જ્યારે ક્વોરેન્ટાઇન નોટિસે પતિનું બિઝનેસ ટ્રીપનું જુઠ્ઠાણું પત્ની સામે ખુલ્લું પાડ્યું

પતિ પોતાની પત્ની સામે જુઠુ બોલે એ કોઇ અસામાન્ય વાત નથી. ઘણીવાર એવું બને છે કે પતિ પોતાની પત્નીને બિઝનેસ ટ્રીપ માટે જઇ રહ્યો હોવાનું કહીને કશે મીની વેકેશન માણવા જતો રહે છે, વળી જો એ વેકેશન થઇલેન્ડ કે બેંગકોક જેવા સ્થળનું હોય તો તે પોતાનું એ રહસ્ય કદી ન ખુલે એવી આશા રાખતો હોય છે. જો કે દેશમાં 21 દિવસના લોકડાઉન અને તેના પછીની કામગીરીએ અંબાલાના બે પતિઓનું આ રહસ્ય જાહેર કરી દીધું હતું.

દેશમાં લોકડાઉન જાહેર કરવાની સાથે જ વિદેશથી પાછા આવેલા લોકોના ઘરની બહાર 14 દિવસની ક્વોરન્ટાઈન નોટિસ પણ લગાવાઈ રહી છે. ત્યારે અંબાલાના આ બે વ્યક્તિની પોલ આ ક્વોરેન્ટાઇન નોટિસને કારણે ખુલ્લી ગઇ છે. હકીકતમાં આ બંને વ્યક્તિ પોતાની પત્નીઓ સાથે બેંગ્લોર બિઝનેસ ટ્રીપ પર જવાનું કહીને બેંગકોક ફરી આવ્યા હતા અને એક ટિ્વટર યુઝરે આ ઘટના અંગેનું એક ટ્વીટ કર્યું છે, જે ખૂબ વાઈરલ થઈ રહ્યું છે. અભિજીત બસાક નામના વ્યક્તિએ તેની સાથે જ આ વ્યક્તિઓના બે ફોટા પણ શેર કર્યા છે જેમાં કેટલાક લોકો અને પોલીસ દેખાઈ રહી છે.

પોતાના ટિ્વટમાં અભિજીત બસાકે લખ્યુ છે કે, બે વ્યક્તિ પોતાની પત્નીઓને બેંલગુરુ જવાનું કહીને બેંગકોક ગયા હતા. બંને ઘરે પાછા આવતા પોલીસ તેમના ઘરે આવી અને ઘર પર ક્વોરન્ટાઈન નોટિસ લગાવી હતી. પોલીસે બંનેના ટ્રાવેલ રેકોર્ડને જોઈને તેમના ઘરે પહોંચી. આ બાદ પોલીસે બંને વ્યક્તિઓની પત્નીઓને પણ સમજાવી કે તેમને શા માટે ક્વોરન્ટાઈન કરાઈ રહ્યા છે.

આ બાદ બંને વ્યક્તિઓનું જૂઠ્ઠાણું તેમની પત્નીઓની સામે આવી ગયું. હવે સોશિયલ મીડિયા પર લોકો આ વાતની ચિંતા કરી રહ્યા છે કે હકીકત માલુમ પડ્યા બાદ બંનેની પત્નીઓએ તેમની સાથે શું કર્યું હશે. આ વિશે તેઓ હવે મજેદાર ટ્વીટ પણ શેર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે વિદેશથી આવેલા લોકોને 14 દિવસના ક્વોરન્ટાઈનમાં રહેવા માટે કહેવાયું છે. આદેશનું પાલન કરે તથા અન્ય લોકો તેમના ઘરે ન જાય તે માટે ઘરની બહાર ક્વોરન્ટાઈનનું પોસ્ટર પણ લગાવવામાં આવે છે.