો એનર્જી સપ્લાય ઉપલબ્ધ છે કે જે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પ્રભાવિત થનારા જથ્થા કરતા ઘણો વધારે છે, જો કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને ગેસના વધતા ભાવોની અસર કિંમતો પર જોવા મળી રહી છે.