નર્સિંગ કોલેજોમાં ફાઈનલ યરની જ પરીક્ષા લેવાશે, બાકીના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, સમગ્ર દેશમાં ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા તા.૧૪.૦૫.૨૦૨૦ અને તા.૧૦.૦૭.૨૦૨૦ ના રોજ નર્સિંગની પરીક્ષા અંતર્ગત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તે સંદર્ભે ગુજરાતની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાશે જ્યારે અન્ય તમામ વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકન અને વર્ષ દરમ્યાનના પરફોર્મન્સના આધારે માર્ક્સ આપી આગળના વર્ષમાં પ્રમોટ કરાશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ કે, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલની ગાઇડલાઇન મુજબ રાજ્યમાં જો કોરોનાને કારણે પરીક્ષા લેવી શક્ય ના હોય તો ફાઇનલ યર સિવાયના વિદ્યાર્થીઓને આંતરીક મૂલ્યાંકન અને તેના વર્ષ દરમ્યાનના પરફોર્મન્સના આધારે માર્ક્સ આપી આગલા વર્ષમાં પ્રમોટ કરવા સૂચવેલ છે. જે મુજબ ગુજરાત રાજ્યમાં નર્સિંગના શિક્ષકો અને નર્સિંગના વિદ્યાર્થીઓ કોરોના દર્દીઓની સારવાર અને સર્વેની કામગીરીઓમાં જોડાયેલા છે.

તેમણે જણાવ્યું કે  રાજ્યમાં હાલ કોરોના મહામારીની પરિસ્થિતિ ધ્યાને રાખી ગુજરાત નર્સિંગ કાઉન્સીલની પરીક્ષા સમિતિની તા.૧૪.૭.૨૦૨૦ ના રોજ મળેલ બેઠકમાં ઇન્ડીયન કાઉન્સીલ ઓફ નર્સિંગની માર્ગદર્શિકાની ચર્ચા કરી સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે કે, છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવશે. તે સિવાયના નર્સિંગનો અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા સિવાય તેમના અભ્યાસક્રમના આંતરીક મુલ્યાંકનના આધારે આગળના વર્ષમાં માસ પ્રમોટ કરી યોગ્ય જણાયેલ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવામાં આવશે.

આ નિર્ણયનો લાભ જી.એન.એમ. ના ૧૪૬૭૧ અને એ.એન.એમ.ના ૩૮૨૭ વિદ્યાર્થીઓને મળશે. જયારે જી.એન.એમ.ના ૪૫૬૧ અને એ.એન.એમ.ના ૩૧૦૮ વિદ્યાર્થીઓની પરીક્ષા ૩૧ ઓગસ્ટથી લેવામાં આવશે. આ પરીક્ષામાં social distance, hand sanitization અને mask ના ઉપયોગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.