ઠાકોર સેનાની ધાર બૂઠ્ઠી થઈ, અલ્પેશ ઠાકોર-ધવલસિંહના પરાજય પછી સેનાનું ભાવિ શું?

લોકસભા-2019ની ચૂંટણી પહેલા ભારે ઊથલપાથલ મચી હતી. ભાજપ અને કૉંગ્રેસમાં નેતાઓ અને કાર્યકર્તાઓએ રાજકીય પાટલીઓ બદલી હતી. લોકસભાની ચૂંટણી લાડવા માંગતા ક્ષત્રિય ઠાકોર સેનાના ચીફ અલ્પેશ ઠાકોર અને તેમનો ઝભ્ભો ઝાલી ફરતા ધવલસિંહ ઝાલાએ ભારે ધમપછાડા કર્યા પછી ટીકીટ ન મળતા અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસ પક્ષના તમામ પદો પરથી ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીના કહ્યા પ્રમાણે રાજીનામું ધરી દીધું હોવાનો આભાસ ઊભો કર્યો હતો.

અલવિદા કરી દેતા વર્ષોથી કૉંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો અને લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને બાયડના કૉંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અંગત સ્વાર્થ માટે ઉત્તર ગુજરાતમાં ભાજપની-બી ટીમ તરીકે કામ કરી રહ્યા હોવાના આક્ષેપ જે તે સમયે ઊઠ્યા હતા.

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી કૉંગ્રેસમાંથી ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દેનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કેસરિયો ધારણ કરતા તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી કરનાર રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર અને બાયડ વિધાનસભા બેઠક પરથી ધવલસિંહ ઝાલાનો કારમો પરાજય થતા બંનેની રાજકીય કારકિર્દી હાલક ડોલક બની છે બંને ક્ષત્રિય ઠાકોર સેનાના કર્તાહર્તાનો ભૂંડો પરાજય થતા ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

ભાજપ અને ભાજપના કાર્યકરો અને અગ્રણીઓએ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કદ પ્રમાણે વેતરી નાખ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય-ઠાકોર સેનાના હોદ્દેદારો અને કાર્યકરોમાં ભાજપ ઉત્તર ગુજરાતના રાજકારણમાંથી ક્ષત્રિય-ઠાકોર સેના અને સમાજના પ્રભુત્વને ખતમ કરવા માંગતી હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

હવે ઠાકોર સેનાના અસ્તિત્વ સામે પ્રશ્નો ઉભા થતાં હવે પછી અલ્પેશ ઠાકોરનું શું થાય છે તેના પણ સૌની મીટ મંડાયેલી રહેશે. ઠાકોર સેનાએ બાયડમાં કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈનો વિજય સરઘસ કાઢ્યો હતો. મતલબ એ છે કે ઠાકોર સેના પરથી અલ્પેશ ઠાકોરની પકડ ઢીલી થઈ ગઈ છે અથવા તેમણે પકડ ગૂમાવી દીધી છે.