હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાનું હૃદયરોગના હુમલાથી વડોદરામાં નિધન

ક્રિકેટર પંડ્યા બંધુના પિતા હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું છે. તેઓ આવ્યા પછી અંતિમયાત્રા નીકળશે તેમ જાણવા મળે છે.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું આજે વહેલી સવારે વડોદરામાં નિધન થયું હતું. સવારે હૃદયરોગનો હુમલો થતાં ક્રિકેટબંધુના ૭૧ વર્ષિય પિતા હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું. જેથી કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી-ર૦ ટુર્નામેન્ટ છોડી રવાના થયો છે, જ્યારે હાર્દિક ૧ર-૩૦ ની ફ્લાઈટમાં મુંબઈથી આવશે. ત્યારપછી ૪ વાગ્યા આસપાસ અંતિમયાત્રા નીકળશે.

બરોડા ક્રિકેટ એસોસિએશન મીડિયા કમિટીના ચેરમેન સત્યજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી હિમાંશુ પંડ્યાની તબિયત નાદુરસ્ત હતી. આજે સવારે ૪ વાગ્યે હાર્ટ એટેક આવતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતાં, જ્યાં રસ્તામાં જ નિધન થયું હતું. ત્યારપછી ઘરે લઈ આવ્યા હતાં. ૪ વાગ્યા આસપાસ વડોદરા વાસનાભાયલી રોડ પર તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા નીકળશે. ત્યારપછી વડીવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર કિરણ મોરે પણ પહોંચ્યા હતાં.