મુંબઈ-વડોદરા એક્સપ્રેસ-વેના નિર્માણ કાર્ય માટે પાલઘર, થાણે સહિત રાયગઢ જિલ્લામાં 80,000થી વધારે વૃક્ષ અને વન વિભાગની 315 હેક્ટરથી વધારે જમીનનું નિકંદન કરવામાં આવશે, એમ નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચઆઈએ)એ જણાવ્યું હતું. આગામી બે મહિના દરમિયાન વન વિભાગની જમીનનો સફાયો કરવાનું ચાલુ કરવામાં આવશે, જ્યારે બાકીની જમીન પરના મેનગ્રોવ્ઝના નિકંદન માટે બોમ્બે હાઈ કોર્ટ તથા વન વિભાગ (પહેલા તબક્કાની યોજના અંતર્ગત) તરફથી મંજૂરી લેવાનું પેન્ડિંગ રહેશે.
નેશનલ હાઈવેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (એનએચડીપી)ના બીજા અને છઠ્ઠા તબક્કા અંતર્ગત મુંબઈ-વડોદરા વચ્ચેના 379 કિલોમીટરમાં આઠ લેનના એક્સપ્રેસવેનું નિર્માણ કરવાની યોજના છે, તેનાથી મુંબઈ-વડોદરા વચ્ચેના ટ્રાવેલ ટાઈમ ચાર કલાક થશે. અલબત્ત, નેશનલ હાઈવેઝ (એનએચ-આઠ) પરથી પસાર થનારા બંને શહેર વચ્ચે બાય રોડ ટ્રાવેલ ટાઈમ સાત કલાક લાગે છે. પ્રોજેક્ટમાં વન વિભાગની પ્રસ્તાવિત જમીનમાંથી પહેલા ભાગ પૈકી પાલઘર જિલ્લામાં તલાસરીથી વસઈ 193 હેક્ટર તથા 3.95 હેક્ટર મેન્ગ્રોવ્ઝનો સમાવેશ થાય છે.
બીજા ભાગમાં રાયગઢ જિલ્લામાં જવાહરલાલ નહેરુ પોર્ટ અને વસઈ વચ્ચેની જમીનનો 112 હેક્ટર જમીનનો સમાવેશ થાય છે. એનએચઆઈએના અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્જ ઓથોરિટી, દહાણુ તાલુકા એન્વાયર્મેન્ટ પ્રોટેક્શન ઓથોરિટી તરફથી વસઈ-તલાસરી વચ્ચેની જમીન(પહેલા તબક્કા)ની મંજૂરી મળી ગઈ છે. આમ છતાં 1,000 મેન્ગ્રોવ્ઝના નિકંદન માટે બોમ્બે હાઈ કોર્ટ તરફથી મંજૂરી લેવાની રહેશે. આ મુદ્દે ત્રણથી ચાર સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી તથા આગામી વધુ સુનાવણીમાં મંજૂરી મળવાની પણ અપેક્ષા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 379 કિલોમીટરનો એક્સપ્રેસવે આઠ લેનનો હશે, જ્યારે બાય રોડના ટ્રાવેલમાં પણ બેથી ત્રણ કલાકનો ઘટાડો થશે. ત્રણ તબક્કામાં કામકાજ પાર પાડવામાં આવશે, જ્યારે પ્રસ્તાવિત કામકાજની સાથે 90,899 વૃક્ષને વાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જ્યારે 1.91 લાખ પ્લાન્ટ (વૃક્ષો કાપવાના બદલારૂપે) વાવવામાં આવશે.