સુપ્રીમ કોર્ટમાંથી ચૂંટણી પંચને મોટી રાહત મળી છે, જેમાં સુપ્રીમ કોર્ટે ઈવીએમ મશીનો સાથે વીવીપેટ સ્લિપના ૧૦૦ ટકા મેચિંગની માંગ કરતી સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું કે ‘અરજીમાં આપવામાં આવેલા આધારને ધ્યાનમાં લીધા પછી અમે માનીએ છીએ કે ર૬ એપ્રિલના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો કોઈ મામલો બનતો નથી.’
ઉલ્લેખનિય છે કે, ર૬ એપ્રિલે સુપ્રીમ કોર્ટે વીવીપેટ અને ઈવીએમ મશીનની સ્લિપના ૧૦૦ ટકા મેચિંગની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આ અરજીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી, જેને પણ સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી હતી. અરૂણ કુમાર અગ્રવાલ દ્વારા રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમણે અગાઉ પણ આ મુદ્દે પીઆઈએલ દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અરૂણ કુમાર અગ્રવાલે તેમની સમીક્ષા અરજીમાં દલીલ કરી હતી કે ર૬ એપ્રિલના નિર્ણયમાં ભૂલો હતી. આ ઉપરાંત કહેવામાં આવ્યું હતું કે કાઉન્ટિંગ હોલની હાલની સીસીટીવી દેખરેખ એ સુનિશ્ચિત કરશે કે વીવીપેટ સ્લિપની ગણતરીમાં કોઈ અનિયમિતતા નથી.
સુપ્રીમ કોર્ટ જારી કરાયેલ બીજો નિર્દેશ એ છે કે ઉમેદવારો પાસે પરિણામ જાહેર થયા પછી એન્જિનિયર્સની ટીમ દ્વારા ઈવીએમના માઈક્રોકન્ટ્રોલર પ્રોગ્રામ તપાસવા માટેનો વિકલ્પ મળશે, જેના માટે પરિણામો જાહેર થયાના સાત દિવસની અંદર અરજી કરવાની રહેશે. ચૂકાદો આપતી વખતે જસ્ટિસ દીપાંકર દત્તાએ જણાવ્યું હતું કે, ‘જ્યારે સંતુલિત પરિપ્રેક્ષ્ય મહત્ત્વપૂર્ણ છે, પરંતુ સિસ્ટમ પર અર્થવિહિન શંકા કરવી તે યોગ્ય નથી’. કોર્ટે જણાવ્યું હતું કે, પોલિંગ મશીનોના લાભો પર શંકાનું બીજ વાવી ફરી પાછા બેલેટ પેપરની ભલામણ કરવાનો વિચાર કરી શકાય નહીં.
ચૂંટણી પંચે કોર્ટના પ્રશ્નોના જવાબ આપતા રિપોર્ટ પણ રજૂ કર્યા હતાં, જેમાં ચૂંટણી પેનલના અધિકારીઓની પેનલ પાસેથી ઈવીએમના ફંક્શન, સંચાલન અને માઈક્રોકંટ્રોલર તથા રિપ્રોગ્રામેબલ સહિતના ફીચર્સ અને સંચાલન સંબંધિત પાંચ પ્રશ્નોના જવાબ આપવા અપીલ કરી હતી.