સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદથી ઉનાળુ પાક બાજરી, મગ અને તલને નુકસાન પહોંચ્યું

સૌરાષ્ટ્રમાં છેલ્લા દસ દિવસથી અલગ અલગ વિસ્તારમાં રોજ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા હતા. ધોધમાર વરસાદથી ઉનાળુ પાક બાજરી, મગ અને તલને નુકસાન પહોંચતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

હાલ અસહ્ય ગરમીને કારણે લોકો ત્રસ્ત બન્યા છે. ત્યારે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. ધોરાજી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસતા લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે. નેશનલ હાઇવે પર પાણી ફરી વળતા ટુવ્હિલરચાલકોને મુશ્કેલી પડી હતી.

રાજકોટમાં બે દિવસ સુધી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના મોરબી રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાય ગયા હતાં. વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. તેમજ અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થયાની ફરિયાદ પણ મળી હતી.