બળાત્કાર અને યૌન શોષણના મામલામાં જેલમાં બંધ આસારામના અનુયાયીઓ આજે પણ આસારામની ભક્તિ કરે છે. જોકે યુપીના શાહજહાંપુરમાં આસારામના અનુયાયીઓને સત્સંગ કાર્યક્રમ દરમિયાન આસારામનો ફોટો મુકીને આરતી ઉતારવાનુ ભારે પડી ગયુ છે.
આ ઘટનામાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. ભાજપના જ એક નેતાએ આરતીનો વીડિયો બનાવ્યો હતો અને પોલીસને ફરિયાદ કરી હતી. એ પછી પોલીસે કાર્યવાહી કરી હતી. શુક્રવારે સત્સંગ ચાલી રહ્યો હતો ત્યારે જ પોલીસ તેમને પકડવા માટે પહોંચી હતી અને એ પછી આસારામના અનુયાયીઓએ હંગામો મચાવતા પોલીસે વધારાની ફોર્સ મંગાવી હતી અને પાંચ લોકોની સામે કેસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રેપ અને યૌન શોષણના મામલામાં આસારામને આજીવન કેદની સજા થઈ છે અને તે જોધપુર જેલમાં છે. પોલીસનુ કહેવુ છે કે, કાર્યક્રમ માટે પરવાનગી પણ નહોતી લેવાઈ અને કલમ ૧૪૪નો પણ ભંગ કરાયો હતો અને તેના કારણે પાંચ આયોજકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.