દક્ષિણ કોરિયામાં કોરોનાથી સાજા થયેલા 51 દર્દીમાં ફરી વાયરસ દેખાયો

વિશ્વભરમાં કોરોનાના દર્દીઓની સારવાર મામલે પ્રશંસા મેળવનારા દક્ષિણ કોરિયા માટે એક ખરાબ સમાચાર આવ્યા છે અને તે એ છે કે અહીં સાજા થયેલા કેટલાક દર્દીઓમાં ફરી કોરોનાવાયરસ દેખાયો છે. દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસના સાજા થયેલા 51 દર્દીઓને ફરીથી કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. આમ થવાને કારણે આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે દર્દીના સાજા થયા બાદ પણ કોરોના વાયરસ શરીરની અંદર છુપાયેલો રહે છે અને આ ગમે ત્યારે ફરીથી ચેપ લગાડી શકે છે. તેથી સાજા થયેલા દર્દીને મામલે પણ તકેદારી લેવી જરૂરી હોવાનું હાલ તો જણાઇ રહ્યું છે.

દક્ષિણ કોરિયાના ડિસીઝ પ્રિવેન્શન સેન્ટરે કહ્યું કે, દાઈહો અને ઉત્તરી ગ્યેઓંગસાંગ પ્રાંતથી નિકટના વિસ્તારના 51 લોકોમાં ફરીથી કોરોના વાયરસનો ચેપ જોવા મળ્યો છે. આ તે જ વિસ્તાર છે જે દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસનો ગઢ માનવામાં આવતો હતો. કેન્દ્રના નિર્દેશક જિઓંગ ઉન ક્યોંગે કહ્યું કે, આ વાતની પૂરી સંભાવના છે કે કોરોના વાયરસ ફરીથી શરીરમાં સક્રિય થઈ ગયો છે.

તેમણે કહ્યું કે, આ લોકોના ફરીથી ચેપ લાગવાની થવાની સંભાવના નથી, કારણ કે ક્વોરન્ટાઈનમાં ગયાના થોડા જ સમયમાં તેઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. દક્ષિણ કોરિયાના સ્વાસ્થ્ય અધિકારીઓને દાઈહો મોકલી દેવાયા છે. જેથી સંપૂર્ણ મામલાની તપાસ થઈ શકે. આ વચ્ચે સંક્રામક બીમારીઓના વિશેષજ્ઞ કિમ તેઈ ક્યૂંગે કહ્યું કે, જે લોકોમાં કોરોના વાયરસ મળ્યો છે, તેની અંદર આ વાયરસ છુપાઈને રહ્યો હશે. હવે તે ફરીથી સક્રિય થઈ ગયો છે.