પરીક્ષા પે ચર્ચા-2020: PM મોદીએ વિદ્યાર્થીઓને આપી આવી અનમોલ ટીપ્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા-2020 કાર્યક્રમમાં આજે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે વાતચીત કરી હતી. મોદીએ કહ્યું કે વર્ષ 2020 ફક્ત નવું વર્ષ જ નથી, પરંતુ નવા દાયકાની શરૃઆત છે. માતા-પિતા, શિક્ષકોએ બાળકની ક્ષમતા કેટલી છે તેનો ખ્યાલ રાખવો જોઈએ અને પોતાના સ્વપ્નને બાળકો પર થોપવા જોઈએ નહીં. બાળકો મોટા થઈ જાય તો પણ માતા-પિતાએ તેમના સંતાનોને પ્રોત્સાહન આપતા રહેવું જોઈએ, દબાણ ન આપવું જોઈએ. તેમની શક્તિને ઉજાગર કરવા પર ભારત આપવો જોઈએ.

અરૃણાચલ પ્રદેશ, તામિલનાડુ, અમદાવાદથી વિદ્યાર્થીઓએ નાગરિક અધિકારો, કર્તવ્ય અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું કે, અરૃણાચલ પ્રદેશમાંથી આ પ્રશ્ન પૂછ્યો તેનો મને ખૂબ જ આનંદ થયો. અરૃણાચાલ પ્રદેશમાં જ્યારે કોઈ એકબીજાને મળે છે ત્યારે તે જયહિન્દ કહી એકબીજાનું અભિનંદન કરે છે. વડાપ્રધાને દેશના પૂર્વોત્તરના રાજ્યોમાં રજાઓ ગાળવા જવા આગ્રહ કર્યો હતો. આપણો દેશ વૈવિધ્યતાથી ભરેલો છે, આપણો દેશ વિવિધ ભાષાઓથી કરેલો છે. અધિકાર અને કર્તવ્ય અંગે વડાપ્રધાને કહ્યું હતું કે આપણા કર્તવ્યમાં જ અધિકાર રહેલા છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે મૂળભૂત અધિકાર નથી હોતા, મૂળભૂત તો કર્તવ્ય હોય છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના વિદ્યાર્થી કેવી રીતે મદદરૃપ બની શકે છે તેવા વિદ્યાર્થીઓના પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને જણાવેલ છે કે આજે ટેકનોલોજી અને વિજ્ઞાન સાથે જીવન જોડાઈ ગયું છે. આપણે ટેકનોલોજીને આપણું મિત્ર માનવું જોઈએ, ટેકનોલોજી પ્રત્યેનું જ્ઞાન જ પૂરતું નથી, પરંતુ ટેકનોલોજી પ્રત્યેનું જ્ઞાન આપણા માટે કેવી રીતે ઉપયોગી બને તે અંગે વિચાર કરવો જોઈએ. ટેકનોલોજી તમારા સમયનો વ્યય ન કરે તેની પણ કાળજી રાખવી જોઈએ. ટેકનોલોજી આપણને અંકૂશીત ન કરતી હોવી જોઈએ, પણ આપણે ટેકનોલોજીને આપણી જરૃરિયાત પ્રમાણે નિયંત્રિત કરતા હોવા જોઈએ. આપણે દરરોજ એક કલાક માટે ટેકનોલોજીથી મુક્ત બની આપણા પોતાના માટે, પરિવાર-સ્નેહીજનો સાથે સમય વિતાવો.

આ ગાળા દરમિયાન દેશના વિકાસમાં સૌથી વધારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની ભૂમિકા મહત્ત્વની રહેશે. વડાપ્રધાને વિદ્યાર્થીઓ, માતા-પિતા, શિક્ષકોને સંબોધતા કહ્યું છે કે, છેવટે આપણે શિક્ષણ વ્યવસ્થાથી જે શિક્ષણ પ્રાપ્ત કરી છીએ તેનાથી વિશ્વ પ્રત્યે જાણવાની શરૃઆત કરી છીએ. જેમ કે, નાનું બાળક ‘ક’થી શરૃઆત કરે છે. શિક્ષણ એ વિશ્વમાં પ્રવેશ દ્વાર છે. શિક્ષણ આપણને કંઈક જાણવા અને કંઈક કરવા માટે એક આધાર આપે છે.

તેમણે કહ્યું કે આપણે જે પણ જીવનમાં શીખીએ છીએ તેનું આપણે સતત યોગ્ય મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. આજે આપણી બાજુ વિપુલ પ્રમાણમાં તકો પ્રવર્તિ રહેલી છે. આપણે જીવનમાં એક્સ્ટ્રા એક્ટિવિટી પ્રત્યે પણ ધ્યાન આપવું જોઈએ, જે આપણે જીવનમાં ઘણી ઉપયોગી બને છે. મારા દેશના યુવાનો રોબટો બને તેવું હું ઈચ્છતો નથી. શાળાકીય જીવન વૈવિધ્યતા પૂર્ણજીવન માટે ખૂબ જ ઉપયોગી બને છે.

વડાપ્રધાને સફળતાનો મંત્ર આપતા વિદ્યાર્થીઓને કહ્યું હતું કે પરીક્ષા જ જીવન છે તેવા વિચારથી બહાર આવવું જોઈએ, જીવનમાં બીજુ ઘણુબધું છે. સફળતા માટે સતત મહેનત કરતું રહેવું જોઈએ, પરિશ્રમ પછી પણ જો અપેક્ષિત પરિણામ ન મળે તો ઉદાસ ન થશો, જીવનમાં પરીક્ષા જ સર્વસ્વ નથી.

રાજસ્થાનથી સ્વામી વિવેકાનંદ શાળાની એક વિદ્યાર્થીનીએ તણાવ અંગે પૂછેલા પ્રશ્ન અંગે વડાપ્રધાન જવાબ આપી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની કોલકાતામાં રમાયેલી ટેસ્ટ મેચમાં વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડની ઈનિંગ તેમજ અન્ય એક મેચમાં ઈજાગ્રસ્ત અનિલ કુંબલેની વિશ્વાસપૂર્ણ બોલીંગનો ઉલ્લેખ કર્યો છે અને વિદ્યાર્થીઓને મુશ્કેલીના સમયમાં પણ ધિરજ અને વિશ્વાસથી કેવી રીતે સફળતા મેળવી શકાય છે તે અંગે ઉદાહરણ સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવથી દૂર કરવાનો છે. શાળામાં વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના સંવાદ કાર્યક્રમની આ ત્રીજી આવૃત્તિ છે.

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં મોદીએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતાં. જેમાં સમગ્ર દેશમાંથી બે હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પૈકી 1050 વિદ્યાર્થીની પસંદગી નિબંધ સ્પર્ધા મારફતે કરવામાં આવી છે. તેમાં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આ માટે 2.6 લાખ રજિસ્ટ્રેશન થયું હતું. તેને લઈ વિદ્યાર્થીઓ-માતાપિતામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રીના સંવાદ કાર્યક્રમનું પ્રથમ સંસ્કરણ 18મી ફેબ્રુઆરી-2018ના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજીત કરવામાં આવ્યું હતું.