ગુજરાતમાં કોરોનાનાં નવા 14,605, પહેલીવાર 10 હજારથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો, 173નાં મોત

ગુજરાતમાં મીની લોકડાઉનની વચ્ચે કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તો સાથો સાથ મરણાંક પણ સતત વધી રહ્યો છે. બીજી તરફ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ ઉત્તરોઉત્તર વધારો નોંધાયો છે. પાછલા ચોવીસ કલાકમાં રાજ્યમાં 14,605 નવા કેસ નોંધાયા છે. જ્યારે 10,180 કોરોના દર્દી રિકવર થયા છે. જ્યારે 173 દર્દીનાં મોત થયાં છે અને કુલ મોતનો આંકડો 7183 થયો છે. સતત એક સપ્તાહ એટલે કે સાત દિવસથી મોતનો આંકડો 150થી વધુ આવી રહ્યો છે અને આજે રિક્વરી રેટ ઘટીને 73.72 ટકા થયો છે.

આજે રાજ્યમાં 1 લાખ 64 હજાર 425ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 96 લાખ 94 હજાર 767 લોકોને પ્રથમ ડોઝ અને 23 લાખ 92 હજાર 499 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 20 લાખ 87 હજાર 266નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 53 હજાર 216 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 94 હજાર 377ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં છેલ્લા 90 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લાખ 67 હજાર 777ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 7,183 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 4 લાખ 18 હજાર 548 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,42,046 એક્ટિવ કેસ છે, જેમાંથી 613 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,41,433 દર્દીની હાલત સ્થિર છે.