ગૃહમંત્રી પ્રદીપસિંહની મોટી જાહેરાત: આવતીકાલે ગુજરાત વિધાનસભામાં CAAને સમર્થન આપતો ઠરાવ રજૂ કરાશે

ગાંધીનગર ખાતે આજે ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો બાદ મીડિયાને માહિતી આપતા સંસદીય બાબતોના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આવતીકાલે 10મી જાન્યુઆરીના રોજ ગુજરાત વિધાનસભાના સત્રની શરુઆત ભારતના બંધારણના અનુચ્છેદ 176 મુજબ રાજ્યપાલના સંબોધનથી થશે.

રાજ્યપાલના સંબોધન બાદ 15 મિનિટનો વિરામ રહેશે અને ત્યારબાદ ગૃહની બેઠક મળશે. રાજ્યપાલના સંબોધન માટેના આભાર પ્રસ્તાવની રજૂઆત કરાશે. કામકાજ સલાહકાર સમિતિની બેઠકનો અહેવાલ રજૂ કરવામાં આવશે.

પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, બંધારણના 126માં સુધારાને બહાલી આપતો પ્રસ્તાવ મુખ્યમંત્રી દ્વારા રજૂ કરવામાં આવશે. જેમાં લોકસભામાં તેમજ રાજ્યોની વિધાનસભામાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે બેઠકોના આરક્ષણ માટેની મુદત 25-10-2020ના રોજ પુરી થાય છે. તે મુદત વધુ 10 વર્ષ લંબાવવા માટેનો આ બંધારણીય સુધારો છે. જેને સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યો છે. આ  વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલતા પહેલાં બંધારણના અનુચ્છેદ 368 મુજબ દેશના ઓછામાં ઓછા 50 ટકા વિધાનમંડળોએ તે અંગે રિઝોલ્યુશન પસાર કરી બહાલી આપવી જરૂરી છે. આ હેતુ માટે આવતીકાલે આ એક દિવસીય સત્રમાં કાર્યવાહી હાથ ધરાનાર છે. જે માટે અંદાજે એક કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.

ત્યારબાદ સીટીઝન્સ (એમે‍ન્ટમે‍ન્ટ) એક્ટ(CAA)-2019 લાવવાના કે‍ન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન આપતો ગૃહ રાજ્યમંત્રીનો પ્રસ્તાવ હાથ ધરવામાં આવશે. જે માટે પણ અંદાજે બે કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. ત્યારબાદ સભાગૃહની બેઠકો તારીખ 23 ફેબ્રુઆરી-2020 સુધી મુલત્વી રાખવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે બજેટ સત્રની કામગીરીના સંદર્ભમાં ગૃહની બેઠક પુન: 24મી ફેબ્રુઆરી-2020થી મળશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલ વર્ષ-2019-20નું ખર્ચનું પૂરકપત્ર તથા વર્ષ-2020-21નું અંદાજપત્ર  24મી ફેબ્ર્યુઆરીએ રજૂ કરશે અને 31મી માર્ચે સત્ર સમાપ્ત થશે.

તેમણે જણાવ્યું કે રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવની ચર્ચા માટે ત્રણ બેઠકો ફાળવવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે પુરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે બે બેઠકો, અંદાજ પત્રની સામાન્ય ચર્ચા માટે ચાર બેઠકો અને વિભાગવાર માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો ફાળવવામાં આવી છે. આ ઉપરાંત સત્ર દરમિયાન સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે ચાર બેઠકો ફાળવવામાં આવી છે. આમ, એકંદરે કુલ – 25 દિવસના કામકાજ દરમ્યાન ગૃહની 27 બેઠકો મળશે.