ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર

રાજ્યના સરકારી નોકરિયાતો માટે સારા સમાચાર બહાર આવ્યા છે. જુલાઈ 2023 થી રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને 1 જુલાઈ, 2023થી કેન્દ્રીય ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના કુલ 4.45 લાખ કાર્યરત કર્મચારીઓ અને લગભગ 4.63 લાખ નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનરો છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મચારીઓને અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

આપને જણાવી દઈએ કે માહિતી પ્રમાણે, 1 જુલાઈ, 2023 થી ફેબ્રુઆરી-2024 સુધીના 8 મહિના માટે મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે તેમ જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મચારીઓને ચૂકવવામાં આવશે. કર્મચારીઓની માંગણીઓને પ્રતિસાદ આપતા રાજય સરકારે નવી વર્ધિત-પેન્શન યોજના એન.પી.એસ.માં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે એન.પી.એસ. અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે 14 ટકા ફાળો આપશે.

આ બે મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓને એલ.ટી.સી. માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે. આ કર્મચારી હિતકારી નિર્ણયોના અમલ અંગે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે