આવતીકાલે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર, ભાજપ-કોંગ્રેસ વચ્ચે તડાફડીનાં એંધાણ

આવતીકાલે એટલે કે 10મી જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળવાનું છે. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલાં સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવશે. તો બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને એબીવીપી-એનએસયુઆઇના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી સરકારને સાણસામાં લેશે. જેથી વિધાનસભાનું એક દિવસીય સત્ર તોફાની બને તેવી પ્રબળ શક્યતા છે.

ગુજરાતમાં બાળકોના મોત મુદ્દે હવે રાજકારણ ગરમાયુ છે. એક દિવસીય વિધાનસભાના સત્રને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. વિપક્ષ હવે ગુજરાત સરકારને આડે હાથે લઇ રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્રમાં બાળકોના મોતનો મુદ્દો ઉઠાવી કોંગ્રેસ હવે સરકારને ઘેરવા તૈયારીઓ કરી કરી છે.

વિધાનસભા સત્ર અંતર્ગત કામકાજ સલાહકાર સમિતિની એક બેઠક મળી હતી, બેઠકમાં વિપક્ષ દ્વારા પ્રજાના વિવિધ પ્રશ્નો પર વધુ ચર્ચા કરવા માટે અધ્યક્ષ સમક્ષ વિધાનસભાનું સત્ર લંબાવવાની વાત કરવામાં આવી હતી. જો કે શાસક પક્ષે દર વખતની જેમ આ વખતે પણ વિપક્ષની માગનો અસ્વીકાર કર્યો હતો. ત્યારે કોંગ્રેસના નેતાએ કહ્યું કે જો સરકાર સત્રના દિવસોમાં વધારો કરે તો પ્રજાહિતના પ્રશ્નોની ચર્ચા કરી શકાય. તેમજ વિપક્ષે ગૃહમાં નવજાત શિશુના મોત મુદ્દે પણ ચર્ચાની માગ કરી હતી પરંતુ શાસક પક્ષે આ માગને પણ ફગાવી દીધી છે.