રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાના ઈનપુટ મળતા સુરક્ષા વધારાઈ

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનની ધૌલપુર સરહદથી મધ્યપ્રદેશના મોરેનામાં પ્રવેશ કરશે, જો કે આ દરમિયાન નાસિક પોલીસને રાહુલ ગાંધીને તેમના પિતા રાજીવ ગાંધીની જેમ બોમ્બથી ઊડાવી દેવામાં આવશે તેવા ઈનપુટ મળ્યા છે.

મહારાષ્ટ્રના નાસિક પોલીસને એવા ઈનપુટ મળ્યા છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર તેમની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બોમ્બથી હુમલો કરવામાં આવશે. આ ઈનપુટ મળ્યા પછી કેન્દ્રિય ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દીધી છે. આ ઉપરાંત દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ પોલીસને રાહુલ ગાંધીની સુરક્ષા વધુ કડક કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઝેડ પ્લસ સુરક્ષા સાથે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરી રહી છે. આ અંગે દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયના આદેશ પછી ર૪ અકબર રોડ સ્થિત તેમના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ સાથે તેમના નિવાસસ્થાન પાસે પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. તેમના ઘરની નજીક પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્પેશિયલ સેલના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર ગૃહમંત્રાલયે મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસને ઈનપુટ ચેક કરવાનો આદેશ આપ્યો છે. રાહુલ ગાંધી પર હુમલાને લઈને મળેલા ઈનપુટ કેટલા ગંભીર છે તે બન્ને રાજ્યોની પોલીસ શોધી રહી છે. તપાસ માટે વિશેષ સેલ પણ તૈનાત કરવામાં આવ્યો છે.