કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી રહ્યા હોવાના સમાચારો વચ્ચે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહીલની પ્રતિક્રિયા આવી છે. શક્તિસિંહ ગોહીલે ોઆખીય વાતને દુર્ભાગ્યપૂર્ણ અને વિચારધારાથી વિપરીત ગણાવી છે.
શક્તિસિંહ ગોહીલે ટેલિફોન પર કહ્યું કે અર્જુનભાઈને કોંગ્રેસમાં સંપૂર્ણ માન સન્માન આપવામાં આવતું હતું. તેમને મનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. ગઈકાલે પણ તેઓ ગોધરામાં પાર્ટીના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મોવડીમંડળ ઉપરાંત ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક પણ તેમના સંપર્કમાં હતા અને તેમને સમજાવી મનાવી લેવાના ભરચક પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ હવે તેમણે વ્યક્તિગત નિર્ણય કર્યો છે તો કોંગ્રેસ છોડીને ભાજપમાં જવા અંગે તેઓ પોતે જ ચોક્કસ વિગતો આપી શકે છે.
તેમણે કહ્યું કે અર્જુનભાઈ કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત હતા અને કોંગ્રેસની વિચારધારામાં ચૂસ્તપણે માનતા હતા. તેમના જેવા વરિષ્ઠ કોંગ્રેસીનું કોંગ્રેસ છોડવા અંગેનું પગલું ન માની શકાય એમ છે. વિચારધારાથી વપરીત પાર્ટીમાં જઈ રહ્યા છે ત્યારે ચોક્કસપણે આશ્ચર્ય થાય છે. રામ મંદિરના મુદ્દા અંગે કોંગ્રેસના વલણના વિરોધમાં અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી રહ્યા છે એ અંગે પણ શક્તિસિંહ ગોહીલે અર્જુનભાઈને પૂછો એવું કહ્યું હતું.