ગઠામણ ગામના ભાઇ-બહેન અજય અને આશા તથા ચાર વર્ષની બાળા સુલાફાએ કોરોનાને હરાવ્યો

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને હરાવનાર ગઠામણ ગામના ત્રણ વ્યક્તિઓને પાલનપુર સીવીલ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં પ્રથમ કોરોના પોઝીટીવ આવેલા સોમાભાઇ પરમારની પુત્રી આશાબેન ઉ.વ. 18 અને પુત્ર અજય સોમાભાઇ ઉ.વ. 14 બંન્ને ભાઇ-બહેન તથા ગઠામણ ગામની જ ચાર વર્ષની બાળકી સુલાફા ગુલાબરસુલ ધુક્કા ઉ.વ. 4 વર્ષના બીજા બે રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પીટલમાંથી ઘેર જવાની રજા અપાઇ છે.

઼પાલનપુર તાલુકાના ગઠામણ ગામની આશાબેન સોમાભાઇ પરમાર અને અજય સોમાભાઇ પરમારને 15-4-2020 અને સુલાફા ગુલામરસુલ ધુક્કાને 17-4-2020ના રોજ કોરોના પોઝીટીવ આવતા બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સીવીલ હોસ્પીટલ ખાતે તૈયાર કરાયેલી કોવિડ-19 હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. ગઇકાલે તેમના બીજા બે રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પીટલમાંથી તેમને ઘેર જવાની રજા આપવામાં આવી છે. પાલનપુર સીવીલ સર્જન ર્ડા. ભરત મિસ્ત્રી અને અધિક્ષક ર્ડા. સુનિલ જોષી સહિત અન્ય ર્ડાકટરોએ સાજા થયેલા દર્દીઓને શુભેચ્છા ગીફ્ટ આપી, તાળીઓથી અભિવાદન કરી હોસ્પીટલમાંથી વિદાઇ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ વાવ તાલુકાના મીઠાવીચારણ ગામના પાંચ વર્ષીય બાળક મહેક અરવિંદભાઇ વડાલીયાએ પણ કોરોનાને મ્હાત આપતા બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલે અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તા.19 એપ્રિલે રજા અપાઇ હતી.

બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કુલ-30 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા તેમાંથી ભાગળ ગામના ફાતીમાબેન મુખીનું અવસાન થયું છે. અત્યાર સુધી સાજા થયેલા કુલ-૪ વ્યક્તિઓને ઘેર જવાની રજા અપાઇ છે અને કોરોના સંક્રમિત 25 દર્દીઓ સીવીલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે તેમની સ્થિતિ પણ સારી છે તેમ પાલનપુર હોસ્પીટલના સીવીલ સર્જન ર્ડા. ભરત મિસ્ત્રી અને અધિક્ષક ર્ડા. સુનિલ જોષીએ જણાવ્યું છે.