કાશ્મીરમાં બરફનું તોફાનઃ ત્રણ જવાનો સહિત આઠનાં મોત

જમ્મુ અને કાશ્મીરમાં આવેલા બરફના તોફાનના બે બનાવમાં ત્રણ સૈનિક સહિત આઠ વ્યક્તિના મોત થયા હતાં અને એક સૈનિક ગુમ થયો છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર મચીલ સેક્ટરમાં એલઓસી નજીક આર્મીની ચોકી બરફના તોફાનની લપેટમાં આવી હતી.

અહીં પાંચ જવાન તોફાનમાં ફસાયા હતાં. આ વાતની જાણ થતા આર્મીએ તપાસ અભિયાન આરંભ્યું હતું અને ચાર જવાનને શોધી કાઢ્યા હતાં, પણ એમાંથી ત્રણ જવાનના મોત થયા હતાં. ચોથા જવાનને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને એની સારવાર ચાલી રહી છે. ગુમ થયેલા પાંચમા જવાનને શોધવાનું કામ ચાલી રહ્યું છે.

ગંડરબાલ જિલ્લાના ગાગનગીર વિસ્તાર પર બીજું બરફનું તોફાન ત્રાટક્યું હતું. સોમવારે રાતે આવેલા તોફાન વખતે એ વિસ્તારમાંથી પાંચ વ્યક્તિ પસાર થઈ રહી હતી. આ ઘટનામાં પાંચેય વ્યક્તિના મોત થયા હતાં, જો કે અન્ય ચાર વ્યક્તિને બચાવી લેવાઈ હતી.