વડોદરા જિલ્લામાં એક સમયે જાણીતું નામ એવા નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરા દ્વારા સ્ટર્લિંગ બાયોટેક લી. શરૂ કરવામાં આવી હતી. જો કે, થોડાક સમય બાદ સાંડેસરા બંધુઓનું હજારો કરોડનું બેંક લોન કૌભાંડ સામે આવ્યું હતું અને હાલ કંપની સામે કાર્યવાહી એનસીએલટીમાં ચાલી રહી છે, ત્યારે હવે ફડચા અધિકારી એડવોકેટ મમતા બિનાનીની દેખરેખ હેઠળ કંપનીની રૂપિયા ૫૪૮ કરોડની સંપત્તિની ઓનલાઇન હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે આજરોજ પબ્લિક નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
સ્ટર્લિંગ બાયોટેક લી.ના નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરાનું વડોદરા નહિ સમગ્ર રાજ્ય અને મુંબઇ તથા દિલ્હી સુધી દબદબો હતો. વડોદરામાં જાણીતા ગરબાનું આયોજન દર વર્ષો સાંડેસરા બંધુઓ દ્વારા કરવામાં આવતું હતું. અને બિઝનેસ વર્તુળોમાં તેમની ભારે પકડ હતી. જો કે, સાંડેસરા બંધુઓનો દબદબો અને સ્ટર્લિંગ જુથની ખ્યાતી લાંબો સમય ટકી ન હતી.
સ્ટર્લિંગ બાયોટેક લી.ના સંચાલકો નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરા તથા સ્ટર્લિંગ જૂથની અન્ય કંપનીઓની મળીને હજારો કરોડ રૂપિયાનું બેંક લોન કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં પ્રથમ સીબીઆઇ અને ત્યાર બાદ દેશની અગ્રણી તપાસ સંસ્થાઓ તપાસાર્થે જોડાઇ હતી. હાલ સાંડેસરા બંધુઓ સહપરિવાર દેશની બહાર છે. અને સરકારની પકડથી દૂર છે.