ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા એક્શનમાં, અમદાવાદના BRTS રૂટનાં છીંડા શોધવા જાતે નીકળ્યા

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં ગત અઠવાડિયે બીઆરટીએસ બસે બે સગા ભાઈઓને કચડી નાખ્યા હતા. જે બાદ સરકાર અચાનક જાગી છે. આ માટે મંગળવારે રાજ્યના ગૃહ-રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને બીઆરટીએસના રૂટની સમીક્ષા કરી હતી. જેમાં અકસ્માતોને કેવી રીતે રોકી શકાય તેમજ હાલની વ્યવસ્થામાં શું ખામીએ રહેલી છે તેની સમીક્ષા કરવામાં આવી હતી.

સોમવારે ગૃહ-રાજ્ય પ્રધાને આ મામલે એક બેઠક કરી હતી, જે બાદ એક સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાની સીધી દેખરેખ હેઠળ કામ કરશે. જે બાદ મંગળવારે ગૃહ-રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અંજલિ ચાર રસ્તાથી બીઆરટીએસના રૂટની નિરીક્ષણની શરૂઆત કરી હતી. ત્યાંથી તેઓ નેહરુનગર ગયા હતા, જે બાદમાં પાંજરાપોળ ગયા હતા. ત્યાંથી વાડીનાથ ચોક ગયા હતા અને ત્યાંથી ગાંધીનગર જવા માટે રવાના થયા હતા.

નિરીક્ષણ દરમિયાન ધારાસભ્ય રાકેશ શાહ, મેયર બીજલબેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા, ટ્રાફિકના અધિકારીઓ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા. ગૃહ-રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું કેહવું છે કે, “દર ૧૫ દિવસે આ કમિટી રિપોર્ટ લેશે. બીઆરટીએસ રૂટમાં શું સુધારા-વધારા કરવાની જરૂર છે તેની પણ સૂચના આપવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક વધી રહ્યો હોવાથી આવી સમસ્યા થઈ રહી છે. ભવિષ્યમાં પાંજરાપોળ જેવી ઘટના ન બને તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.”