વલસાડ: ધરમપુરના જંગલોમાં 19 જાતિના દુર્લભ વૃક્ષો મળી આવ્‍યા

લુપ્ત થતી વન સંપદાના સંવર્ધન હેતુ વન વિભાગે બોટનીક નિષ્‍ણાંતોની સહાય મેળવી જુજ પ્રમાણમાં મળી આવતી વનસ્‍પતિઓના ૨૦ હજાર છોડ વન નર્સરીઓમાં ઉછરી રહયા છે

ગુજરાતનો દક્ષિણ ભાગ વન સંપદાથી સમૃદ્વ છે. કંઇ કેટલીય જાતિના વૃક્ષો-વેલાઓએ વિસ્‍તારને હર્યો-ભર્યો કર્યો છે. રાજયના વન વિભાગે પણ તેના સંરક્ષણ અને સંવર્ધનમાં અધિક અગ્ર મુખ્‍ય વન સંરક્ષક શ્રી યુ.ડી.સિંઘના માર્ગદર્શન હેઠળ સરાહનીય કામગીરી કરી રહયું છે.

તાજેતરમાં વલસાડ જિલ્લાના ધરમપુરના જંગલોમાં ઇ.ચા. નાયબ વન સંરક્ષક અને સહાયક વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર હિરેન પટેલ અને વનકર્મીઓએ 19 જાતિના દુર્લભ વૃક્ષોની ભાળ મેળવી છે. જેમાં બોથી, ખડશિંગ, કવીશા, પંગારો, કરમલ, સફેદ પાઘળ, પીળો ખાખરો, મેઢાશિંગ, નાની ચમોલ, મોટી ચમોલ, રગત રોહિડો, ચંડીયો, કંપીલો, દવલો, કુંભ, હુંભ, વરસ, કાયલી(જંગલી આંબલી), પીળા ફુલ ધરાવતો શીમળો (સામર) જેવા વૃક્ષો અને વેલાઓ કે જેના નામ આપણે કદી સાંભળ્‍યા ન હોય કે જોયા ન હોય તેવી આ વનસ્‍પતિઓ શોધી કાઢી છે.

કપરાડાના જાણીતા વૈદ્ય મનોજભાઇ જાદવ આ વનસ્‍પતિઓનું મુલ્‍ય જણાવતાં કહે છે કે, હાથપગના દુઃખાવામાં ખડસિંગનું વૃક્ષ ઉપયોગી છે. તો ઘૂંટણના દુઃખાવામાં કાયલી (જંગલી આંબલી) રાહત આપે છે. પથરીના ઇલાજમાં પાઘળ તો મરડામાં મેઢાસિંગ અકસીર છે.

આયુર્વેદિક દૃષ્‍ટિએ ખુબ જ મહત્‍વની સાથે પર્યાવરણ જાળવતી આ વનસંપદાથી જંગલો વધુ સઘન બને અને ઉપયોગી વૃક્ષ-વેલાઓ સરળતાથી ઉપલબ્‍ધ થાય તે માટે વન વિભાગે નાનાપોંઢાના બોટની પ્રોફેસર ડૉ.સંદીપ પટેલની મદદ લીધી છે. ઉપરાંત સ્‍થાનિક ગ્રામજનોને વનસ્‍પતિઓના મહત્ત્વને સમજાવી તેમના સહયોગ થકી બીજ એકત્રિકરણની કામગીરી વન વિભાગે બખૂબી રીતે કરી છે. લોકડાઉનના સમયમાં વન વિસ્‍તારો ખુંદીને દુર્લભ વૃક્ષોના બીજ એકત્ર કરવામાં આવ્‍યા. જેના છોડ નર્સરીઓમાં તૈયાર થઇ રહયા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, વલસાડ ઉત્તર વન વિભાગ હસ્‍તક ધરમપુર રેન્‍જમાં 14021 હેકટર, પંગારબારીમાં-12574, હનમતમાળમાં-11482, વલસાડમાં-712, વાંસદા પુર્વમાં- 9721, વાંસદા પશ્વિમમાં-10541 અને ચીખલી રેંજમાં 3782 હેકટર રીઝર્વ ફોરેસ્‍ટનો સમાવેશ થાય છે. દક્ષિણ વન વિભાગમાં કપરાડા તાલુકામાં 50 હજાર હેકટર રીઝર્વ ફોરેસ્‍ટ છે.

આ બધા જ વનક્ષેત્રના અધિકારી-કર્મચારીઓ સ્‍થાનિક ગ્રામીણોના સહયોગ થકી જંગલોના સંરક્ષણ અને સંવર્ધન સાથે લુપ્ત થતી અને દુર્લભ વનસ્‍પતિઓને બચાવવા પણ આગવી કામગીરી કરી રહયા છે.

રાજયમાં લુપ્ત થતી વન્‍યસંપદાના સંવર્ધન માટે વનવિભાગનું શીલ્‍વા એકમ નર્મદા ખાતે કાર્યરત છે. રાજયમાં પ્રથમવાર વલસાડ જિલ્લામાં ઉત્તર વનવિભાગના અધિકારીઓએ આ પ્રકારનો સરાહનીય પ્રયાસ કર્યો છે.

વૃક્ષોનું જતન અને સંવર્ધન વન વિભાગના અધિકારીઓની દીર્ઘદ્રષ્‍ટિ અને કુનેહથી લુપ્ત થતા દુર્લભ વૃક્ષોને આ વૃક્ષો આયુર્વેદિક અને પર્યાવરણની દૃષ્‍ટીએ પણ ખુબ જ મહત્ત્વના છે. પ્રાચીન ગ્રંથોમાં વૃક્ષોનું મહાત્‍મ્‍ય સમજાવ્‍યું હોવાનું સહાયક વન સંરક્ષક શ્રી ઝાલા જણાવે છે.
કપરાડા, ધરમપુર, વાંસદા રેન્‍જમાં દુર્લભ વૃક્ષોનું સંવર્ધન કરવા ૨૦ હજાર જેટલા છોડનો ઉછેર કરવામાં આવી રહયો છે. જેને આવતા વર્ષે રીઝર્વ ફોરેસ્‍ટ વિસ્‍તારમાં વાવેતર કરવામાં આવશે.