નિર્ભયાના રેપિસ્ટોની દયાની અરજી ફગાવતું ગૃહ મંત્રાલય, રાષ્ટ્રપતિ પાસે મોકલી અપાઈ, ગમે ત્યારે નિર્ણય

નિર્ભયા ગેંગરેપના આરોપીઓની દયા અરજી ફગાવી દેવા રાષ્ટ્રીય મહિલા આયોગે અરજી કરી છે, અને હૈદ્રાબાદની ઘટના પછી રાષ્ટ્રપતિ ઝડપથી નિર્ણય લેશે તેવી સંભાવના છે.

આજે ગૃહ મંત્રાલયે નિર્ભયાના નરાધમોની દયાની અરજી ફગાવી દીધી છે. અને આગળની કાર્યાવાહી કરવા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલી આપવામાં આવી છે. હવે રાષ્ટ્રપતિ દયાની અરજી પર નિર્ણય કરશે.

નિર્ભયા ગેંગ રેપના દોષિતોની પાસે હવે હવે કાનુની વિકલ્પ અને ઉપાય વધારે રહ્યા નથી. તેમને ફાંસી આપવા માટેની તારીખ હવે કોઇ પણ સમય જાહેર કરવામાં આવી શકે છે. તિહાર જેલ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી હાથ ધરવામાં આવી છે.

જોકે, તિહાર જેલ વહીવટીતંત્રના અધિકારીઓની સામે હવે સૌથી મોટી ચિંતાની બાબત ફાંસી આપી શકે તે જલ્લાદ નહીં હોવાને લઇને રહેલી છે. જેલ વહીવટીતંત્રની પાસે નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવવા માટે કોઇ જલ્લાદ નથી. સુત્રોએ કહ્યું છે કે એક મહિનામાં ફાંસીની તારીખ આવી શકે છે. જેથી જેલ વહીવટીતંત્ર ચિંતાતુર છે.

તિહાર જેલના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે જેલ વહીવટીતંત્ર ફાંસી આપવા માટે જરૃરી વિકલ્પો પર કામ કરી રહ્યું છે. આગામી એક મહિનામાં કોઇ પણ સમય તારીખ આવી શકે છે. દોષિતોને કોર્ટ દ્વારા બ્લેક વોરંટ જારી કરી દેવામાં આવ્યા બાદ કોઇ પણ સમય ફાંસી આપવામાં આવી શકે છે. રાષ્ટ્રપતિ જો અપરાધીઓની દયાની અરજીને ફગાવી દે છે તો વોરંટ જારી કરવામાં આવશે. ત્યારબાદ ફાંસીની તારીખ જાહેર કરાશે.

આ પહેલા છેલ્લી વખત સંસદ પર હુમલાના અપરાધી અફઝલ ગુરૃને તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. અફઝલને જેલમાં ફાંસી આપતા પહેલા મજબુત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અફઝલની ફાંસીમાં જેલના જ એક કર્મચારીએ ફંદાને ખેંચવા માટેની સહમતિ આપી હતી.

હૈદ્રાબાદની ઘટના પછી રાષ્ટ્રીય મહિલા આયોગે નિર્ભયાકાંડના દોષિતોની દયાની અરજી ફગાવવા માટે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરી હોવાના કારણે હવે ઝડપી નિર્ણય આવી જશે, તેવી સંભાવનાઓ પણ થઈ રહી છે.