કોંગ્રેસ પ્રમુખપદે રાહુલ ગાંધીની ફરી થશે તાજપોશી, સોનિયા ગાંધી છોડી દેશે કોંગ્રેસની કમાન

કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધી પાછા ફરશે તેવી સંભાવના છે. માનવામાં આવે છે કે રાહુલ ગાંધી  માતા સોનિયા ગાંધીને 135 વર્ષ જુની પાર્ટીની જવાબદારીઓથી મુક્ત કરી શકે છે. જોકે, તેમની પ્રથમ મુશ્કેલી છે કોંગ્રેસના સંગઠનની. ગયા વર્ષે મેમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ તેમણે હારની જવાબદારી લેતા પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

કોંગ્રેસ નેતાના રાજીનામા બાદથી તેમની મુખ્ય ટીમમાં રહેલા નેતાઓએ કાં તો તેમના હોદ્દા છોડી દીધા છે અથવા પાર્ટી છોડી દીધી છે. હરિયાણાના અશોક તંવર, ત્રિપુરામાં પ્રદ્યોત દેબ બર્મન અને ઝારખંડમાં અજોય કુમાર જેવા સ્ટેટ યુનિટના વડા કોંગ્રેસ પાર્ટી છોડી ગયા છે. 2015માં દિલ્હીના વડા તરીકે નિમાયેલા અજય માકને 2019ની ચૂંટણી પહેલા આ પદ છોડી દીધું હતું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાહુલના નજીકના ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડીને આ વર્ષે માર્ચમાં કમળની સાથે જોડાયા હતા. તેમણે પાર્ટીના નેતાઓ કમલનાથ અને દિગ્વિજય સિંહ સાથેના લાંબા ગાળાના તણાવ બાદ મધ્યપ્રદેશમાં પાર્ટી છોડી દીધી હતી. આ પછી રાજ્યના રાજકારણમાં ભૂકંપ આવ્યો અને કમલનાથની આગેવાનીવાળી સરકાર પડી ગઈ હતી.

આ ઉપરાંત રાહુલ ગાંધી દ્વારા નિયુક્ત મુંબઇ કોંગ્રેસના વડા સંજય નિરૂપમ અને મિલિંદ દેવરાએ પણ પોતપોતાના હોદ્દા છોડી દીધા છે. તેમણે પાર્ટી છોડવાની અફવાઓ અટકવાનું નામ લેતી નથી, છતાં પણ બંનેએ તેનો ઇનકાર કર્યો છે. એટલે કે રાહુલનાં પ્રમુખ પદ છોડવાની સાથે જ 13 મહિનાની અંદર તેમની કોર ટીમ જડમૂળથી વેર-વિખેર થઈ ગઈ છે.

એવું માનવામાં આવે છે કે રાહુલ ગાંધીએ તેમની ટીમમાં જે સભ્યોને સામેલ કર્યા હતા તેમને પાર્ટીના જૂના નેતાઓએ હાંકી કાઢ્યા હતા. પેઢીઓના સંઘર્ષમાં, તેમના નિયુક્ત નેતાઓને દિલ્હીના મુખ્ય મથકથી જરૂરી ટેકો મળ્યો ન હતો.