સંપત્તિ વિવાદ અંગે રાજકોટ રાજવી પરિવારનો મોટો ખૂલાસો, જાણો માંધાતાસિંહે શું કહ્યું….

રાજકોટના રાજપરિવારની મિલકતને લઈને જે વાતો ચાલી રહી છે તે અંગે રાજકોટના ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પત્રકાર પરિષદમાં જે કંઈ પણ જેમના દ્વારા કહેવામાં આવ્યું છે એ બિનજરુરી અને તદ્દન પાયા વગરનું છે. આમ તો આ મામલો જ પરિવારનો છે એને જાહેરમાં લઈ જવાની જરુર નથી અને એના કરતાં પણ અગત્યનું એ છે કે જે વિગતો રણશૂરવીરસિંહ જાડેજાએ જાહેર કરી છે એ સત્યથી તદ્દન વેગળી છે.

માંધાતાસિંહએ આજે એક યાદીમાં જણાવ્યું છે કે રાજકોટ રાજપરિવારની એક આગવી પ્રતિષ્ઠા છે એના વતી કે એના વિશે આમ જાહેરમાં પાયા વગરની વાત કરવાનો કોઈને અધિકાર નથી.અમારા ધ્યાને આવ્યું છે કે અમારા જ કુટુંબી રણશૂરવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં અમારા પુર્વજ, રાજકોટના પુર્વ ઠાકોર સાહેબ મર્હુમ પ્રદ્યુમ્નસિંહ જાડેજાની મિલકતના તેઓ સીધી લીટીના વારસદાર હોવાની વાત કરી છે અને કેટલીક મિલકતો પર પોતાનો હક છે એવું જણાવ્યું છે પરંતુ આ વાતમાં કોઈ વજુદ નથી.

તેમણે જણાવ્યું કે મારા પિતા સ્વ.મનોહરસિંહના નાના ભાઈ સ્વ. પ્રહલાદસિંહ જાડેજા એટલે કે રણશૂરવીરસિંહના દાદાબાપુને એમના હિસ્સાની મિલકત સ્વ. પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પોતે જ આપી દીધી હતી. એમના પૂત્ર અનિરુદ્ધસિંહએ પણ અગાઉ કોર્ટમાં આ વાત કબુલ કરી છે. માટે હવે સ્વ. પ્રહલાદસિંહના કોઇ પરિવારજનનો હિસ્સો રાજકોટ રાજ પરિવારની કોઇ મિલકત પર રહેતો નથી.આવી રીતે માધ્યમોમાં અલગ અલગ વાત ફેલાવીને તે લોકો રાજકોટની પ્રજામાં ગેરસમજ ફેલાવી રહ્યા છે તે દુઃખદ છે. વાસ્તવમાં આવો કોઈ વિવાદ કે કોઈ મુદ્દો જ અસ્તિત્વમાં નથી.