ગઈકાલથી રાજ્યમાં કેટલાક સ્થળે મેઘકૃપા શરૃ થઈ છે, અને આજ સવારથી પણ ઘણાં શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વલસાડમાં ૬ ઈંચ વરસાદ થયો છે. તે ઉપરાંત સુરત, ભીલોડા સહિત અનેક સ્થળોએ વરસાદ પડી રહ્યો હોવાનું જાણવા મળે છે. અનેક સ્થળે જલભરાવ થયો છે.
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી છે જેમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દ. ગુજરાતમાં વરસાદ ખાબકશે તેમજ આજે સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે તથા ૧ જુલાઈએ નવસારી, વલસાડ, દિવમાં વરસાદ પડી શકે છે.
ઉલ્લેખનિય છે કે, ર જુલાઈએ દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુરમાં તેમજ ૩ જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, કચ્છમાં પણ વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજા મોડી રાતથી જ ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ વલસાડ શહેરમાં ૬ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે, તો પારડીમાં પણ સાડાત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ વાપીમાં પણ દોઢ ઈંચ અને કપરાડા અને ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે.
ગુરુવારે સવારે ૬ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૪૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે શહેરમાં જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાના પારડી અને વાપીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
અનેક સ્થળોએ ભારે વરસાદને પગલે વહેલી સવારે સ્કૂલે જતા બાળકો અને નોકરી-ધંધા પર જતા લોકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાતભર મેઘરાજાએ વલસાડ શહેરને ધમરોડ્યું હતું, જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું. ૨૪ કલાકમાં પડેલો વરસાદઃ ગુરુવારે સવારે ૬ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૪૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ શહેરમાં ૧૫૯ એમ.એમ. નોંધાયો છે. પારડીમાં ૮૯ એમ.એમ., મહુવામાં ૫૬ એમ.એમ., ગારીયાધરમાં ૪૮ એમ.એમ., વાપીમાં ૩૬ એમ.એમ. વરસાદ પડ્યો છે.
આજે સુરતમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. વરાછા એ ઝોનમાં સવારથી ધોધમાર વરસાદ શરૃ થયો હતો. જેથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના અન્ય ઝોનમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા શહેરના અને આસપાસના ખેડૂતોને રાહતની લાગણી થઈ છે. ધીમી ધારે વરસતા વરસાદને લઈને ખેડૂતો કાચુ સોનું વરસી રહ્યાની લાગણી અનુભવી રહ્યા છે, જો કે હજુ પણ જોઈએ તેવો ધોધમાર અને હેલી સ્વરૃપે વરસાદ ન વરસતો હોવાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે. હાલ વરસી રહેલો વરસાદ ઊભા પાક માટે આશીર્વાદ સમાન હોવાનું ખેડૂતો કહી રહ્યા છે.
અરવલ્લીના ભિલોડામાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે. જેમાં લીલછા, મલશા, માકરોડા, નવા ભવનાથમાં વરસાદ પડ્યો છે. તેમજ ભિલોડામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તથા ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
તેમજ ભિલોડા નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં અસહ્ય ઉકળાટ પછી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તેમજ ધરતીપુત્રોમાં ખેતીલાયક વરસાદથી ખુશી ફેલાઈ છે. જેમાં માલપુરમાં પણ વહેલી સવારે વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧ જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદ પડશે અને ૧ જુલાઈ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે.
૩૦ જૂનથી ૩ જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંત ઉત્તર ગુજરાતના લોકો માટે એક ખુશખબર મળી રહ્યા છે. હવામાન વિભાગે ૧ જુલાઈ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે.
હવામાન વિભાગના મતે વલસાડ, નવસારી, સુરત, દમણમાં વરસાદ પડી શકે છે. આગામી ૨ દિવસ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લાવશે. એટલું જ નહીં, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં પ્રતિ કલાક ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસશે મૂશળધાર વરસાદ તો દક્ષિણ ગુજરાતના સુરત,વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા રથયાત્રાના દિવસને લઈને એક મહત્વપૂર્ણ આગાહી કરી છે.
રથયાત્રાના દિવસે વરસાદ રહેશે કે નહીં તેને લઈને હવામાન વિભાગે એક આગાહી કરી છે. આગાહી પ્રમાણે એવું જણાવવામાં આવ્યું છે કે, રથયાત્રામાં ભારે વરસાદનું વિઘ્ન નહીં સર્જાય. પરંતુ અમી છાંટણા થઈ શકે છે. એટલું જ નહીં, અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો અને સામાન્ય વરસાદ રહી શકે છે. તેમજ પવનની ગતિ પણ સામાન્ય રહેશે. રથયાત્રામાં વરસાદના વધામણાં થતા યાત્રાની રોનકમાં વધારો થશે.