ગુજરાતમાં 200 પોલીસ સ્‍ટેશનોનું અપગ્રેડેશન, એક્‍સપર્ટની ભરતી, 200 આઉટપોસ્‍ટ અપગ્રેડ કરી પી.એસ.આઇ. સ્‍તરની કરાશે

ગુજરાતના પોલીસ તંત્રનું મજબુતીકરણ અને આધુનિકીકરણ કરવાના ભાગરૂપે અને લોકોને ઝડપી સુરક્ષા અને શાંતિ પ્રાપ્‍ત થાય તે હેતુસર રાજ્‍યના તમામ પોલીસ સ્‍ટેશનોને અપગ્રેડ કરવાની જાહેરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે કરી છે. તેમણે જણાવ્‍યુ છે કે, રાજ્‍યના તમામ પોલીસ સ્‍ટેશનોમાં હવે પી.આઇ. કક્ષાના અધિકારીની નિમણુંક કરવામાં આવશે. અત્‍યારે શહેર અને જિલ્લામાં પોલીસ સ્‍ટેશનોમાં હાલ જ્‍યાં પી.એસ.આઇ. કક્ષાના વર્ગ-૩ના કર્મચારીઓ છે તેમના સ્‍થાને પી.આઇ. કક્ષાના વર્ગ-૨ના અધિકારીઓ મુકાશે. દરેક પોલીસ સ્‍ટેશનોનું અપગ્રેડેશન કરવા નિર્ણય લેવાયો છે.

ગૃહમંત્રીએ આજે વધુમાં જણાવ્‍યુ હતુ કે, રાજ્‍યની કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ મજબુત રહે તે માટે ચાલુ વર્ષે ૨૦૦ જેટલા પોલીસ સ્‍ટેશનોને અપગ્રેડ કરવા સરકારે નિર્ણય લીધો છે. એટલું જ નહીં, દરેક પોલીસ સ્‍ટેશનમાં એક એક્‍સપર્ટની નિમણુંક કરવામાં આવશે. જે અંતર્ગત ૬૦૦ જેટલા એક્‍સપર્ટની ભરતી કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્‍યુ હતું કે, રાજ્‍યમાં આવેલ ૨૦૦ જેટલી આઉટપોસ્‍ટને અપગ્રેડ કરી પી.એસ.આઇ. સ્‍તરની કરવામાં આવશે. લોકોને જરૂર પડે ત્‍યારે ૧૧૨ નંબર ડાયલ કરવાથી પોલીસની ક્‍વીક રિસ્‍પોન્‍સ ટીમ ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૨૦ મિનીટમાં અને શહેરી વિસ્‍તારમાં ૧૦ મિનીટમાં પહોંચી જશે. ૧૧૦૦ નવા વાહનો સાથે ટેક્‍નોલોજી આધારીત નવું નેટવર્ક ગોઠવાશે.

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનગૃહમાં ગૃહ વિભાગની કામગીરી બાબતે જણાવ્‍યુ હતું કે, ગુજરાત પોલીસ ખુબ જ નિષ્‍ઠાપૂર્વક કામગીરી કરી રહી છે.

આજે પોલીસ તંત્રથી રાજ્‍યની પ્રજા ખુશ છે. ભુતકાળમાં કાયદો વ્‍યવસ્‍થા આજે પણ પ્રજા યાદ કરે છે. પોલીસ વિભાગ આજે પણ ખુબ જ નિષ્‍ઠાથી કામગીરી કરી રહી છે. આજે પોલીસ તંત્ર પાસે અદ્યતન સુવિધાઓ ઉપલબ્‍ધ છે. આજે પોલીસ પ્રજા વચ્‍ચે રહી છે.

રાજ્‍યના મુખ્‍ય સચિવ, નાણા સચિવના અધ્‍યક્ષસ્‍થાને કમિટી રચવામાં આવી રહી છે. તે કમિટીના સુચન પ્રમાણે કામગીરી ચાલી રહી છે. ગુજરાતના તમામ પોલીસ સ્‍ટેશનો સતત કાર્યશીલ રહે તેના પર પુરતુ ધ્‍યાન આપવામાં આવશે. રાજ્‍યમાં મોટી સંખ્‍યામાં પોલીસ તંત્રમાં ભરતી કરવામાં આવશે.