ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમાનાં અતિ સંવેદનશીલ એવા અરબી સમુદ્રના સરક્રિક વિસ્તારમાં પાકિસ્તાને ગેરિલા હુમલો કરી શકે તેવી એક સાથે ચાર-ચાર મીની સબમરીનો ઉતારતાં હડકંપ મચી જવા પામ્યો છે અને ભારતીય સુરક્ષાદળોએ આ હિલચાલને અતિ ગંભીર ગણાવી છે. તુર્કી બનાવટની આ મીની સબમરીન રડાર પર સરળતાથી ડિટેકટ કરી શકાતી નથી તેથી આ મામલો વધુ ગંભીર બનવા પામ્યો છે.
ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન દ્વારા ભારતમાં ટાર્ગેટ કરવાનું એક નવું લિસ્ટ બનાવાયું છે, જેમાં ગુજરાતનાં, ખાસ કરીને કચ્છમાં આવેલા મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક મથકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા લિસ્ટમાં પોરબંદરના નેવલ બેઝ ઉપરાંત કચ્છમાં આવેલા ભુજ અને નલિયા એરબેઝનું નામ બીજા જ ક્રમે હોવાને કારણે ભારતીય સુરક્ષા દળો ઉપરાંત ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ ચોંકી ઊઠી છે.
થોડા દિવસ પહેલા જ તુર્કીનાં સેનાધ્યક્ષની પાક મુલાકાત બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમાનાં અતિ સંવેદનશીલ સરક્રિકના વિસ્તાર માટે ખાસ તૈયાર કરવામાં આવેલી આ ચાર મીની સબમરીન હાલ કરાચીના કેટી બંદર પાસેનાં કિયોમારી પોર્ટ ઉપર રાખવામાં આવી છે, જે ટૂંક સમયમાં કચ્છને અડકીને આવેલા પાકિસ્તાનના ક્રિક વિસ્તારમાં ફરતી થઈ જશે. ભારતીય સુરક્ષા દળો દ્વારા આ મહત્ત્વની બાબત અંગે કેન્દ્રના ગૃહ વિભાગને જાણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પરંપરાગત સબમરીન કરતા નાની દેખાતી આ ટર્કિશ બનાવટની પનડુબ્બીને ડિટેકટ કરવી મુશ્કેલ હોવાને કારણે સમગ્ર મામલો ચિંતાનો વિષય હોવાનું ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીના સૂત્રો માની રહ્યા છે.
ક્રિકના છીછરા પાણીમાં હાલની સબમરીન કામ ન લાગતી હોવાની સ્થિતિમાં આ નવી મીની સબમરીન નાપાક ઈરાદા પાર પાડવા માટે તહેનાત કરવામાં આવી છે. નવી નાની સબમરીનનાં આવવાથી અત્યાર સુધી પાક દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ઇટાલિયન બનાવટની એમજી ૧૧૦ પનડુબ્બીને હટાવવામાં આવશે. નવી આવેલી ચાર સબમરીનમાં પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના નેવલ કમાન્ડો તહેનાત રહેશે, એમ માનવામાં આવી રહ્યું છે.
એક તરફ જયાં પાકિસ્તાન ક્રિક સહિતના દરિયાઈ વિસ્તારમાં તેનો ભરડો વધારી રહ્યું છે તેવામાં તેના નવા ટાર્ગેટ લિસ્ટમાં ગુજરાતના પોરબંદર નેવલબેઝ ઉપરાંત કચ્છનું નલિયા, ભુજ અને જામનગર એરબેઝ બીજા જ ક્રમે હોવાને કારણે અહીં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. નવા નાપાક ટાર્ગેટ લિસ્ટમાં કચ્છનાં કંડલા બંદર ઉપરાંત સિક્કા પોર્ટ, જામનગરની રિલાયન્સ ઓઇલ રિફાઇનરીનો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે અત્યાર સુધી મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવા વાઈટલ ઇન્સ્ટોલેશનને ટાર્ગેટમાં લેવાની વાત જાણવામાં આવી હતી, પરંતુ આ વખતે કચ્છમાં આવેલા નાના કહી શકાય તેવા ડિફેન્સ બેઝને પણ ટાર્ગેટ લિસ્ટમાં મૂકવાની વાત આવી છે. આ બાબતને સાચી માનીએ તો કચ્છનાં કોટેશ્ર્વર અને લખપત ખાતે આવેલા સીમા સુરક્ષા દળના યુનિટને એકલા ગોઠવવામાં આવ્યાનું મનાઈ રહ્યું છે કે, ત્યાં ત્રણસોથી વધુ જવાનો તહેનાત રહેતા હોય છે. વળી, આ બંને જગ્યા એવી છે, ભારતીય જવાનો ત્યાંથી ક્રિક એરિયામાં જવા માટે તેનો ઉપયોગ કરતા હોય છે. કોટેશ્ર્વરથી સરક્રિક અને લખપતથી હરામીનાળા તરફ જઈ શકાય છે.